બુધવાર, 26 ઑગસ્ટ, 2020

Happy Birthday my dear Teenager !




પ્રિય પુત્ર કંજ,

આજથી બરાબર બે વર્ષ પહેલા મૃગાંકભાઇએ spontaneously  તારા માટે કહેલી કવિતાના શબ્દો યાદ આવે છે કે... 

“ના કોઇ કપટ કે ના કોઇ પ્રપંચ,
એવો એક છોકરો એનું નામ કંજ.
સદાય હસ્તો રહે, ના કશીય વાતનો એને રંજ,
એવો એક છોકરો એનું નામ કંજ.”

મૃગાંકભાઇએ તારા માટે કહેલા આ શબ્દો  આજે પણ એટલા જ પ્રસ્તુત જણાય છે. કપટ કે પ્રપંચ જેવા અનેક દુર્ગુણોને તે તારા પર હાવી નથી જ થવા દીધા, પણ ઉલ્ટાનું હર ક્ષણ તું તો મોજ ને મસ્તીમાં સતત હસ્તો ને હસ્તો ! keep it up Kanj , keep it up. આમ જ જીવવાનું છે એ જ સાચી મજા છે.

લોકો કહે છે સમયને જતાં વાર નથી લાગતી, પણ મેં તારી સાથે સમયને વિતતા પ્રતિક્ષણ માણ્યો છે ને જાણ્યો છે. કંઇ કેટલીયવાર તો તારી સાથે હું મારા બાળપણમાં પહોંચી મજાની ક્ષણો માણીને આવ્યો છું. ને ક્યારેક તો તારામાં હું પોતે જ મોટો થાતો હોવું એવું પણ મહેસુસ કર્યું છે.

પણ આ બધાની વચ્ચે આજે તું જીવનના એક એવા વણાંક પર પહોંચ્યો છો કે જ્યાંથી તું તારા બાળપણના દિવસોની યાદોને સંકેલીને teenage માં પગ મુકવા જઇ રહ્યો છો. હા, આજે તું જીવનના તેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છો. જન્મદિવસની અઢળક શુભેછાઓ !

તને ખબર નહી હોય પણ 13 વર્ષ એટલે જીવનનો એક નવો જ માઇલસ્ટોન. બાળક મટી તરૂણ બનવા તરફ એક નવા જ પગરણ માંડવાનું મજાનું આ વર્ષ. મસ્તકલંદર ને મોજીલા યુવાઓની ફાંકડી દુનિયાના આ મજાના વર્ષો. એવો તો શું છે આ 13 નો કરીશ્મા????  ચાલ મારા teenager બચ્ચા તેરથી શરૂ થતા આ મજાની સફરની તને થોડી વાતો કહું ને થોડા Does ane Don’ts પણ કહું !

દિકરા તને ખબર જ છે કે તેરને અંગ્રેજીમાં thirteen કહે છે અને 13થી શરૂ કરી 19 સુધી બધે જ પાછળ teen લાગે છે. એટલે 13 થી 19 સુધીના બધા વર્ષો teenage તરીકે ઓળખાય છે. અને આ ઉંમરના યુવાઓ પોતાને teenager કહેવડાવે કે દુનિયા એમને teenager તરીકે ઓળખે!

બાળક teenage પર પહોંચે ત્યાં સુધીમાં તો એ ઘણું સમજતો થઇ ગયો હોય છે અને એની maturity સામે વાળાને દેખાવા લાગતી હોય છે. એ maturity જ વ્યક્તિનું ઘડતર કરતી હોય છે. અને પાછળ જતાં એ જ એની ઓળખ બનતી હોય છે. જે દરેક teenagerમાં ક્યાંકને ક્યાંક પડઘાતી હોય છે. અને દિવસે ને દિવસે એ ઘડતર મજબૂત બનતું જતું હોય છે. જે અમુક સમય બાદ ચોક્ક્સ આકાર પામતું છે જેમાં કોઇ પણ વ્યક્તિની વર્તણૂકથી માંડીને શોખ કે એના સપના પણ દેખાઇ ઊઠતા હોય છે. એક રીતે જોઇએ તો દરેક યુવાન જીવનમાં આ વર્ષોમાં જ ઘડાતો હોય છે અને જીવનમાં ઘણું શીખતો હોય છે. ખરા અર્થમાં સપના જોઇ એને પાંખો આપી મહેનત કરી વળગી પડવાના આ મજાના વર્ષો એટલે જ teenage. આમ teenage નો એક ચોક્ક્સ અને જબ્બર પ્રભાવ છે એ તો પાક્કું જ!

કંઇક કરી લેવાની, કંઇક સાબિત કરી આપવાની કે થનગનતા ઘોડાની જેમ ક્યાંક પોતાના વિચારોના પ્રદેશોમાં પહોંચી જવાની આ ઉંમરનો પડાવ એટલે teenage.  જીવનમાં શૈશવનો યાદગાર પડાવ એટલે પણ  teenage. આ પડાવમાં સ્કૂલમાં કરેલી ધમાલ પણ યાદ રહે છે તો ક્યાંક અનુભવો અને પ્રયોગોનું પોટલું !!! બધું જ જાણે કાયમને માટે માનસપટ પર અંકિત થઇ જાતું હોય છે. જે પછીથી ક્યારેક યાદ આવતાં મોટેથી હસી પડાય છે તો ક્યારેક મરક મરક હસી પણ લેવાય છે. કારણ કે teenage ના મસ્તીભરેલા દિવસોમાં છેલ્લે તો ક્યાંક નિખાલતા અને નિર્દોષતા છલકતી દીશે જ છે.  

જીવનના આ વર્ષો એટલે એક એવો પડાવ કે જ્યાં ઘણું ઘણું શીખાય છે અને કાયમ માટે જાણે આ પડાવમાં(teenage) જ રહી જવાનું મન થાય એવા મજાના આ વર્ષો છે. ખરું કહું તો આ એક ચમત્કારની ઉંમર છે. આ ઉંમરમાં જ અનેક આવડતો આકાર પામતી હોય છે. ટુંકમાં અનેક આશ્ચર્ય અને અનુભવ ની ઉંમરનો પડાવ એટલે જ teenage. આ ઉંમરમાં અનેક માન્યતાઓ ઘડાય છે તો અનેક યાદો જીવનભર સચવાય છે. ટુંકમાં કહું તો શારિરીક, માનસિક અને બૌધિક વિકાસની સાથે સાથે શૈક્ષણિક, કૌટુંબિક, સામાજીક અને અનેક જાતિય ફેરફારોમાંથી પસાર થઇને પોતાને ઘડવાના આ મજાના વર્ષો એટલે teenage. કારણ કે teenageમાં જ અનેક હોર્મોન્સ એક્ટિવ થતાં હોય છે. તો જીવનના દરેક મોડ પર પોતાના સંબંધોના સરોવર રચાતા હોય છે.

તો,  હવે તો  સમજ્યો ને આ teenage ની મજા અને મહત્વ !

આ બધાની સાથે શાણપણના પાઠ ભણી શાણું બનતા શીખવાનું  છે. અને સાથે સાથે  પ્રમાણિકતા અને નમ્રતાને પોતાના હાથા બનાવી જીવન પ્રત્યે વફાદાર રહેવાનું છે. તો વધારામાં એ પણ યાદ રાખજે કે આ ઉંમરમાં તું તારી જ લાગણીઓને બદલાતી અનુભવીશ તો ક્યાંક તું એ જ લાગણીઓને વાચા આપતા પણ શીખીશ અને આ બધાની વચ્ચે તને ક્યાંક ક્યાંક આ લાગણીઓ સાથે રમનારા પણ મળશે – એને વાપરનારા પણ મળશે. જે હોય તે આ બધામાંથી સતત કંઇક-ને-કંઇક શીખતું રહેવાનું છે.

એક વાત હંમેશા યાદ રાખજે આપણા વિચારો એ આપણા વર્તનનો પડઘો છે. આપણું વર્તન એ જ આપણી આદતો બનવાની છે. અને આપણી આદતો એ જ આપણા સંસ્કારની છાપ છે. આ સંસ્કારોને જાળવવાના છે. એ છાપ કાયમ જળવાયેલી રહે એને માટે પ્રતિક્ષણ જાગ્રત રહેવાનું છે. અને એને જાળવીને જ આગળ વધવાનું છે. જીવનના દરેક પહેલું ને અનેક શક્યતા ઉંડાણમાં જઇને જોજે – તપાસ જે !  અને પછી જ કંઇક નક્કી કરજે ! પછી ભલે ને એક પ્રયોગ સાબિત થાય એમાં પણ ઘણું શીખવા મળશે.

એક વાત ખાસ યાદ રાખજે જીવનભર તારા પોતાના પગ પર જ ચાલજે-ઉભો થાજે અને દોડજે !!!  કારણ કે કોઇના પણ સહારા વગર મળતી જીત લાંબાં ગાળે ખૂબ જ મીઠી લાગતી હોય છે. જે આપણને આત્મનિર્ભરતાનો ઘુંટડો પાઇને ગર્વાન્વિત કરતી હોય છે. અને આ વાત ખાસ યાદ રાખજે આ માત્ર શબ્દ નથી,  કારણ કે આજે દેશ પણ આત્મનિર્ભરતા તરફ જ આગળ વધી રહ્યો છે.

જીવનમાં બધું જ આપણી અનુકુળતાએ અને ઇચ્છાએ નથી જ બનતું ! એ માટે રાહ જોવી પડે છે. અને એક વણાંક આવે-સમય આવે ત્યાં સુધી ઘણું સહન કરવું પડતું હોય છે. ક્યાંક કોઇકના વિશ્વાસે રહેવું પડતું હોય છે તો કોઇ પર ભરોશો પણ મુકવો પડતો હોય છે.

લે... Ruby Mendale ની આ એક મજાની કવિતા યાદ રાખજે.

"IF I am I because I am I

And you are you

Because you are you

Then I am and you are

But if I am I

Because you are you

And you are you

Because I am I

Then I am not

And you are not."

આ બધાની વચ્ચે બીજી પણ એક વાત યાદ રાખજે teenageમાં તારી તર્કશક્તિ ખુબ જ વિકસશે તું એ તર્કશકિતનો દરેક ડગલે વારંવાર ઉપયોગ કરીશ, argument કરીશ પણ વડિલોનો આદર કરી પોતાની જાતને વફાદાર રહેવાનું સતત યાદ રાખજે.... અને સાથે સાથે એ પણ યાદ રાખજે કે જ્યારે લાગણી, ભાવના ને તર્ક એક જ જવાબમાં ભળે ને ત્યારે એ જવાબ આત્માનો અવાજ બની જતો હોય છે. અને હંમેશા અંતરાત્માના અવાજને અનુસરજે !

Teenage માં આવતો બીજો એક બદલાવ એટલે હંમેશા પોતાને ગમે એવું જ થાય એવી ઇચ્છાથી ભરેલું મન. બસ આ ઇચ્છાઓને જીતતા અવડ્યુ ને એટલે જીવતા આવડી ગયું એમ સમજી લે જે !  તો બીજી બાજુ થોડું પણ કંઇ નહી જ ચલાવી લેવાનું એવો attitude પણ ક્યાંક કોઇક છેડે આકાર પામશે ! હા, કદાચ આ બદલાવમાં જ ઘણા બાળકો મા-બાપની પકડમાંથી છટકી જતાં હોય છે. ક્યાંક જીવનમાં તેઓ ઘણા detach પણ થઇ જતા હોય છે. પણ તું જ્યારે પણ આવું કઇંક અનુભવે ત્યારે ખુલ્લા દિલે મારી સામે આવજે આપણે મજાનું ડિસ્કશન કરીશું... એ વાતના કે એ મુદ્દાના અનેક પરિમાણોને તરાશીસું  કે કોઇક નિયમ કે સિદ્ધાંતની ચર્ચા કરીશું !  અને છેલ્લે એક મજાના નિષ્કર્ષ પર આવીશું અને કોઇ મજાની ફિલોસોફીને પામીશું જે પણ થાશે એમાં કંઇક પામ્યાનો કે જાણ્યાનો એક પરિતોષ ચોક્ક્સ હશે. આવી થતી ચર્ચા એ જ તો જીવનનું ખરું અમૃત છે. એ તો જીવનમાં extra રન રૂપી ઇંધણ છે. અને છતાં જ્યારે પણ  થાકી જા... થોડો પણ હતાશ થઇ જા, ત્યારે હસતાં હસતાં મારી પાસે આવી જાજે, આપણે ક્યાંક બીજા છેડે નવી ઇનિંગ શરૂ કરીશું, કોઇ નવું મેદાન અને કોઇ નવી ટીમ સામે રમીશું અને ચોગ્ગા- છગ્ગા ફટકારીશું.... આ જ તો આપણો મીજાજ છે એ કાંઇ ઓછો છોડાય.... કારણ કે અનેક અશક્યતાઓના ઢગલા નીચે ક્યાંક એક શક્યતા છુપાઇને બેઠી છે. જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી અનેક અશક્યતાઓ સામે બસ મંડ્યા જ રહેવાનું છે ! એની સાથે બાથ ભીડ્યે જ રાખવાની છે ! છતાં એક વાત યાદ રાખજે કે જીંદગી એ કાંઇ સ્કોરબોર્ડ નથી કે રન ઉમેર્યે જ જાવ. અરે, ક્યારેક આઉટ પણ થવાય -તો ક્યારેક ડકમાં પણ જાવાય- તો ક્યારેક ઉપરા ઉપરી નર્વસ નાઇટીનો શિકાર પણ બનાય ! જે પણ થાય એ બધુ જ સ્વિકારવાનું અને.... દરેક ઇનિંગના અંતે  હરીન્દ્ર દવેની આ કવિતા યાદ રાખવાની કે.... 

“આજે આથમેલા સૂર્યના સોગંદ 
હું કાલે સૂર્ય બનીને ઊગીશ 
પ્રચંડ જ્વાળા બનીને સળગીશ. 
એક વિરાટ શૂન્યમાં 
એકલવાયો આગળ વધીશ
પ્રખર મધ્યાહનથી રાતીચોળ સાંજ સુધી 
મારી એકલતા આ ક્ષિતિજે ડૂબશે 
ત્યારે કોઇક બીજી ક્ષિતિજ પર એ 
ઊગતી હશે.”

 

કંજ, મારી એક વાત કાયમ યાદ રાખજે કે જીવનરૂપી પથ પર કંઇ કેટલીયવાર પડીશું, કેટલીય વાર છોલાઇશું તો કેટલીય વાર પગ પણ મચકોડાશું અને કેટલીયવાર તો હાડકા પણ ભાંગીશું એનાથી કયારેય ડરવાનું નહીં. એ જ રસ્તા પર ફરીથી ઉભા થાવાનું, ચોટેલી ધૂળને ખંખેરવાની અને એક ચમત્કાર થશે જ, એ આશા સાથે આગળ વધવાનું !  આવા અથાક પ્રયત્નો થકી જ એક દિવસ આપણા ધ્યેય પર પહોંચીશું જ ! માટે લગે રહો !!! ગમે તે ભોગે લગે રહો !!!

Teenage એટલે જીવનના એ વર્ષો કે જ્યાં તું સ્વતંત્રતા ઇચ્છીશ. દરેક વિચારને અમલમાં મુકવો હશે ને એ બધું જ પામવું હશે.-મેળવવું હશે.  એક પળ કે ક્ષણમાં જાણે બધુ જ પ્રાપ્ત કરી લેવા મન વલખા મારતું હશે અને રોમે રોમ એ કામ કરી લેવા ક્યાંક તત્પરતા બતાવશે. અનેક બાજુથી અથાક પ્રયત્નો પણ થાશે, અનેકમાં તું સફળ પણ થાઇશ અને અનેકમાં તું નિષ્ફળ પણ જઇશ. જે પણ થાય એની ચિંતા ન કરતો પણ, તું તારી મરજીથી જ દોડજે.... પામજે... અને જીતજે...

 

ઓ, મારા પ્રિય teenager છેલ્લે એટલું જ કહીશ કે  જ્યારે પણ સતત સફળતાની  હરણફાળ ભરતો હો ત્યારે કે અનેક નિષ્ફળતાઓથી ઘેરાઇ જા ત્યારે એ સમગ્ર સમય દરમ્યાન લાગણી, ભાવના, નમ્રતા, ધીરજ, સહનશીલતા,  જેવા ગુણો સતત જાળવી રાખજે કારણ કે જ્યારે પાછળથી સફળ થઇને કે કંઇક પામીને એક ઊંચાઇ પર બેઠો હોઇશ ને ત્યારે એ તને એક અલગ જ રીતે ગર્વાન્વિત કરશે... એ ફિલિંગ્સ શબ્દાતીત હોય છે. અને એનો આનંદ અનેરો હોય છે. એને પામજે ! teenage રૂપી જીવનના નવા પડાવને મજાથી તરાસ અને teenager હોવાનો ગર્વ લઇ મજાના કોઇ નવા ક્રિયેશનને આકાર આપજે ! ઉંમરના અલગ અલગ પડાવોમાંથી જ્યાં Curiosity, Adventure, excitement, zealous જેવા ગુણો બહાર આવવા સૌથી વધુ વલખા મારાતા હોય છે એવા teenage રૂપી પડાવ પર fully update થા અને એક મજાનો teenager બની જીવનને માણ.. જાણ... અને પિછાણ.....

-    મમ્મી-પપ્પા


 

ધીંગી ધરાના ધૂળધોયા ને સવા શતાબ્દીએ સલામ !!!!!

શતાબ્દિ વંદના....



આજથી બરાબર 125 વર્ષ પહેલા 28 ઑગસ્ટ 1896ના દિવસે સૌરાષ્ટ્રની ધરતીનો એક અનોખો પ્રદેશ કે જે  કંકુવરણી ભોમકા(ધરતી) તરીકે ઓળખાય છે અને જ્યાં માં ચામુંડાનું સ્થાનક છે એ ચોટીલાના પ્રદેશમાં એ જમાનાના અઘોર વાસ તરીકે ઓળખાતા પોલિસ મથકના  ઘરમાં એક પાણીદાર બેટડો જન્મે છે. એ બાળક યુવા અવસ્થાએ પહોંચે છે ત્યારે કહી શકાય કે વાંકડિયા વાળને માથે ફેંટો, એ જ કાઠિયાવાડી પહેરણ-ઘુંટણ સુધીનો લાંબો કુર્તો ને ઉપર કોટી, પગ ઉપર ધોતી ને તળિયે મોજડી પહેરતો જુવાન પોતાની સમજણને આધારે વાતું માંડે, કવિતા લખે, ગીતો લખે, સ્વતંત્રતા સંગ્રામનો એક અલગ જ હિસ્સો ગણી શકાય એવા અનેક કામ કરે, ગામના પાદર કે ઝાંપે કે ખેતરે બલિદાન આપી ચુપ થઇ ગયેલ પાળિયાવ ને કે ખાંભીઓને સીમાડાઓ તોડી આખા પ્રદેશમાં યુગો સુધી યાદ રહે એવી મજાની ઓળખ આપે.... એ નામ એટલે ઝવેરચંદ મેઘાણી. 

આ એક એવા સમયની વાત છે કે જેમાં એક તરફ અંગ્રેજ સલ્તનત અને એમની સાથે આપણામાંના  જ થોડું ભણેલા પણ એમના બની બેઠેલા માણસો વચ્ચે જીવન હતું, રજવાડા અને રાજના માણસો વચ્ચે જિંદગી જાણે ઝોલા ખાતી, સંબંધો અને વચનમાં અટવાતો માણસ આયખું એમ જ પુરૂ કરી નાખતો, રૂઢિચુસ્તતા અને અનેક બંધનોમાં માણસ એમ જ જીવન જીવતો, ક્યાંક દુષ્કાળ કે પુરથી પીડાતો એક આખો મોટો વર્ગ, તો વળી ક્યાંક  નાત- જાતના બંધનોથી  પિડતો આખો એક જનસમુદાય, પણ આ બધાની વચ્ચે  લાજ અને વેદના સાથે ક્યાંક આખું આયખું પુરું કરતી પ્રજા વચ્ચે નિપજેલા  અનેક અપવાદોને, અનેક પરાક્રમોને અને અનેક ગાથાઓને જીવતી રાખવાનું કામ જો કોઇએ કર્યું હોય તો એ મેઘાણી. એમની આ વાતોમાં ક્યાંક નેક, ટેક અને વચનથી બંધાયેલ માનવની ગાથા છે તો ક્યાંક પાણીદાર ઘોડા કે ગાયું કે ભેંસ કે સાવજની દરેક ડગલે ને પગલે વાતું છે. બલીદાન અને શૌર્ય છડી પોકારીને શબ્દે શબ્દે બોલે છે. શબ્દોમાં પ્રકૃતિની સોડમ છે ને ઊઠો જાગો અને લાગી પડોની એક હાકલ છે. રણનું મેદાન છે ને ગામનું સાવ નાનું ખોરડું પણ છે.  ગામડા ગામના સાવ સાદા દેખાઇ ઉઠતા માણસમાં ક્યાંક કોઇ ભગતની વાત છે તો ક્યાંક માથે બેડું અને કાંખમાં ગાગર લઇ રોજ હાલી આવતી બેન દીકરીઓની શૈર્ય ગાથા છે તો ક્યાંક એના ત્યાગ અને સમર્પણની મજાની વાતું છે. ત્રોફુ ત્રાફવાતીને બહારવટિયાના ભરપેટ વખણ કરી એના પર વિશ્વાસ રાખતી બેન-દીકરીયુંના બોલ કે બલિદાન આજે જો જીવે છે તો એ માત્ર ને માત્ર મેઘાણીના લોકસાહિત્યના કારણે.

કલમના આ કસબી એ પોતાની દસ્તાને કલમથી  ઇતિહાસની એવી મજાની  વાતું આલેખી કે આખું ગુજરાત આજે સવાસો વર્ષે પણ મેઘાણી નામને માનપૂર્વક યાદ કરે છે. બસ્સો- ત્રણસો કે ચારસો વર્ષ પહેલાના ઇતિહાસની વાતું વાંચતાં એ જાણે આજે પણ નજર સમક્ષ આવીને ઊભી રહી જતી હોય અને આપણે એ પ્રદેશને કે એ સ્થળને કે એ પાત્રને અડીને આવી પહોંચ્યા હોય એવું વાંચ્યા કે માણ્યા પછી  લાગ્યાં કરે એવું ઉમદા સાહિત્ય પિરસ્યું. ધન્ય મેઘાણી ધન્ય !  

અનેક રીતે શબ્દોને પોંખનાર આ સરસ્વતી ઉપાસક ગદ્યના શબ્દને એવી રીતે રજુ કરે કે બાળમાનસ હોય કે જનસમુદાય એની વાત જાણે કાયમ માનસપટ્ટ પર અંકિત થઇ જાય તો પધ્યના શબ્દો હૈયે એવા તો કોતરાય જાય કે રોજ હોઠે આવીને  રમે !  માણ્યા પછી એકવાર તો મન પોકારી જ ઊઠે કે હે મેઘાણી તારા જેવો શબ્દોપાશક આ જગતમાં મળવો મુશ્કેલ !  

આજે આ મેઘાણી સાહિત્યમાં ક્યાં ક્યાં છે?  તો એક જ જવાબ છે કે ગામડા-ગામના લોકગીત થી માંડી લોકવાર્તાઓમાં સતત મેઘાણી ધબકે છે. કવિતાઓમાં કે શૌર્યની વાતોમાં મેઘાણી સતત ડોકાય છે.  સોરઠના સંતોની વાત હોય કે સિંહની વાત હોય મેઘાણી ક્યાંક ને ક્યાંકથી બોલી ઊઠે છે. માત્ર વાતો નથી મંડાતી એમના લેખનમાં અવીરત રીતે સત્યનો રણકાર તળપદી ભાષામાં સતત વહેતો રહ્યો છે અને હજુ નવી પેઢી એ માણી જ રહી છે. એમના જ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે “ગામડા ગામની વાતોને એવી રીતે રજુ કરી કે એ વાતુ પાદર છોડી - બધા જ સીમાડાઓ તોડીને શહેરની ગલીઓમાં અને લોકહૈયામાં સ્થાન પામી.”  

ધર્મઝનૂનનાં વિષ નિતારતી વાતો આલેખે અને નવું જોમ પુરે એ મેઘાણી. એક પ્રદેશ કે પ્રજાની જીવન પ્રત્યેની, ધર્મ પ્રત્યેની કે મૃત્યુ પ્રત્યેની જે ફિલોસોફી હોય  એને બખુબી રજુ કરી આપી એ મેઘાણી !  જાતવંત લોહી-મિશ્ર કે વિર્યવંત કેટલીય જ્ઞાતિઓને કેટલીય જાતિઓને એના મૂળિયા સુધી લઇ જઇ એમના મજાના ઇતિહાસનું અમૃત પાન કરાવ્યું ને સાથે સાથે  એમના  અજોડ ઇતિહાસને લોકમાનસમાં કાયમ માટે કંડારી આપ્યો એ મેઘાણી.  આ જગતમાં DNAની શોધ તો 65-70 વર્ષ પહેલા થઇ, પણ કોઇ ખોરડાની કે કોઇ કોમની કે કોઇ જાતિ ની  ખાનાદાનની-ખુમારીની-શૌર્યની-બલીદાનની  કેટલીય વાતું એવી રીતે આલેખી કે જાણે સમગ્ર પ્રજાને એનો એક એક્ષ-રે એમના હાથમાં ધરી દીધો. અને એટલે જ કંઇ કેટલાય કુટુંબ માટે, લોક માટે, પ્રજા માટે મેઘાણીના લખાણ આજે પણ એક પ્રોમીસરી નોટ સમાન છે. નોબેલ પારિતોષિક સમાન છે.

મેઘાણીની શબ્દ સાધનાના ઊંડાણમાં ક્યાંક કોઇ કવિ પ્રગટ થતો દિસે તો ક્યાંક ઊચ્ચ કક્ષાનો મજાનો પત્રકાર દેખા દે ! એક કવિ, લેખક, વિવેચક, નવલકથાકાર, સંશોધક, સ્વતંત્રસેનાની, પત્રકાર, સમાજ સુધારક, વિચારક, અનુવાદક, વક્તા અને ગાયક એવા મેઘાણીને તમે એકેય ક્ષેત્રે સહેજેય ઓછા ન આંકી શકો.  અને છતાં નિરાભીમાન સાથે સાદાઇથી પોતાને ‘પહાડનું બાળક’  કહેવડાવે એવા આ મજાના મેઘાણી !  જ્યારે એક કવિ તરીકે મેઘાણીની વાત મંડાય ત્યારે ચોક્ક્સ કહેવું પડે કે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાની સાથે સાથે અનેક ગીતો રચી લોકજુવાળમાં એક અલગ જ  ભાવના અને જોમ પેદા કરવામાં મેઘાણીનું અનેરૂ યોગદાન રહ્યું છે. એમની અનેક રચનામાં વેદના અને લાગણી નીતરતા શબ્દો દરેકને પોતિકા લાગે અને સાંભળનાર કે ગાનાર કે વાર્તાકારની આંખો ત્યારે પણ ભીની થાતી અને આજે પણ એવું બને જ છે. પછી ભલેને એ ધંધુકાની કોર્ટ કચેરીમાં ઉભરાયેલ માનવ મહેરામણ સાથે જજની પોતાની દાસ્તાન હોય કે કોઇ બીજી જ જનમેદની હોય કે આજના ડાયરાનું સ્ટેજ હોય ! એમની અનેક રચાનાઓમાં લોકોના ધડકતા દિલ ને નમ થઇ ઊઠતી આંખો જોવા મળે જ !

મેઘાણી એમની રચનાઓમાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ઉચ્ચસ્તરીય અનુવાદના લાગણીભીના રણકારથી કવિતા કે કોઇ વાતને પોંખીને રજુ કરવી એ મેઘાણીના જીવનની બીજી બાજુ. એ અનુવાદ પણ એટલો મજાનો થાય કે મૂળ કૃતિ કે રચના પણ વામણી લાગે પછી ભલે ને એ ‘રક્ત ટપકટી સો સો ઝોળી આવે’....એ  હોય કે બીજુ કાંઇ.....

છતાં આ બધાની વચ્ચે એક ઓફબીટ વાત કહું !   કોર્ટમાં ગાયેલું ‘છેલ્લી પ્રાર્થના’ ગીત હોય કે ઓરજીનલને પણ ભુલાવી દે એવો ભાવાનુંવાદ કરી રચેલું ‘કોઇનો લાડકવાયો’ ગીત હોય એ બન્ને સાથે ક્યાંક ને ક્યાંક જેલ શબ્દ જોડાયેલો છે.

આ જ  મેઘાણી પોતાના જીવાનમાં 12 વર્ષની ઉમરે પહેલી કવિતા લખે પણ છેક  1928માં 32 વર્ષની ઉંમરે પોતાનો પહેલો  કવિતા સંગ્રહ ‘ વેણીના ફૂલ’ આપે !  અને વેણીના ફૂલના પ્રથમ આવૃતિના સમાપન સમયે બેનીનો આ લાડકવાયો એના પોતિકા  મીજાજમાં કહે છે કે “ હું તમારે માટે નવા ડુંગરા ભમું છું. ને નવા ફૂલો વીણું છું.”  અને વળી ક્યારેક આ જ મેઘાણી નિરાભીમાન સાથે કહી શકે કે  “હું લોકજીવન અને લોકહ્રદયનો નમ્ર નિરીક્ષક છું.  હું તો લોકજીવનનો નિરીક્ષક અને ગાયક છું.” વાહ લોકજીવનના ગાયક તને કોટી કોટી પ્રણામ !  

12 માર્ચ 1930ના રોજ દાંડીકૂચ અને બરાબર 24 દિવસ પછી 6 એપ્રિલ એટલે મેઘાણીના ત્રીજા કાવ્ય સંગ્રહ (‘કિલ્લોલ’ બીજો કાવ્ય સંગ્રહ 1929) ‘સિંધુડા’ નો જન્મ. રાષ્ટ્રપ્રેમ જગાવી આપે અને યા હોમ કરીને સ્વતંત્રતાની લડાઇમાં ઝંપલાવવામાં મજબૂર કરી મુકે એવો અદભુત કાવ્યસંગ્રહ એટલે ‘સિંધુડો’.  ‘સિંધુડા’ ની તાકાત તો એવી કે સરકારને પણ રચયિતાને પકડવા માટે મજબુર બનાવી !  અને મુકદમો ચલાવી એ કાવ્યસંગ્રહ પર પ્રતિબંધ લગાવાયો. અને છતાંય જેલવાસ દરમ્યાન પણ પોતાનું કામ તો ચાલુ જ રાખે અને ત્યાં જ ‘Somebody’s Darling... કવિતાનો અનુવાદ થાય....  આમ મેઘાણી સતત કર્મશીલ રહે, અને આ કર્મશીલ નૌજવાન મેઘાણીને ન પ્રસિદ્ધિની ભૂખ કે ન કોઇ બીજી ખેવના બસ દેશ-પ્રદેશ કે વતન માટે- આઝાદી માટે લડવું અને કામ કરવું એ જ એક ધ્યેય. એ જ એક મકસદ ! અને એટલે જ એક ખુમારીથી ‘કોઇનો લાડકવાયો અને બીજા ગીતો’ પુસ્તકના નિવેદનમાં મેઘાણી લખી શકે કે “નૌજવાનો જે ગીતોને પોતાના કરી લલકારે, તે ગીતોના રચનારને બીજા કયા બીરદની તૃષ્ણા રહે ?” ધન્ય મેઘાણી તને ઘન્ય !

અરે ! મેઘાણીનો ખરો પ્રતાપ  તો એ છે કે એમના એક જ ગીત અને એના શબ્દોના જાદુએ બાપુને પણ રાષ્ટ્રીય શાયર કહેવા પર મજબુર કરી દિધા. તો બીજી બાજુ એમને માણ્યા પછી ટાગોરને પણ કહેવું પડ્યું કે મારે તો તમારા ગુજરાતને માણવા આવવું પડશે. વાહ બાપ વાહ !

હે... રાષ્ટ્રીય શાયર તને દિલથી વંદન !  

અરે !  આ જ મેઘાણી પોતાના જીવનના સાહિત્યિક પડાવના આરંભના આઠ વર્ષ અને જીવનના છેલ્લા આઠ વર્ષ(1922- 1930, 1939- 1947) જ્યારે લોકસાહિત્ય પાછળ ખર્ચે અને કસુંબલ રંગથી રંગાયેલ લોકસાહિત્ય ગુજરાતી ભાષા-સાહિત્યને આપે ત્યારે ગર્વથી કહી શકે કે “મારું ઇતર લેખન જરૂર ભલે ભૂંસાઇ જાઓ(ને ભૂંસાઇ જશે તો !) હું ફકત એકલો લોકસાહિત્યનું નામ લઇને ઊભો રહીશ.” અને આજે મેઘાણી નથી એને વર્ષોના વાણા વાયા છે, તોયે આજે એક નવા યુગમાં નવી સદીમાં એમનું લોકસાહિત્ય એક બોન્ડપેપેર સમાન છે. સાહિત્યના એક દસ્તાવેજ સમાન લેખાય છે. તો બીજી બાજુ એ પણ હકીકત છે કે એમનું ઇતર લખાણ એ પણ એક ઊંડા સંશોધનનો વિષય છે. એમનાં લખાણોમાં ક્યાંક વિનંતી કે વેદના છલકે છે, ક્યાંક યુદ્ધવિરામ તો ક્યાંક રણશિંગા ફૂંકવાની વાત છે, ક્યાંક સ્વતંત્રતાની લડતનો જોમ છલકે તો ક્યાંક જીવનસંધ્યાની તો ક્યાંક મૃત્યુની છાયા છલકતી દિશે છે... આ બધુ જ જાણે વાચકને પોતિકું લાગે, પોતાના જ જીવનની વાત લાગે... એવું મજાનું આલેખન. અને એ જમાનામાં આની એવી તો અસર થઇ કે મેઘાણીનું નામ પડે અને જનમેદની ઉમડતી. અને છતાં આ બધાની વચ્ચે નમ્ર રહી એમ કહે કે “લોકસાહિત્ય એ તો મહાસાગરને હોડકાથી ઉલેચવાનું કામ છે. અભણ બોલે ને ભણેલા સાંભળે, ગામડું બોલે ને નગર સાંભળે, હ્રદય બોલે ને બુદ્ધિ સાંભળે તેનું નામ લોકસાહિત્ય.” અને એટલે જ  આવા મલ્ટીટાસ્કીંગ અને મલ્ટીટેલેન્ટેડ પર્સનાલીને નવાજવા પિંગળશીભાઇ ક્યાંક લખે છે કે ...

ઘડીક ડેલીએ ઘડીક ડાયરે વનવગડે વિચરતો,
ઘડીક ડોશીમાં પાસે બેસી વ્રતકથાઓ સૂણતો,
ગીરતણા જંગલમાં રાતે ખડતલ આંટો ખાતો,
માલધારીઓને મનગમતો ગીત નેસમાં ગાતો.

વાહ મેઘાણી વાહ !

સાહિત્ય શબ્દને કેમ જીવાય, કેમ પચાવાય અને સાહિત્ય રસને કેમ પીવાય એ તો તે દરેક ડગલે સાબિત કર્યુ !

તો વળી,  સરદાર વલ્લભભાઇ પટેલે એમને ‘A voice full of courage’ નું બિરુદ આપીને નવાજ્યા છે.

અને આ બધાની વચ્ચે એક સાચી વાત કહું -એક હકીકત કહું કે કાળની થપાટે કે સમયાંતરે સાહિત્યમાં શબ્દો નવજીવન પામતાં રહેતા હોય છે. પણ કોઇ એક જ માણસના શબ્દો જાણે એક સદી જેટલા સમય સુધી સતત લોકમોઢે એના એ જ સ્વરૂપે રહ્યા હોય અને એક દાસ્તાવેજ બની જતાં હોય એવું ભાગ્યે જ ક્યાંક બનતું હોય છે. જાણે આખા પ્રદેશની પ્રજા માટે એ સાહિત્ય એક વેદ સમાન હોય, સમજણની કે ઇતિહાસની એક સીડી હોય, લોકજીભે કે લોકબોલીમાં એ આગવું મહત્વ ધરાવતા હોય એવી કમાલ જો કોઇએ કરી હોય, એવું નામ જો લેવું હોય તો માત્ર ને માત્ર  ઝવેરચંદ મેઘાણી એ એક જ નામ યાદ આવે.

 

સૌરાષ્ટ્રની વાત હોય,  જ્યાં ખાગ અને ત્યાગ પોતાના સ્વાર્થ માટે નહીં પણ પરોપકાર માટે ઉપયોગમાં લેવાયા હતાં ત્યાં ત્યાં મેઘાણીની કલમ બોલી છે, ક્યાંક ઓવારણા લેતી મા કે બેન દીકરીયુંની વાતો છે, તો ક્યાંક લગ્નની પહેલી રાતે જ યુદ્ધે ચડેલ વીર ની વાતો છે. ક્યાંક ગર્ભમાં રહેલા બાળની વાત છે તો ક્યાંક ગર્ભવતી માંની વાત છે. અને એ ઇતિહાસ આજે પણ એટલા જ ગર્વ સાથે યાદ કરાય છે. નાના વરણનો કોઇ માણા હોય પણ એની ખાનદાની મહેકતી હોય એની વાત હોય કે ઉજળિયાત કોમના કોઇ ભામાશાની વાત હોય કે કોઇની ખુમારીની વાત હોય, શૌર્ય કે બલીદાનની વાતનો ડાયરો જેણે હાટડીએ હાટડીએ જમાવ્યો એ મરદ મેઘાણી. તો આ મેઘાણીએ જ ગુજરાતમાં ‘માણસાઇના દીવા’ થકી અજવાળા પાથર્યા.  અને છતાં સહજતાથી કહે કે “મારી પ્રકૃતિમાં એક લાભદાયી તત્વ છે :  હું એક રસઘોયું શ્રોતા છું. સામાની વાતોને સાંભળ્યા જ કરવાનો સ્વાદિયો છું.” વાહ મેઘાણી વાહ ! એક રસઘોયા શ્રોતા બનીને જે સાંભળ્યું અને એને જે રીતે સાંકળ્યુંએ માટે તમે આજે પણ  યાદ છો જ અને એટલા જ પ્રસ્તુત છો !

પણ, દેશની આઝાદીને માત્ર 158 દિવસની જ વાર હતી એ દિવસ એટલે  9 માર્ચ 1947 અને તે દિ આ ગીતગાનારો, કથાયુ લખાનરો - 50 વર્ષ 6 મહિના અને 11 દિવસ લગી લાડકવાયો બની ડુંગરા ભમનારાના જીવનમાં કલમરૂપી શરીરમાંથી જાણે શાહી એકદમ જ સુકાઇ ગઇ, અને કલમ કાયમને માટે ખામોશ થઇ ગઇ. પણ જીવભર આ પાણીદાર માણસ દેશવાસીઓને  એક આલગ જ ખુમારી દેતો ગયો, દરેકના દિલમાં દેશદાઝ ઝગાડતો ગયો, લોક મોઢે પોતાના શબ્દો ગીત રૂપે દેતો ગયો,  સાહિત્યને નવા રૂપરંગ રંગતો દેતો ગયો, અનેકના ઇતિહાસને ઉજાગર કરતો ગયો. અને સંસ્કૃતિની ધરોહરને એવું તો પાણી પાયું કે જાણે આવનારી અનેક સદીઓ ઝવેરચંદ મેઘાણી એ નામ નહી જ ભુલે. પણ, ક્યાંક દેશની સંસ્કૃતિને જાળવવા સતત મથનારો ને હર પળે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનારો, સાહિત્યને કલમના કસબી બની ઘુંટડે ઘુંટડે કસુંબલ રંગ પનારો,  ને પાળિયાને બોલતા કરનારો, મૂક બની ગયેલી ખાંભીઓને નવજીવન બક્ષનારો મેઘાણી આપણી વચ્ચે આજે  શહેર મધ્યે ચાર રસ્તે બાવલું બનીને કે ઓફિસ કે શાળામાં એક  ફ્રેમમાં જ રહી જાય એ કેમ કરીને ચાલે એને માટે છેલ્લે એટલું જ કહેવાનું કે અનેક વાતો વાંચી મોટી થતી આજની પેઢી સામે એકવાર તો સોરઠી બહારવટિયાની કે સોરઠી સંતોની કહાની વાંચો....!  નવી પેઢીનો એ જુવાન ચોક્ક્સ બોલી ઉઠશે કે આ તો આપણા ગામડા ગામના કોઇ મજાના માણસની વાત છે. મારે તો એની આ જગ્યાએ  જાવું છે ને ગામ જોવા જોવું છે. ગુજરાતી લોકસાહિત્યને અનેરી ઉંચાઇ બક્ષનારા ને ધીંગી ધરાના એ ધૂળધોયા ઝવેરચંદ મેઘાણીને કદાચ આ જ ખરી સલામી હશે ! આ જ ખરા અર્થમાં વંદન હશે ! હે મેઘાણી સવા સતાબ્દીએ તને સો સો સલામ !

-        અજીત કાલરિયા

M :  9979859475

 

 

 

 

 

 

 

 


Meghani Statue at Race Course Vadodara





દરેક શહેરમાં કોઇકને કોઇક ચૌરે કે કોઇ સરકારી કચેરીના પ્રાગંણમાં ક્યાંક કોઇકનું મજાનું બાવલું ઊભું હોય છે. શા માટે ? જવાબ છે. સતત દોડીને થાકેલો માણસ ક્યાંક એ મહામાનવને જોઇ એના વિચારોને પામી ફરીથી દોડતો થાય, તો વળી ત્યાંથી પસાર થતાં દરેકને ક્યાંક એ મહામાનવના આદર્શો કે સિદ્ધાંતો યાદ આવે અને આચરણમાં મુકાય, તો વળી કોઇક પૌત્ર દાદાજીની આંગળી પકડીને ચાલતો જાતો હતો કે પછી પોતાના પિતા સાથે ત્યાંથી પસાર થાય અને પોતાની જીજ્ઞાસા સંતોષવા પુછી બેસે કે આ બાવલું કોનું છે ? એ કોણ હતું ? અને એ દાદાજી કે પિતા  ઇતિહાસની તરજો પર ચડેલી ધૂળને ઉડાળીને મજાનો ઇતિહાસ માંડે અને નવી પેઢી એ નામને જાણે અને કદી ન ભુલે એ જ ઉદેશ્ય સાથે શહેરમાં ક્યાંકને ક્યાંક કોઇ મહામાનવના બાવલા મુકાતા હોય છે. પણ જ્યારે કોઇ નવી પેઢી સામે કોઇ એ બાવલાનો ઇતિહાસ માંડતું હશે ને ત્યારે ઘડિક તો એ બાવલામાં પણ પ્રાણ આવી જતાં હશે અને કોઇકનો મજાનો ઇતિહાસ સાંભળ્યા બાદ જ્યારે નાનો બાળ બોલી ઉઠતો હશે કે હું પણ આમના જેવો જ બનીશ કે આમના જેવું જ કોઇક મહાન કામ કરીશ ત્યારે તો કદાચ એ બાવલું આછું હસી પણ લેતો હશે. પણ આ બાવલા એમ જ થોડા મુકાઇ જતા હોય છે એના માટે તો કોઇક વિરલાના મનમાં એ વિચારનો ફણગો ફુટવો જોઇએ, અનેકનો સહકાર જોઇએ બવલાને કંડારનાર મજાનો કસબી જોઇએ અને શહેરના ઉપરી અધિકારીઓની જે તે જગ્યાએ મુકવા માટેની હા પણ જોઇએ. અને આજે આવી જ એક મજાની વાત માંડવી છે, કહાની છે વડોદરાની ! હા, એ જ સંસ્કારનગરી વડોદરાની ! છેલ્લા વિસેક વર્ષ કરતાં વધારે સમયથી વડોદરામાં જનજાગૃતિ અભિયાન ચલાવી અનેક મજાના આયોજન કરી શહેરીજનો અને યુવાનોને એક અલગ જ રાહ ચિંધી એ નામ એટલે મનહરભાઇ શાહ. 29/01/2007નો દિવસ હતો અને આવું જ એક કોઇ મજાનું આયોજન સાકાર થઇ રહ્યું હતું... એ પ્રસંગ હતો શહિદ ભગતસિંહના જીવન અને કાર્ય ઉપર તૈયાર કરવામાં આવેલ પ્રદર્શનનો... મંચ પર મનહરભાઇ હતાં અને અતિથી વિશેષ તરીકે સમાજીક કાર્યકર મૌલિન વૈષ્ણવ હતાં. મનહરભાઇએ પોતાના મનના વિચારને વાચા આપતાં કહ્યું કે આ સંસ્કારી નગરીમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનું જો એક સ્ટેચ્યું હોય તો એને જોઇને આવનારી પેઢી કંઇક પ્રેરણા લેશે અને સંસ્કારીનગરીની ગરીમામાં વધારો થાશે. મનહરભાઇના મનોવિશ્વમાં ફણગો થઇ ફૂટેલ આ સુંદર વિચારને મૌલિનભાઇએ તરત જ સહર્ષ સ્વિકારી લીધો અને જાહેર કર્યું કે શક્ય એટલી ઝડપથી ઝવેરચંદ મેઘાણીજીની સુંદર પ્રતિમા યોગ્ય જગ્યાએ મુકાશે. અને પછી શરૂ થયા મનહરભાઇના અથાક પ્રયત્નો ! અને 15/08/2008 ના રોજ મોરારી બાપુના હસ્તે પ્રતિમાનું અનાવરણ થયું. હા, આ કાર્યમાં મૌલિનભાઇની સાથે સાથે રાઘવજીભાઇ રયાણીનો પણ એટલો જ સહકાર રહ્યો હતો. આમ, વડોદરાની બે સામાજીક કાર્યકર સંસ્થાઓ સૂરવાણી અને અ. કે વૈષ્ણવ ચે. ટ્રસ્ટના સહયોગથી વડોદરાના જાહેર માર્ગ પર રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા સ્થાન પામી.  અને મજાની વાત તો એ કે આ પ્રતિમા વડોદરાના જ શિલ્પી કોલ્હાટકરે(જેમની ત્રણ પેઢીથી આ જ કામ કરાય છે)જ કંડારી છે. પ્રતિમા તો મુકાઇ પણ પછી શું ???? આ સંસ્કારીનગરી છે એ કંઇ ચુપ થોડી રહે....! મેઘાણીજીના જન્મદિવસે ત્યાં સુંદર આયોજનો થાય...  જોરૂભા ખાચર જેવા મર્મજ્ઞી મજાના દુહા-છંદ રજુ કરે અને મેઘાણીની વાતો માંડે ત્યારે અનેરો આનંદ છવાય અને સમગ્ર વાતાવરણ મેઘાણીમય બની રહે.  એમાં પાછા એક મેઘાણીપ્રેમી જીવ તપનભાઇ દાસગુપ્તા આંતરશાળાકીય નર્મદ - મેઘાણી ગ્રુપ સોંગ સ્પર્ધાનું આયોજન કરે અને નવી પેઢીના હૈયામાં મેઘાણીને જીવતા રાખે. એમાંય પાછું ગયા વર્ષે તો મેઘાણી ગરબાનું આયોજન કર્યું અને નવો વિક્રમ સર્જી નાખ્યો. અને આ વર્ષે તો આ બધાને સાથે મળીને જોરશોરથી મેઘાણીની 125મી જન્મજ્યંતિ ઉજવવાનું ઘેલું હતું, ઇન્તેજારી હતી. પણ કોરોનાના કહેર વચ્ચે એ આશા અધુરી રહી પણ જનજાગૃતિ અભિયાનાના પ્રણેતા મનહરભાઇની પ્રેરણા અને સાથથી જોરૂભા ખાચરે સરે શરૂ કરેલ 125 ઝવેરચંદ મેઘાણી વંદના વ્હોટસ એપ ગ્રુપમાં ઘણું જાણવા મળે છે અને એક અનેરી રીતે મેઘાણીજીને સાચી રીતે યાદ કરી વંદન કરાય છે એવું સતત લાગ્યા કરે છે.

રવિવાર, 16 ઑગસ્ટ, 2020

Happy Birthday Madam, 
સ્વચ્છ, સુઘળ અને સુંદર અક્ષરોથી ભરેલું રજીસ્ટર એ કોઇપણ શિક્ષક પાસેથી રખાતી સૌથી પહેલી આશા ગણાય. પોતાના બાળકને ખુબ જ મજાનું ભણતર મળે અને સારા માર્કસ મેળવે એ વાલી તરફથી શિક્ષક પાસેથી રખાતી પ્રાથમિક આશા ગણાય ! સતત નિર્વ્યાજ પ્રેમ સાથે પોતાને ગમતી રિધમમાં શિક્ષણ કોઇ શિક્ષક પાસેથી મળ્યા કરે એ કોઇપણ વિદ્યાર્થીની પહેલી ડિમાન્ડ ગણાય ! પણ, આટલું હોય એટલે એક શિક્ષક પોતાની જવાબદારીમાંથી મુકત એવું થોડું છે ??? કેટલાય શિક્ષકોના પડદા પાછળના યોગદાનને જીવન પર્યંત નજર અંદાજ કારાતું હોય છે. આવું અનેરું યોગદાન અમારી IPCL સ્કૂલમાં કાયમ માટે રહ્યું હોય એવા એક શિક્ષિકા એટલે છાયા મેડમ. શાંત અને વર્કાહોલિક પર્સનાલીટીની ઓળખ સમા છાયા મેડમ પાછળ એક બીજા છાયા મેડમ પણ મેં સતત જોયા છે જેમ કે....  
કોઇ વિદ્યાર્થીને સ્ક્રિપ્ટ તૈયાર કરાવવાની હોય તો કોઇપણ બાળક પાસે અનેક વખત એ સ્ક્રિપ્ટ બોલાવીને કે હાવ-ભાવ બતાવીને કે ઔન્સ-પ્રૌન્સને સમજાવીને છેલ્લે સુધી સાથે રહેનારા મેડમ એટલે છાયા મેડમ. અનેક વખતે મજાનો વિચાર કે કોઇ વાત કે વાર્તા સહજપણે કોઇપણ વિદ્યાર્થી પાસે તૈયાર કરાવી એસેમ્બલીમાં રજુ કરાવી વિદ્યાર્થીના જીવનમાં અનેરો જુસ્સો પુરો પાડ્યો હોય એ છાયા મેડમ. પ્રાઇમરીમાં ભણતા કોઇપણ બાળકને મા-બાપ ગરબા કે જન્માષ્ટમી કે બીજા કોઇ ફંકશનમાં તૈયાર કરીને મોકલે અને જ્યારે પણ ડ્રેશિંગ થોડું પણ બગડી જાય ત્યારે હરખભેર સામેથી બોલાવી ફરીથી  મજાના તૈયાર કરી આપે એ છાયા મેડમ. એકપાત્રિય અભિનય હોય કે નાટક હોય કોઇપણ બાળકના મજાના  કોસ્ચ્યુમ ડિઝાઇન કરી આપે કે સજેસ્ટ કરી આપે એ છાયા મેડમ. શાળામાં કોઇ નાટક હોય કે ફંકશન હોય કે કોઇ તહેવારની ઉજવણી હોય એના શણગારમાં એના ક્રાફ્ટ ડિઝાઇનમાં પણ ક્યાંક ને ક્યાંક છાયા મેડમનું યોગદાન દેખાઇ આવે. સંગીતમાં પણ બાળકોને મદદ કરે એ છાયા મેડમ.  આમ, છાયા મેડમ એટલે સ્ટેજક્રાફ્ટ, કોસ્ચ્યુમ ડિઝાઇનર અને સંગીત એમ ત્રીવેણી ટેલેન્ટનો પર્યાય. શિક્ષણ અને સ્કૂલના સંગમતીર્થ પર મારા જેવા અનેકને ક્યાંકને ક્યાંક પારસમણી સ્પર્શ આપી ચુક્યા છે એવા છાયા મેડમને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ ....


Happy Birthday madam !
જીવનમાં અનેક શિક્ષકોની વણથંભી રફ્તાર જોઈ અને એક શિક્ષક તરીકે પણ થોડા વર્ષો પસાર કર્યા.જયારે એક શિક્ષક હતો ત્યારે મેં મારા જીવનમાં મને ભણાવનારા અનેક શિક્ષકોનો પ્રભાવ અનેક સમયે અનુભવ્યો ! એમાંનું એક નામ એટલે પરાગી મેડમ એવું ચોક્કસ કહીશ ! પ્રાઈમરીમાં ડસ્ટર પછાડ્યા વગર પણ પ્રેમથી વિદ્યાર્થી પર કેમ પ્રભાવ પાડી શકાય અને ખુબ જ ઉમદા રીતે ભણાવી જ્ઞાન કેવી રીતે પિરસી શકાય એ જોવું હોય તો પરાગી મેડમ, તરૂ મેડમ અને છાયા મેડમના કરિયર ગ્રાફને અભ્યાસનો વિષય બનાવવો પડે એવું ઉત્તમ કામ આ ત્રિપુટી એ બાળકોના ઘડતર માટે કર્યું છે એવું ચોક્કસ પણે માનવું રહ્યું. પણ આજે વાત માત્ર પરાગી મેડમની જ ! વિજ્ઞાન અને ગણિત ભણાવતા ક્યારેય ગુસ્સે થયેલા ન જોયા હોય એમાં ના એક શિક્ષક એટલે પરાગી મેડમ ! પ્રાઈમરીમાં લગભગ સૌના પ્રિય થઇ પડનારા અને દરેકને નામ સાથે યાદ રાખીને બોલાવે અને કોઈને પણ શાંતિથી ડાઉટ ક્લિયર કરાવે એવું સહજ અને ઉમદા વ્યકિત્વ એટલે પરાગી મેડમ. ટૂંકમાં પ્રેમ, લાગણી અને શિક્ષણનો અદ્ભૂત સમન્વય જેમનામાં ભારોભાર ભરેલ એવું વિદ્યાર્થીઓના દિલમાં વસેલું નામ એટલે પરાગી મેડમ ! પ્રાઈમરી સ્કૂલમાં આદર્શ શિક્ષિકા કેવા હોય તો કહી શકાય કે પરાગી મેડમ જેવા ! આજે પણ એક અનેરો ગર્વ છે કે મેડમ હું તમારો વિદ્યાર્થી છું. Once again Happy Birthday madam !

ભજગોવિન્દમ



પ્રો. દિનેશ પાઠક એટલે મિત્ર નિર્મલના પપ્પા. આમ તો architect department માં પ્રોફેસર, પણ જીવનમાં અધ્યાત્મ અને સાહિત્યનો અદભુત સમન્વય દરેક ડગલે દેખાઇ ઉઠે એવું સહજ વ્યક્તિત્વ. આજે પણ એ દિવસ યાદ છે કે અમે જ્યારે B.Sc. માં ભણતાં હતાં ત્યારે નિર્મલ અમને સૌને(થોડા મિત્રો) એના ઘરે અધ્યાપક કુટીર લઇને ગયો હતો ત્યારે એ પ્રથમ મુલાકાત, ત્યારે એમની સાથેની વાતચીતમાં જ અમે સૌ મિત્રો એમના દિવાના બન્યા ! એમની દરેક વાતમાં ક્યાંક નોલેજ તો ક્યાંક જે તે વિષયનો ઉંડાણ પૂર્વકનો અભ્યાસ દેખા દેતો એ 
અમારી નોંધ બહાર ન હતું. ત્યારબાદ પણ સમયાંતરે ક્યારેક કયારેક એમને ચોક્ક્સ મળવાનું બન્યું જ છે. આ 5 જૂને એમણે 75માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે એમની યશકલ્ગીમાં વધુ એક પીછું ઉમેરતું પુસ્તક ભજગોવિન્દમ પ્રકાશીત થયું અને થોડા દિવસમાં જ મિત્ર નિર્મલનો ફોન આવ્યો કે અજીત બાપુજી યાદ કરે છે. એમનું નવું પુસ્તક આવ્યું છે તને આપવું છે મળવા બોલાવે છે. અને આજે એ પુસ્તક વાંચી ચુક્યો છું. હા, આ એ જ લેખક દિનેશ પાઠક છે કે એમનું પુસ્તક ષોડશ સંસ્કાર અનેક મિત્રો અને સ્નેહીજનોને ભેટ આપી ચુક્યો છું. પણ આજે વાત એમના પુસ્તક ભજગોવિન્દમની ! શંકરાચાર્ય રચીત ભજગોવિન્દમ સ્તોત્રમાં કુલ 33 શ્લોક છે પણ આ પુસ્તકમાં માત્ર 18 શ્લોકનો એકદમ સરળ ભાવાનુંવાદ સાથે વિસ્તૃત વર્ણન છે. તમારા દરેક પુસ્તકમાં તમારો પોતાનો એક શબ્દ લય પ્રગટ થતો હોય છે એવું આ પુસ્તકમાં પણ દેખાઈ જ આવે છે.આ વર્ણન એટલું સરળ અને સહજ છે કે માત્ર ગુજરાતી વાંચી જાણતો સામાન્ય જન પણ ભજગોવિન્દમના એ શ્લોકના મર્મને સમજી શકે અને બીજા કોઇને કહી કે સમજાવી પણ શકે ! ક્યાંક કર્મમીમાંશા છે તો ક્યાંક ભક્તિની વાત છે. ક્યાંક બુદ્ધની વાત છે તો ક્યાંક શ્રી કૃષ્ણની વાત છે. ક્યાંક પ્રભુ દર્શન છે તો ક્યાંક એમની વાતમાં જાણે આખું દર્શન શાસ્ત્ર છલકે છે. ક્યાંક અંગ્રેજી ક્વોટ છે તો ક્યાંક મજાના સંસ્કૃત સુભાશીતો છે. આ બધામાં ક્યાંક મજાના પ્રેરણાદાયી પ્રસંગો છલકે છે તો ક્યાંક એમણે જ રચેલા ગીતો કે કવિતા આખી વાતના મર્મને ચાર ચાંદ લગાવી જાય છે. ક્યાંક ઉપનિષદની વાત છે તો ક્યાંક ગીતાના શ્લોકની વાત છે. આ બધાની વચ્ચે પુસ્તકની શરૂઆતમાં લખાયેલ શંકરાચાર્યનો ટુંકો પણ મનમોહક પરિચય પણ જાણે એક મજાની કહાની કહી જાય છે. એમાં વાત એ જ છે, શબ્દો એ જ છે પણ શૈલી નિરાળી છે. એવું લાગે જાણે એક તૈયાર સ્ક્રિપ્ટ મળી ! આ પુસ્તકમાં દરેક શ્લોકને પુષ્પ નામ અપાયું છે જેમાં પુષ્પ 13ના શ્લોક
कास्तवं काङ्हं कुत आयतः का मे जननी को मे तातः।
इति परिभावय सर्वम सर्वसारं, विश्वं त्यक्तवा स्वपनविचारम् ।।
નું વર્ણન તો મારું સૌથી પ્રિય થઇ પડ્યું, જે મને અનેક વિચારોના વમળમાં લઈ ગયું. ટુંકમાં મોહ મુગ્દર કહો કે ચર્પટ પંજરીકા કહો કે ભજગોવિન્દમ કહો લેખક પ્રો. દિનેશ પાઠકે જે 18 શ્લોકનું મજાનું વર્ણન કર્યું છે એ એટલું સરળ અને સહજ છે કે ભજગોવિન્દમ પ્રત્યે અદમ્ય આક્રર્ષણ થયા વિના નહી જ રહે. આવું મજાનું પુસ્તક આપવા બદલ આપનો દિલથી આભાર.
પ્રો. દિનેશ પાઠકના વિચારો અને અન્ય રચનાઓ વાંચવા માટે
Blog - https://ddpathak.wordpress.com
EBooks Direct Link -
https://ddpathak.wordpress.com/ebooks/