સોમવાર, 20 સપ્ટેમ્બર, 2010

જીવનનાં ત્રણ દશક આત્મમંથન


18 મી સપ્ટેમ્બરે જીવનના 29 વર્ષ પુરા કર્યા અને 30મા વર્ષની શરૂઆત કરી. આવનારા દશ વર્ષો ઉમરમાં સતત 3ની પાછળ કાઉન્ટીંગ કરશે. અને એક બાજુ જીવનના 3 દશક પુરા કર્યા છે. ખબર નહી પણ લેખાજોખા જોવા મન સતત જીવનના ઇતિહાસ તરફ નજર દોડાવ્યા કરે છે. પહેલા દશકમાં તો એમ કહી શકાય કે કુટુંબીજનો નો પ્રેમ અઢળક પ્રમાણમાં મેળવી લીધો. નાની નાની બીમારીઓમાંથી પસાર થયેલ એ વર્ષોમાંથી સરળતાથી પસાર થઇ ગયા. જીવનના બીજા દશકમાં ખરેખર ખુબ જ સરસ શિક્ષકો મળ્યા અને જીવનને એક નવી દિશા અપાઇ ગઇ. જેમાં દિલિપ મહેતા પ્રથમ સ્થાને જ આવે તો જે.ડી. પટેલ ને પણ ન જ ભૂલી શકાય. હજુ પણ અસંખ્ય નામો છે. તેમની પાસેથી સતત કંઇક ને કંઇક પ્રાપ્ત થાતુ ગયું. ઘરે જ્યારે જરૂર પડે કે કોઇ પ્રશ્ર્ન સતાવતો હોય તો પપ્પાએ એ જગ્યાએ ચોક્ક્સ સંતોષ આપ્યો છે. મમ્મીએ ભરપૂર લાડ લડાવ્યા છે. આ દશકના અંતિમ વર્ષોમાં હું વાંચન તરફ વળ્યો. બસ પછી તો આ બાબતમાં પાછુ ફરીને જોયુ નથી એમ કહી શકાય. થોડા ઘણા ઉતાર ચડાવ ચોક્કસ રહ્યા છે. જીવનના ત્રીજા દશકમાં ઘણુ ઘણુ કહી શકાય એટલુ શીખી લીધું. અનેક ચડાવ ઉતારો જોયા. આ દશકમાં તો એક શિક્ષક તરીકે નાના બાળકોને આપી શકાય એટલું આપવામાં કંઇ જ બાકી રાખ્યુ નથી. આની પ્રતિતિ ખરેખર જ્યારે દર વર્ષે 18મી સપ્ટેમ્બર આવે અને મારા મોબાઇલનું ઇનબોકસ અને રીસીવ્ડ લિસ્ટ છલકાઇ ઉઠે છે ત્યારે ચોક્ક્સ થાય છે. વર્ષો જુના વિધાર્થીઓ યાદ કરતા જ રહે છે. જ્યાં ગયો છું ત્યાં એક અલગ જ ઇમ્પ્રેશન છોડતો ગયો છું. લોકોના દિલમાં સરળતાથી જગ્યા બનાવી લીધી તેનો આનંદ છે. જીવનમાં મિત્રોનો અઢળક પ્રેમ પામ્યા છીએ તો બીજી બાજુ સારી પત્ની મેળવવામાં પણ સફળ રહ્યા છીએ. કંજમાં તો હું જ મને કેટલીક વખત મોટો થાતો જોવું છું. બક્ષીએ કહ્યુ છે એમ કે શરીર પર ઘા એ પુરૂષની નિશાની છે. તેમ જાણે થોડુ બાકી રહી જાતુ હોય એમ આ દશકના છેલ્લા વર્ષમાં પણ ખુબ જ મોટા એકસીડન્ટમાંથી બચી ગયો છું છતાં કંઇ ગુમાવ્યુ હોય એવી લાગણી નથી થઇ. બે મહીના સુધી આરામ કર્યો ત્યારે મને કાન્તિ ભટ્ટના વાકયો યાદ આવી જતા કે જીવનમાં બધા જ પ્રકારનો અને બધા જ ફિલ્ડનો અનુભવ જરૂરી છે. અને કદાચ દિલીપ સરે કહ્યુ એમ કે આ પણ ગૉડ બ્લેસિંગસ જ હશે. અને મને 100 % એવું જ લાગ્યુ છે. રોજ એક્સરસાઇઝ કરાવવા માટે સાંઇ ઑમ કલિનિકમાં જાવું છું. અને ડો. મિતેશ પણ મિત્ર જ બની ગયા અને આગળ કહ્યુ છે એમ મિત્રો પાસેથી અઢળક પ્રેમ પામ્યો છું. ત્યાં ગયા પછી ખબર પડે કે ફિઝિયોથેરાપિસ્ટો તો ખરેખર સાચા સેવકો છે ત્યાં ગયા પછી ખબર પડે કે હું તો ઘણી સારી પરીસ્થિતિમાં છું. બીજાને જોઇને ખરેખર દયા જ આવી જાય. ખબર નહી પરંતુ મને વાતો કરવાની અને લોકોને માપી લેવાની એક ટેવ છે તેમાંથી ડૉ. ખરેખર બધી જ રીતે આગળ જશે એવી પ્રતિતિ મને થઇ ગઇ. કારણ કે જે માણસ પરમહંસ યોગાનંદને વાંચીને બેઠો હોય તેની સાથે ઉભા રહેવામાં મજા આવે. જે હોય તે એમની સાથે મજા આવી ગઇ. તો બીજી બાજુ ભૂમિ બેન અને ક્રિષ્નાબેન પણ મારા વધારે પડતા સ્ટિફનેસ વાળા પગ પર વધારે એનર્જી વેડફતા હતા. ત્યારે ખરેખર તેમના પ્રત્યે માનની લાગણી ઉપજી આવે છે. ખુબ જ યાદ રાખ્યા બાદ પણ જ્યારે જતી વખતે તેમને Thanks કહેવાનું રહી જતુ હોય છે ત્યારે મનના એક ખૂણામાં થોડુ દર્દ થયા કરતુ હોય છે. એટલુ તો ચોક્કસ છે કે આ બધા નામ કયારેય જીવનમાં નહી ભૂલાય. જીવનનાં ત્રીજા દશકના અંતમાં એક ફિલ્ડ છોડીને બીજા ફિલ્ડમાં જઇ રહ્યો છું. એક ખુબ જ સફળ શિક્ષક તરીકેની જવાબદારીઓમાંથી નીકળીને એક બીઝનેસમેન બનવા તરફ જઇ રહ્યો છું. સફળ શિક્ષક એટલા માટે કહેવું પડે છે કે સ્કુલમાં જેટલો પ્રેમ વિધાર્થીઓ પાસેથી આજ સુધીમાં એક પણ શિક્ષક નથી પામ્યા એટલો પ્રેમ હું પામ્યો છું. મારી છેલ્લી બર્થ ડે પર સ્કુલમાં હું અલગ અલગ વર્ગમાં પિરિયડ લેવા જાઉં અને જેટલા કલાસ એટલી કેક કાપી હતી. અધુરામાં શિક્ષક મિત્રોએ પણ એટલો જ પ્રેમ આપ્યો છે. સ્ટાફરૂપમાં પણ એ જ જલસા કર્યા તો બીજી બાજુ ઉર્મી સ્કુલમાંથી જયારે વિદાય લીધી ત્યારે ગુજરાતી મિડિયમમાંથી એકમાત્ર સર હું હતો કે જેના નસીબમાં સ્ટાફ તરફથી ફેરવેલ મળી હતી. હા ચોક્ક્સ આટલો પ્રેમ પામ્યા પછી કોઇ આવું ફિલ્ડ છોડે એ નવાઇ જ કહેવાય. પરંતુ અમુક હિતેચ્છુઓની સલાહ પણ લીધી અને અનેરું વિચારમંથન પણ કર્યુ ત્યારે આ નિર્ણય લેવાયો છે. જીવનમાં ઉમરમાં 3 ની પાછળ ડિઝીટોનું કાઉન્ટિંગ કરવાવાળા વર્ષોમાં હું એક બિઝનેસમેન તરીકે પંકાવા જઇ રહ્યો છું. બસ હવે એને લાંબી રાહ પણ જોવાની નથી. 10/10/10 ના રોજ Tiles Zone એ મારી કર્મભૂમિ બનવાનું છે. . Anyway જીવનના 3 દશકમાં બધે જ ભરપૂર વરસી પડયા અને જે કંઇ વરસવાનું બાકી છે તે હવેના વર્ષોમાં બમણા જોરથી વરસી પડાશે એવું સતત લાગ્યા જ કરે છે. હું મારા વિધાર્થીઓને સતત કહેતો રહું છુ કે જીવનમાં એવું પણ બને કે તમને ન ગમતા કામ પણ કરવા પડે. અને ન ગમતા રસ્તા પર ચાલવું પણ પડે પરંતુ એ બધુ તમારે જે પ્રાપ્ત કરવાનું છે તેના માટેની એક જરૂરીયાત જ છે અથવા તમારા ધ્યેય સુધી પહોંચતા મળેલી આડપેદાશ છે એમ જ સમજવુ અને તે કામ પુરૂ પાડવું. બાકી તો સોભીત દેસાઇનો એક શેર છે.


સરવૈયુ માંડી બેઠા ત્યારે એ તથ્ય જાણ્યુ
એ જીંદગી જ ન હોતી તોય જીવાય ગઇ.

બુધવાર, 28 જુલાઈ, 2010

આવો મળીએ એક મસીહાને........


જીંદગી એટલે ચડાવ અને ઉતારની એક રમત. ક્યારેક સુખના અભિષેકથી જીવન છલકાઇ ઉઠે છે તો ક્યારે દુ:ખ રૂપી વાયરો જીવનને થથરાવતો જાય છે. બાળક જન્મે છે અને પછી ધીરે ધીરે ચાલવાના પ્રયત્નો કરે છે ત્યારે અનેક વખતનાં નિષ્ફળ પ્રયાસ પછી એ ડગલા ભરતા શીખે છે. બાળક ધીરે ધીરે મોટું થતું જાય છે અને પછી એ આ દુનિયા સાથે દોડતા શીખી જાય છે. બાળકમાંથી યુવાન બની ચુકેલ મનુષ્ય કયારેક પાછો આ જીંદગી રૂપી દોડામાં પડી જાય છે એ જ તો દુ:ખનો ચકરાવો હોય છે. અને આ વખતે તેને ઉભા થવામાં થોડો વધુ સમય લાગે છે. કારણ કે બાળક મટી યુવાન બની ચુકેલ વ્યિકતી અનેક પ્રકારના સંબંધોથી અનેક પ્રકારના કામકાજથી ઘેરાયેલો હોય છે. પાટા પર દોડતી ફેમેલી રૂપી ટ્રેનને પાછી પાટા પર આવતા થોડો સમય પણ લાગી જાય છે. પણ આ બધાની વચ્ચે જ્યારે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જાય અને તરત જ બચાવ કાર્યમાં લાગી જાય એવા મસીહાઓને જીવન જોઇ લેતું હોય છે. અને સાથે સાથે પ્રેરણા પણ મેળવી લેતું હોય છે કે ક્યાંક આપણે પણ કોઇક માટે આવા જ મસીહા બની જઇએ.....

મારી જ જીંદગીનો એક યાદગાર પ્રસંગ..........

હજુ જીવનના 29 વર્ષ પુરા કરવાને 60 દિવસની વાર હતી. 20 જુલાઇ 2010ની બપોર હતી. ગુજરાત સીરામિકમાંથી નિકળીને હું ઉર્મી સ્કુલ હોસ્ટેલમાં 12th ને ભણાવવા માટે નિકળી પડયો. દરરોજનાં રૂટિન મુજબ અમિત નગર થી વણાંક લઇને ઉર્મિ તરફ વળ્યો. આજના દિવસમાં કંઇક અલગ જ લખાયેલું હતું. કોઇ extra speed વગર હું જઇ રહ્યો હતો. હું ડાબી બાજુ હતો અને મારી જમણી બાજુ એક એસ.ટી. બસ ચાલી રહી હતી. રસ્તો સરસ પહોળો હતો. પરંતુ આગળ વિશ્વામિત્રિ નદીના કારણે પુલ હતો અને તે સાંકળો હતો. બસના ડ્રાઇવરે મારી બાજુ બસ દબાવી અને હું કોઇ જ જાતના સ્કોપ વગરનો થઇને પડ્યો. મારા પગનાં મસલ્લસ વાળા ભાગ પર બસનું વ્હિલ આવી ગયું. પેસેન્જરોએ કહ્યુ અને ગાડી રીવર્સ આવી અને પગ નીકળ્યો પરંતુ હું ઉભો થવાની સંપૂર્ણ ક્ષમતાઓ ગુમાવી ચુકયો હતો. આ સમગ્ર ઘટના દરમ્યાન પાછળ આવતા એક યુવાને(ઉર્વીશભાઇ) મારી જીંદગીની એ સમયે થયેલી ક્ષણે ક્ષણની રમતને જોઇ લીધી અને તરત જ પોતાની કારમાંથી ઉતર્યો અને મને પોતાની હોન્ડા સીટીમાં બેસાડીને વારસીયા રીંગ રોડ પર ઑમકાર હોસ્પિટલમાં લઇ ગયા. મારો ડૉ. મિત્ર અને મારા સગા સંબંધીઓ આવે તે પહેલા હોસ્પિટલ સુધી પહોંચાડનાર યુવાન માટે મારી પાસે કોઇ શબ્દો હતા નહી. હું કયારનો યુવાન શબ્દ વાપરું છું કારણ કે મારી યુવાનીની વ્યાખ્યા કંઇક એવી છે કે “ જો આજે પણ અન્યાયને જોઇને તમારું લોહી ઉકળી ઉઠતું હોય, પર્વતને જોઇને તમારા પગલા તેને ચઢવા માંડતા હોય અને સાગરને જોઇને જો પેલે પાર જવા તમારું મન સતત ઝંખના કર્યા કરતું હોય તો સમજજો કે તમે યુવાન છો.” અને યુવાનીના આ બધા જ લક્ષણો મેં ઉર્વીશભાઇમાં જોયા છે. અને જીવનપર્યંત તેમનામાં રહે તેવી ભગવાનને પ્રાથના. પોતાની ગાડીમાં પંકચર હોવા છતાં વિશ્વામિત્રી પુલ પાસેથી મને વારસિયા રીંગ રોડ પર દવાખાને પહોંચતો કર્યો. કોઇ જ જાતની પરવા કર્યા સિવાય મને જલ્દી સારવાર મળે એ હેતુથી ગાડી દબાવ્યે જ રાખી અને દવાખાને પહોંચાડ્યો. ત્યાં પણ સતત ઘરનાં કોઇ ન આવે ત્યાં સુધી દોડા દોડી કર્યે જ રાખી. મારો મોબાઇલ પણ સિફત પૂર્વક મને પૂછીને લીધો કે હું સાચવું છું. બાપુ રામ કથામાં કહે છે. પરંતુ મેં તો અનુભવી પણ લીધું કે આ યુગમાં પણ મસીહાઓ મળી રહે છે. પપ્પાએ ટાયર પંકચરના રૂપિયા આપ્યા તો કહ્યું કે આ મારા ઘરનું એડ્રેસ છે. ઘરે આવજો. અહીં જ વાત પતી જતી હોય તો બરાબર છે પરંતુ ઉર્વીશભાઇના પછીના વાક્યે તો સસરા સહીત આજુ બાજુ ઉભેલા મારા સ્વજનોને ચોંકાવી જ દીધા કે આ જમાનામાં પણ આવા મસીહાઓ જીવે છે. જે પરમાર્થના કાર્યને પહેલી ફરજ ગણે છે. એ વાક્ય હતુ મારે જરૂર પડે ત્યારે મને કોઇ આવી રીતે મળી રહે. ઉર્વીશભાઇ તમારા જેવી વ્યકિતીને એવી જરૂર જ ન પડે.... મારા જેવા અનેક અજીતની એવી દુઆઓ હશે. ફરીથી એક વખત ઉર્વીશભાઇ તમને સો-સો સલામો. (HATS OFF). અત્યારે બૅડ રેસ્ટમાં છું પગ ઉપર પાટો બાંધેલો છે અને થોડા દિવસો પછી હું દોડતો થઇ જઇસ પરંતુ પગના મસલ્લસ ઉર્વીશ નામ ક્યારેય નહી ભૂલે. બસ એક જ ઇચ્છાઓ મનમાં ફરી રહી છે કે ઉર્વીશભાઇને કોઇ પણ રીતે મદદરૂપ થઇએ. જરૂર પડે ત્યારે યાદ કરજો.......... આનંદ થશે.
Thank you Urvishbhai Trivedi……..


અજીત કાલરિયા

બુધવાર, 23 જૂન, 2010

આગળ વધીએ

આ સૃષ્ટિ પર બાળક જન્મે છે. ધીરે ધીરે તે આસપાસના વાતાવરણમાંથી અને સમાજમાંથી સતત કંઇક શીખતું જાય છે. ઉંમરની સાથે સાથે તેની આ શીખાઉં વૃતિ ધીરે ધીરે વિચાર પ્રક્રિયામાં ફેરવાતી જાય છે. મનુષ્યનાં જીવનમાં આ એ જ પગલું હોય છે કે જેનાથી તેનો વિકાસ અનેક ગણો થવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને આવા સમયે મનુષ્ય તેનું એક- એક પગલું અનેરા ઉત્સાહ કે અનેરા જોશ સાથે આગળ ધપાવે છે. અને કહાનદાસે એવી જ કંઇક વાત કરી છે.


"આગે સે ધસિયે ના
ધસિયે તો ખસીયે ના
શૂર કે સમિપ
મરિયે કાં મારિયે."




પુરાતનકાળથી કહો કે આદીમાનવથી ચાલુ કરીએ તો ત્યારથી માણસ જાત સતત વિચારશીલ જ રહી છે. કદાચ એટલા માટે જ અન્ય સજીવોની તુલનામાં હોમોસૅપિયન્સ અલગ તરી આવે છે. અને સમગ્ર પૃથવી પર ખૂણે ખૂણે એ પહોંચી શક્યો છે. માનવે પોતાના આગળ વધતા દરેક ડગલાની સાથે સાથે બુધ્ધિનો પણ એટલો જ ઉપયોગ કર્યો એ સમગ્ર જીવસૃષ્ટિના સજીવોથી અલગ વાત હતી અને છે જ.

મહાભારતના યુધ્ધમાં ગીતાની ઉત્પતિ માટે અર્જુનનો વિષાદ એ એક મહાકાય પગલુ હતું. પોતાના રથને યુધ્ધ થતા પહેલા બંન્ને સેનાની વચ્ચે ઉભો રાખવો એ એક વિરાટકાય પગલું માત્ર અર્જુન જ ભરી શકે. ! 999 પ્રયત્નો પછી 1000 મો પ્રયત્ન કરવા માટે પગલું ભરવું અને બલ્બની શોધ કરવી એ માત્ર આલ્વા ઍડિસન જ કરી શકે. અનેક નિષ્ફળ પગલા પછી જોરદાર સફળતાનું પગલું ઑપરા વિનફ્રે જ ભરી શકે. આવા તો અનેક ઉદાહરણો છે. કદાચ મારી અને તમારી દરેકની જીંદગીમાં એવા કેટલાય પગલા હશે જે નાનકડા પણ જીવનને શાંતિ આપે સુખ આપે એવા હોય છે અને ક્દાચ એવા પગલા ભરવાના બાકી પણ હોય. કારણ કે 21મી સદીના માનવને સતત આગળ વધવું – જીવનમાં સતત ડગલા ભરવા અને શક્ય એટલી મોટી હરણફાળ ભરવી એ એનો મહામંત્ર બની ગયો છે. સ્વામિ વિવેકાનંદે પણ એક સરસ ક્વોટ કહ્યું છે.....


Take up one idea, make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nurves’, every part of your body , be full of that idea and just leave every other idea alone. This is the way of success, that is way great spiritual giants are produced.

નાનામાં નાના અને ગમે તેવા સામાન્ય માણસની પણ એક જ એવી તમન્ના હોય છે કે એક ડગલું ભરીને કંઇક નવું પ્રાપ્ત કરવું. બસ દરેક નવા સૂર્યોદયે આવા વિચારો સાથે સમગ્ર માનવજાત કંઇક નવા પગલા ભરે છે અને આગળ વધી છે. હજુ આગળ વધવાનું છે. કારણ કે મને તો હજુ પણ ક્ષિતિજે છેલ્લું કિરણ બાકી દેખાય છે. જેને આગળ વધવા માટે એ છેલ્લું કિરણ દેખાતુ હતું તે જ કદાચ સચીન છે. તે જ કદાચ નેપોલિયન બોનાપર્ટ હતો. કે અનેક મહામાનવો હશે. ચાલો એ છેલ્લા કિરણના પ્રકાશમાં થોડા વધારે પગલા ભરીને આગળ વધી લઇએ અને કંઇક નવું સર્જન કરી લઇએ. કદાચ નિષ્ફળતા મળે તો મને તો બસીર બદ્રનો શૅર યાદ જ છે.


"ઐસા લગતા હૈ હર ઇમ્તિહાન કે લીયે
જીંદગી કો હમારા પતા માલુમ હૈ."


કદાચ આપણામાંના ઘણાને તો સૂર્યાસ્તનો સૂરજ હજૂ ડૂબતો દેખાય એવું પણ બની શકે. ચાલો ને થોડા આગળ વધીએ અને કુદી પડીએ જીંદગીના પ્લેગ્રાઉન્ડ માં રમવાની મજા આવી જશે હોં!!!!!


અજીત કાલરિયા

ગુરુવાર, 10 જૂન, 2010

ભારત મારો દેશ છે એ ભાવનાની પહેલા જરૂર છે. !!!!!


2011 એટલે ભારતની વસ્તી ગણતરીનું વર્ષ. આ તો આંતરાષ્ટ્રીય સ્તરની વાત થઇ. સમગ્ર દુનિયાની તેના પર નજર રહેશે. આંકડો ચોકાવી રાખનારો હશે. Statistics ના આ જમાનામાં આંકડાઓની માયાજાળ પથરાઇ જશે. સરકારે અનેક પ્રકારના રેકોર્ડસ બનાવવા સારા પ્રમાણમાં ડૅટા મેળવવાનું પણ શરૂ કરી દિધુ છે. પરંતુ શરૂઆતમાં જ સરકારને એક મુખ્ય બાબતનો સામનો કરવાનો વખત આવ્યો છે. પ્રશ્ર્ન એક જ છે. થોડા ઘણા લોકો સરકારની આ કામકાજની યોજનામાં જ્ઞાતિવાદની ગણતરીનો વિરોધ કરે છે. એક રીતે કહુ તો હું પણ તેમના આ વિરોધમાં સામેલ જ છું પરંતુ તેમની સાથે હાથ મિલાવીને આ વિરોધમાં એક ડગલું પણ આગળ વધવા તૈયાર નથી. કારણ કે એ બધા મારા પછીના વાકયમાં કે મારા થોડા પ્રશ્નોના જવાબ આપવા ચોક્કસ પાછા પડશે. ઘણા એક્ટિવિસ્ટો અને ઘણા મોટા માથા આ વિરોધના યજ્ઞમાં કુદી પડયા છે. પણ જો થોડુ વિચારવામાં આવે તો આ બાબતમાં કશુ જ ન બોલનાર એક એક રજનિતિક પક્ષ આ વિરોધીઓ કરતા આગળ ચાલે છે. આ વિરોધ પ્રદર્શનકારીઓ ને મારા થોડા પ્રશ્ર્નો.
પ્રશ્ર્ન 1. ભારતનાં બંધારણમાં લખેલું છે. કે ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. મતલબ કે ભારતમાં અનેક જાતિઓ નો વસવાટ હોવાનો જ. આ વાત ભારતની હાલની કોઇ પણ ગાંધારી સમજી જ શકવાની છે. અને બીજી આવી જ વાત આપણા આ જ બંધારણમાં છે. જે મને આપણી મુખ્ય બાબતનો વિરોધ કરતા રોકે છે. દોસ્તો આપણા આ જ બંધારણમાં લઘુમતી કોમને ભરપૂર ફાયદાઓને સ્થાન છે. શું જ્ઞાતિવાદની કે જાતિવાદની ગણતરી ન કરીને બધાને સમકક્ષ ગણીને લઘુમતી કોમ તેમના આ ફાયદા ભૂલી જવા તૈયાર છે. !!!!! જો આ વાત સાથે પ્રદર્શનકારીઓ સહમત હોય તો હું ચોક્કસ પણે તેમની સાથે રહેવા તૈયાર છું. કઇ લઘુમતી કોમ આ બાબત પર સહમત થઇને હસ્તાક્ષર કરવા તૈયાર થવાની છે. આ વાત માત્ર કાગળના એક ટુકડા પર જ શોભશે. જો તમારે બધી જ્ઞાતિઓને સમકક્ષ ગણવી છે. તો બધાને સમકક્ષ હક્કો પ્રાપ્ત થવા જોઇએ. એમાં કોઇને ક્યાંય વધારે ઓછુ ન જ આવવું જોઇએ. જો તમે આ વાત સાથે સહમત નથી તો જ્ઞાતિવાદની ગણતરી થવી જ જોઇએ. આ દેશની બહુમતી કોમને ખબર પડવી જ જોઇએ કે તેમની compition માં કઇ કોમના કેટલા સભ્યો ઉભા છે. બહુમતી કોમને ખબર પડવી જ જોઇએ કે તેમની તુલનામાં લઘુમતી કોમે કેટલી અને કઇ કઇ દિશામાં પ્રગતિ કરી છે.

પ્રશ્ર્ન 2. માની લો કે સમગ્ર દેશમાં કોઇ પણ જાતનાં વિરોધ વગર વસ્તી ગણતરી થઇ ગઇ અને બધુ જ બરાબર ચાલે છે. ક્યાંય પણ કોઇપણ જાતનો પ્રશ્ર્ન જ નથી. આ એક ખુબ સરસ કલ્પનાનો વિષય છે. પરંતુ ક્યાં સુધી તમે આ સ્વપન જોઇ શકશો. થોડા જ દિવસોમાં એકાદ ત્રાસવાદી હુમલો થશે અને થોડા ત્રાસવાદી મરશે આ દેશ તેમના સંપૂર્ણ નામ માંગશે. ત્યારે તો પાછો જ્ઞાતિવાદનો જ પ્રશ્ર્ન આવીને ઉભો રહી જશે. એકાદ કાબીલેદાદ પોલીસ જવાન સરસ એન્કાઉંટર કરી નાખશે. અને આ દેશ તેને બિરદાવવા માટે નામથી સંતોષ નહી માને. જાતિ પણ માંગશે. કદાચ એ મુસલમાન પણ નિકળ્યો તો એવા શબ્દો પણ સાંભળવા મળશે કે યે તો અપને વાલા હૈ... મિત્રો આ બધુ માત્ર નારા કરી ને પોકારવામાં શોભે એવી બાબત છે. આ વાત લાંબો વિચાર માંગી લે એવું છે. ભારતના કોઇ ક્ષેત્રમાં એકાદ ત્રાસવાદી હુમલો થશે અને કેટલા મર્યા કેટલા ઘાયલ થયા આંકડાઓ પાછા આવી જશે જ્ઞાતિવાદના !!!!!! લોકો પણ જવાબ માંગશે કે ત્રાસવાદી કોણ હતો........ જ્ઞાતિવાદના સીમાડા મીટાવતા પહેલા દેશની આંતરીક સરહદો મીટાવવાનું કામ શરૂ કરવું પડશે. ગુજરાત – રાજસ્થાન – મહારાષ્ટ્રે એક થવું પડશે. 26 રાજ્યો ના ચાલે એક અખંડ ભારત ઉભુ કરવું પડશે. ત્યારે આ મુદ્દો ઉઠાવી શકાશે. પંચવર્ષિય યોજનાઓ શરૂ થઇ હતી એમ એક યુનિક જ્ઞાતિબંધુ યોજના શરૂ કરવી પડશે. જેમાં જ્ઞાતિનો કોઇ પ્રશ્ર્ન જ ન આવે. દેશમાં સમપ્રદેશ ભાવના લાવવી પડશે. જ્ઞાતિવાદનો વિરોધ કરતા પહેલા હજુ ઘણા પગથિયા ચડવાના બાકી છે.

બુધવાર, 9 જૂન, 2010

સૂર્યમુખી એક ફરીસ્તો !!!!!!


જયેશ ગાંધી એટલે સંત કબીર રોડ પરની ટાઇલ્સની દુકાનોના ઑર્ડરનો માલ ગ્રાહક સુધી પહોંચડાનાર એક વિશ્વાસુ રિક્ષા ચાલક. ખબર નહી પણ એને રીક્ષામાં લોકોને બેસાડવાને બદલે લોકોને ઘરે ટાઇલ્સ પહોંચડાવાનું વધુ પસંદ છે. એમ તો ઘણા રીક્ષા ચાલકો આ કામમાં આનંદ અનુભવતા હોય છે. અને છે પણ ખરા ! પરંતુ આ જયેશને જ યાદ કરવાનું ચોકકસ કારણ છે. સમગ્ર વિસ્તાર અને દુકાન વાળા એને સૂર્યમૂખીના નામે જ ઓળખે છે. કારણ કે વડોદરાના સૂર્યમુખી હનુમાન ભક્તે પોતાની રીક્ષા પર સૂર્યમુખી નામ લખાવી નાખ્યુ અને બસ લોકોના માનસપટ પરથી જયેશ નામ નીકળી ગયુ અને સૂર્યમુખી નામ આવી જ ગયુ. એના નામની તો આટલી જ કહાની છે. પરંતુ જીંદગીની કહાની સતત ધબકતી રહે છે. કોઇ પણ ટાઇલ્સની પેટી ભરતા પહેલા ચેક કરવી અને ગ્રાહકને સંપૂર્ણ સંતોષ કરાવીને ભાડુ લઇને પાછા ફરવું એ તેનું કાયમનું રૂટીન કહેવાય. ગ્રાહક અને વેપારી બંન્નેને સંતોષ કરાવવો એ જ એનું લક્ષ્ય. જરૂર પડયે વેપારીને પણ રોકડું પરખાવી દે. પરંતુ હંમેશા માણસ જ્યારે રૂટીનની બહારનું કંઇક કરી બતાવેને ત્યારે તેને આ ભારતીય સમાજ ચોક્કસ બિરદાવતો હોય છે. મેં મારા જીવનમાં કેટલીય વખત સારા રીક્ષા ચાલકો અને સારા ટેકસી ડ્રાઇવરોની અનગીનત કાહાનીઓ સાંભળી છે. જે ખરેખર કાબીલેદાદ હોય છે. કેટલાય લોકોને ભૂલાયેલો સામાન પરત આપી આવવામાં કે ઇમાનદારી દાખવવામાં આમનો જોટો જડે તેમ નથી. કરફ્યુના સમયમાં પણ એમની અનગીનત સાહસગાથાઓ અને ઇમાનદારીના નમુનાઓ ન્યુઝમાં સતત ચમકતા રહેતા હોય છે. અને આવી જ કહાની બની ગઇ સૂર્યમુખીના જીવનમાં ! એક યાદગાર ન ભુલાય એવી ગર્વથી માથુ ઉંચુ રાખી શકે તેવી એક ઝલક જીંદગી આપી ગઇ. ગોડાઉનમાં માલ ભરવા ઉભા રહેલા સૂર્યમુખીએ ઉપરથી એક અજાણ્યા સખ્સને નીકળતા જોયો અને માલીકને જાણ કરી. જો કે સખ્સ તો નિકળી ચુક્યો હતો અને ખાનામાં રૂ. 1 લાખ પણ ગાયબ હતા. માલીક અને સૂર્યમુખી બન્ને તરત જ નીકળી પડયા ક્યાંય કદાચ પત્તો લાગી જાય. અને એ જ સૂર્યમુખી એ માલીક સાથે સિફત પૂર્વક કામ કરીને તરત જ રસ્તા પરથી ઓળખી લીધો કે આ જ બ્રાઉન કલરના ટ્રાઉઝર અને ક્રિમ કલરના સર્ટ વાળી વ્યકતિ છે. સારી યાદદાસ્ત અને ચપળતાના કારણે ખોવાયેલા રૂપિયા પાછા મળે છે. આ કિસ્સો કોઇ બુકમાં નથી. પરંતુ નજરે જોયેલ છે. જ્યાં સુધી આવા સૂર્યમુખી હશે ત્યાં સુધી કોણ કહી શકશે કે આ દેશમાં અત્યારે કળીયુગ ની ગંગા છે.

રવિવાર, 28 માર્ચ, 2010

હડપ્પાની એક મુલાકાત



આજે 28 માર્ચ 2010 એક આનંદદાયક દિવસ. સવારના 6:30 ની આસપાસ જીગ્નેશભાઇ, સોનુંભાઇ અને હું જયેશભાઇની બ્રાન્ડ ન્યુ Swiftમાં ગોઠવાઇ ગયા. અમારી સફર શરૂ થઇ અને એક બાજુ વાતનો શિલશિલો શરૂ થયો. ક્યાંક વળી સોનુંભાઇ પોતાના બોમ્બેના અનુભવો કહેતા ત્યારે ખરેખર ખૂબ જ મજા આવતી હતી. મને તો મનમાં થતું હતું કે આ માણસ તો ખરેખર પિકચરમાં આવતી સ્ટોરી જેવી જ રીયાલિટી અનુભવેલ વ્યકિત છે. જે હોય તે એમની વાતો સાંભળવાની ખરેખર મને મજા આવતી હતી. વાતો વાતોમાં તો અમે તારાપુર પહોંચી ગયા. હૉટલ પેરામાઉન્ટમાં અમારી બ્રાન્ડ ન્યુ Swift ઉભી રહી અને ચા નાસ્તો કર્યો. ગરમા ગરમ નાસ્તો કરવાની ખરેખર મજા આવી ગઇ. પાછા અમે સૌ Swift માં ગોઠવાઇ ગયા અને કોટ ગણેશ પહોંચ્યા. ત્યાં અમે સૌએ ગણપતિની વિશાળ પ્રતિમાનાં દર્શન કર્યા. મંદિરમાં રિનોવેશન કામકાજ ચાલું હતું. અમે પ્રતિમાનો ફોટો પણ ક્લિક કરી લિધો. જીગ્નેશભાઇ જાણતા હતા તેઓ મને લઇને સીધા જ આગળના ભાગમાં આવી ગયા. ત્યાં આપણી સામે જ કેળાની વેફર(ચિપ્સ) ને તળીને વેંચતા હતાં. આવી એકદમ ફ્રેશ વેફરનો ટેસ્ટ જ કંઇક અલગ જ હતો. ત્યાં ઉભા ઉભા થોડી ઘણી વેફર ખાધી અને ઘણી બધી પૅક કરાવી. મંદિરમાંથી અમે સૌએ લાડુનો પ્રસાદ લીધો અને ફરીથી અમે સૌ Swift માં ગોઠવાઇ ગયા. કોટ ગણેશથી અમે બુટ ભવાની ગયા. ત્યાં પણ મંદિરમાં રિનોવેશન કામ ચાલુ હતું. ત્યાં પણ અમે સરસ માતાજીના દર્શન કર્યા. થોડી ભીડ હતી પરંતુ અમે સરસ માતાજીના દર્શન કર્યા. ત્યાંથી અમે સૌ સીધા જ લોથલ પહોંચ્યા. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામની પાસેની જગ્યા લોથલ કહેવાય છે. લોથલનો સાચો અર્થ મૃતકોની ભૂમી એવો થાય છે. ડૉ. એસ. આર. રાવ દ્વ્રરા 1955-62ના સમયગાળા દરમ્યાન આ સંશોધન હાથ ધરાયું અને આ અજાયબ વારસાની ગિફટ આપણને મળી. સૌથી અજાયબ વાત તો એ છે કે આ સમગ્ર મળી આવેલા અવસેસો ઇ.સ. પૂર્વે 2600- 1900 ના સમયના છે. દુનિયાની પુરનતમ સંસ્કૃતિઓમાંની આ એક સંસ્કૃતિ હતી. જેની વિશીષ્ટતા એ હતી કે ઇ.સ. પૂર્વેના આવા સમયગાળાની દુનિયાની કોઇ સંસ્કૃતિમાં ગટર યોજના ન હતી તે આ સંસ્કૃતિએ વિકસાવી હતી. દરેક મકાન કે દરેક રચના ના બહારના ભાગમાં ચોક્કસ ગટર યોજના હતી. જેને સરસ રીતે લેવલીંગ કરેલી હતી. ખરેખર આ યોજના જોતા તેઓ આપણા કરતા સુપિરિયર જ લાગે. ત્યાં કબ્રસ્તાન પણ હતું. સરસ કિલ્લેબંધી હતી. બાજુમાં એક 214 X 36 મી. નો ડૉકયાર્ડ પણ છે. જ્યાં ઘણું પાણી સંગ્રહી શકાય તેવું હતું. તેમાં જહાજો આવતા અને રિપેર પણ થતા તથા ત્યાંથી વિદેશ વેપાર પણ થતો. કારણ કે ત્યાંથી મળેલા કેટલાક અવશેષો એ વાતની સાબિતી પુરે છે. ડૉકયાર્ડમાં જળરાશીનું નિયંત્રણ બાજુમાં વહેતી નદીમાંથી થતું હતું. ચોક્કસ દિશામાંથી તેનું ઇનકમિંગ અને આઉટગોઇંગ હતું. તેના લેવલીંગની વાત જ્યારે જીગ્નેશભાઇએ સમજાવી ત્યારે આશ્ચર્યનો ઉદગાર જ નિકળી ગયો હતો. આ સમગ્ર સ્થળનો પરિચય મેળવ્યા પછી જ્યારે અમે મ્યુઝિયમ સૅક્સનમાં ગયા અને આ સંસ્કૃતિની રચના દર્શાવતું પિકચર જોયું ત્યારે ખરેખર મંત્રમુગ્ધ થઇ જવાય એમ હતું. અહિં એક મણકાની ફેકટરી પણ હતી. કેટલાક મણકા ત્યાં અવશેષ રૂપે જોવા મળે છે. જેમાં એકદમ નાના નાના જીણા જીણા મણકા જોઇને ખરેખર દંગ જ રહી જવાય એમ છે. લોથલ એક જમાનામાં વિકસીત પોર્ટ હતું. તેથી મ્યુઝિયમમાં જોવા મળતી મોટાભાગની વસ્તુઓ માત્રને માત્ર દરિયાઇ ચીજો અને પ્રાણીઓના હાડકાની જ હતી. તેઓ ચોક્ક્સ રીતે આકાર આપીને બંગડી પણ બનાવતા અને પોતાના બાળકોને રમવાના રમકડા પણ બનાવતા. પાણી ભરવાના અને અનાજ ભરવાના પાત્રો બનાવવાની કળા પણ તેઓ જાણતા હતાં. કયાંક ક્યાંક તાંબું અને કાંસું પણ વપરાયેલું જોવા મળે છે. જે વિદેશ વેપારની સાક્ષી પુરે છે. આ સમયના માનવ પાસે કેટલાક પ્રાણીઓ અને કેટલાક માણસની પ્રતિકૃતિ બનાવવાની પણ આવડત હ્તી તેના પુરાવા પણ જોવા મળે છે. સૌથી મહત્વની અને ન કલ્પી શકાય તેવી વાત તો એ હતી કે આ સમયના માનવો પાસે ચોક્ક્સ વજનની પધ્ધતિ પણ હતી. તેઓ વજનિયાં તરીકે અમુક પથ્થરોનો ઉપ્યોગ કરતાં હતાં. ત્યાં સાથે દફનાવેલ બે વ્યકિતઓના હાડપિંજર પણ હતાં. જે લગભગ સમગ્ર દુનિયામાં યુનિક છે. કારણ કે આવું એક પણ સિવિલાઇઝેશનમાંથી મળ્યું નથી. ખરેખર અમારા બધામાં આ સિવિલાઇઝેશનને જીગ્નેશભાઇ સૌથી વધારે માણી રહ્યા હતા. આ સમગ્ર નગર રચનામાં ચારથી પાંચ પ્રકારની ઇંટો વપરાઇ છે. ખરેખર આવી મજબૂત ઇંટોએ જ આવા અવશેષો બચાવ્યા છે એવું કહેવામાં કશી જ અતિશ્યોક્તિ નથી. બસ અમે આ બધુ જોઇને બહાર નિકળ્યા અને ત્યાં ઉભેલા બે ગાર્ડ સાથે એમ જ વાતો કરતા હતા ત્યાં વાત વાતમાં આવી સાઇટોની જાળવણી માટે ટિકિટ વધારવી જોઇએ એવી વાત આવી તો ત્યાંના માણસો બોલી ઉઠયાકે લોકોને આ પણ ભારે પડે છે. ફોરેઇનરોની 100 રુ. ની ટિકિટ પણ ડુપલીકેટ લાગે છે. આમની સાથે જ ખરેખર દિલથી જીગ્નેશભાઇ અને સોનું ભાઇએ પણ આ બાબત પર બળાપો કાઢી નાખ્યો. આ બધી વાતોની સાથે સાથે મારા મગજમાં તો લિફલટમાં લખેલું આર્કોલોજી ડિપાર્ટમેન્ટનું વાક્ય જ આવી જતુ હતુ કે “Our Nation is a cradle of ancient civilizations. Let us dedicate ourselves to preserve this great heritage.” ખરેખર ભારતમાં અમુક લોકો લોગો બનાવવામાં જ માહિર છે. પછી પાછળ કંઇ જ પડી હોતી નથી. થડીઘણી વાતો પછી અમે પાછા Swift માં બેસી ગયા. અને એક બાજુ ગરમી પોતાનો પારો ઉપર ચઢાવી રહી હતી. અત્યારે Swift ખરેખર સારી લાગતી હતી. કારણ કે ગરમી શું છે તેની કંઇ ખબર જ પડતી ન હતી. ફરીથી પેરામાઉન્ટ હોટલ આવી ગઇ. અને અમારો ભોજન સમારંભ શરૂ થઇ ગયો. બધાએ પેટ ભરીને ખાધુ અને ફરીથી અમે સૌ Swift માં ગોઠવાઇ ગયા. સમગ્ર સમય દરમ્યાન ઘણી વાતો થતી રહી અને જોત જોતામાં ગોત્રીનું તળાવ આવી ગયું. અને સોનુભાઇએ જયેશભાઇને કહ્યુ હશે કે આ તળાવ પુરીને અહીં એક મોટો બગીચો બનાવવાના છે. એ વાત જયેશભાઇને યાદ આવી અને અમને કહી અમારામાંથી કોઇએ કોમેન્ટ પસાર કરી કે આપણા છોકરા ના છોકરા ચોક્કસ રમવા આવશે. અને એક મોટું હાસ્ય સૌના મોઢા પર ફરી વળ્યું. આવી વાતો માં ને વાતોમાં અમે પાછા સ્વામીનારાયણ નગર જયેશભાઇના ઘરે પહોંચી ગયા. અમે સૌ પાછા પોત પોતાના ઘરે જવા નિકળ્યા અને રસ્તામાં ગરમી ખરેખર Swiftની ઠંડક યાદ કરાવતી હતી. પણ ખરેખર એક વિચાર મગજમાં કેડો છોડતો ન હતો કે મારા મગજમાં મેં ધારેલી ઓછામાં ઓછી ટિકિટ રૂ. 100 થી 150 હતી. તેની જગ્યા એ માત્ર રૂ.5 અને આની જાળવણી પણ એટલી જ જરૂરી છે. અહીંના ઓછા અવશેષો જોઇને મને તો ધોળાવિરા જોવાની ઇચ્છા ખરેખર વધી ગઇ છે. ફરીથી આવી જ રીતે કયારેક ઉપડી પડીશું.

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010

પેશન પર છે ગોવિંદભાઇ.......



જાન્યુઆરી મહિનો એટલે વડોદરાવાસીઓ માટે ઉતરાયણની તૈયારીના દિવસો. અને બસ એવું જ કંઇક બન્યું. હું અને જયેશભાઇ દોરો લઇ આવ્યા. ગુજરાત સિરેમિકમાં આવ્યા અને અમારા સૉ રૂમના માણસ રાજુએ તરત જ કહી દિધુ કે જયેશભાઇ દોરો તો મહેતાપોળમાં જ સૂતાવાય. અમે ગયા વર્ષે 10 જાન્યુઆરીએ ગયા હતા તો ના પાડી દિધી હતી. 5000 વાર સૂતવાના રૂ. 200 લે છે. શરૂમાં તો મને વાત સાચી લાગી નહી. કારણ કે જે ભાવમાં દોરાની રીલ મડે એ ભાવમાં કોઇ દોરો સૂતે. લગભગ અશક્ય વાત હતી.....
હું રાજુને લઇને સીધો જ મહેતાપોળમાં ઉપડી ગયો. દૂરથી જ દેખાય જાય એવડા મોટા બે સાઇન બોર્ડ મારેલા હતા. જય રણછોડ. નજીક ગયો અનેબીજુ સાઇન બોર્ડ વાંચીને જ હું દંગ રહી ગયો. તેના પર રીલ સૂતવાના રૂપિયા લખ્યા હતા. અને સૌથી ઉપર લખ્યું હતું 01/01/2010 થી અમલી. હું ગોવિંદભાઇને મળ્યો અને મારી ફોર્મલ પૂછ્તાછ શરૂ થઇ ગઇ. છેલ્લા 35 વર્ષથી સતત દોરો પિવડાવતા આ ગોવિંદભાઇને મેં પૂછ્યું આ જય રણછોડ એવું નામ રાખવા પાછ્ળનું મુખ્ય કારણ શું તેના જવાબમાં મને જાણવા મળ્યું કે દર પૂનમે તેઓ ડાકોર જાય છે. એકપણ પૂનમ છોડતા નથી.વડોદરામાં છેલ્લા 35 વર્ષથી તેઓ દોરો પિવડાવવાનું કામ કરે છે. અને લોકોની ઉતરાયણને સફળ બનાવે છે. વડોદરા ખાતે સૌથી વધુ રૂપિયા લેવાનું બિરૂદ ગોવિંદભાઇને ફાળે જાય છે. 5000 વાર દોરો સૂતવાના રૂપિયા 225 લોકો આ વર્ષે ચૂકવે છે. શરૂઆતમાં 4 આનામાં દોરો સૂતવાવાળા ગોવિંદભાઇ માટે આજે મને ગુજરાતી કહેવત બદલવાનું મન થઇ જાય છે. હા એ જ કહેવત કે "તારા કરતા વધારે દિવાળી જોઇ છે." અરે ના ..ના... "4 આના થી ચાલુ કરીને રૂપિયા 225 સૂધીની ઉતરાણો લોકોને ઉજવડાવી છે."(ગોવિંદભાઇ) 4 આના પછી 12 આના થયા પછી દોઢ રૂપિયા થયા પછી બે પછી અઢી થયા. 11 પણ થયા. અને આજે 1000 વારના રૂપિયા 50 છે. ડિસેમ્બર મહિનાથી વડોદરાવાસીઓની ઉતરાણ સુધારવાની તેમની મહેનત શરૂ થઇ જતી હોય છે. જો કોઇ વિધાર્થી સારા માર્કસ લાવે તો પછી તેને તેના શિક્ષકનું નામ પૂછાતુ હોય છે એમ સારા પેચ કાપ્યા પછી આજુબાજુ વાળા બુમ પાડીને પૂછતા હોય છે દોસ્ત દોરો ક્યાં સૂતાવ્યો. અરે વાહ આ વાતનો અંદાજ તો પછી જ આવ્યો કે જ્યારે ગોવિંદભાઇએ આંગળી કરીને મને બતાવતા કહ્યું કે મારી પાસે આવા 17 ચરખા છે અને દરેક ચરખા પર 15 રીલો ભરાય. દિવસમાં આવા 17 થી 24 ચરખા ભરાતા હોય છે. સતત આખો દિવસ ચરખા પર રિલો ભરવાની અને પછી એમના રાખેલા માણસો રીલો વિંટીં લે. કોઇ જ કંઇ વધારે કરી લેવાની જરાય ઇચ્છા નહી. કારણ કે બીજા બે ત્રણ વધારે માણસો રોકીને એમની આવકને 3-4 ગણી કરી શકાય. પરંતુ એક એક રીલ એમના હાથેથી જ ચરખા પર જાય. પ્રોફેસનાલીઝમ નહી જ. કારણ કે ડિસેમ્બરમાં દોરો સૂતાવવા માટે જાવ તો તમને બજારભાવ કરતા થોડા જ વધારે રૂપિયામાં કે લગભગ એ જ ભાવે દોરો મળી જાય. અને 13 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે તો દોરો સૂતવાનું બંધ કરી જ દે. જ્યારે દુનિયા કમાવવા પડી હોય ત્યારે ગોવિંદભાઇ ચરખા વિંટવાનું કામ શરૂ કરી દે. કારણ કે પછી દોરો પિવડાવીએ તો દોરો સૂકાય નહી અને ઉતરાયણ સારી જાય નહી. રોજ રાત્રે 9:30 કે 10:00 વાગ્યા સૂધી સતત કામ એ જ એમનું ધ્યેય. કદાચ આ માણસની ઉમર કરતા મને એમનો જુસ્સો વધારે જુનો લાગ્યો. થોડાક ગરાકો પાછા પણ જાય, ગુસ્સે પણ થાય પરંતુ આવતા વર્ષે થોડા વહેલા આવે અને જૂના ગરકો મોડા આવતા જાય. આ વાત સરળતાથી ગોવિંદભાઇએ મને કહી દિધી. બહારગામથી આવનારા લોકો માટે 200 જેટલા ચરખા તૈયાર પણ હોય. બોમ્બેના ગ્રાહકો પણ આવતા હોય છે એવું ગોવિંદભાઇનું કહેવું છે. અનેક લોકોની ઉતરાયણ સારી જાય અને પછી આભારના શબદો નીકળે એ જ જુસ્સો મેં કદાચ ગોવિંદભાઇના મોઢા પર સતત જોયા કર્યો છે.......

રવિવાર, 3 જાન્યુઆરી, 2010

શ્રીનાથજી – અંબાજીની સફરે.......


31 મી ડિસેમ્બર 2009 ની રાત્રીએ જ્યારે સમગ્ર વડોદરાવાસીઓ નવા વર્ષની ઉજવણીમાં અને વર્ષના છેલ્લા દિવસને ઉજવવામાં મગ્ન હતા એ સમયે અમે 11 શિક્ષકો એક અલગ જ તૈયારીમાં મગ્ન હતા. રાત્રીના 10:30 વાગ્યા હતા. તુફાન સનરાઇઝમાં કલ્પેશસરના ઘરે આવી પહોંચી. આજે અમારે તાવેરાની જગ્યાએ તુફાનમાં જવાનું હતું. કારણ કે નવ દસ નહી પરંતુ 11 શિક્ષકો તૈયાર હતા. નવા વર્ષની કંઇક અલગ જ ઉજવણી માટે અમે સૌ તૈયાર જ હતા. કલ્પેશસરના ઘરેથી અમે સૌએ ચા પીધા પછી તુફાનમાં સૌએ પોત પોતાની જ્ગ્યા લઇ લીધી. અમારી તુફાન રિંગરોડ પર હિંમતનગર તરફ જવાના રસ્તા પાસે ઉભી રહી. હવે અમે સૌ અમારો પોતપોતાનો સામન લઇને નીચે ઉતર્યા અને નવી ક્રુઝરમાં ગોઠવાઇ ગયા. કારણ કે તુફાન ટેક્ક્ષી પાસિંગની હતી અને જો અમે એ લઇને રાજસ્થાન બોર્ડર પર જઇએ તો અમારું પૈસાનું તોફાન મચી જાય એ પાકી વાત હતી. અમે સૌ નવી ક્રુઝરમાં પોતપોતાના સ્થાને ગોઠવાઇ ગયા. આ પહેલા અમે જ્યારે એક્સ્પ્રેસ હાઇવે પતાવીને અમદાવાદ રિંગરોડ પર ચઢતા હતા ત્યારે દુનિયા 2010 ના વર્ષને આવકારી રહી હતી. ક્યાંક દુર થતા ફાયર ક્રેકર્સ આ વાતની સાબિતી આપી રહ્યા હતા. હિંમતનગર હાઇવે પર પ્રથમ સ્ટોપ આવ્યું અમે સૌ ચા પીવા ઉભા રહ્યા. મેં મારા સાયબરસૉટમાં ફોટો લેવા બટૅન ક્લિક કર્યું પરંતુ મારી શક્યતાઓ ઉંધી પડી ફોટો સાથે કેટલાક વાતાવરણમાંથી મોઇસ્ચર પણ લેતો આવ્યો. મારે તાત્કાલીક કેમેરો બંધ કરી દેવો પડ્યો. ઉપર આકાશમાં જોયું તો ચંદ્ર થોડો કપાયેલો દેખાતો હતો. ગ્રહણ હ્તું પરંતુ અમદાવાદમાં દેખાવાનું ન હતું. કોઇક વાદળ એવી રીતે ગોઠવાઇ ગયું હતું કે ખરેખર ચંદ્રગ્રહણ નો જ નજારો લાગતો હતો. હિંમતનગર આવી ચુક્યું હતું. રસ્તાની બાજુ પર હું સિટી ટાઇલ્સ અને એસિયન ટાઇલ્સની ફેકટરીઓ જોઇ રહ્યો હતો. નેસનલ હાઇવે નંબર 8 પર ખરેખર ગાડી ચલાવવાની ખૂબ જ મજા આવે એવો રસ્તો હતો. જોત જોતામાં ક્યારે શામળાજી આવી ગયું કંઇ જ ખબર ન રહી. પર્વતોથી ઘેરાયેલા આ પ્રદેશને જોવાની લાલચને હું રાત્રે પણ રોકી શકતો ન હતો. અંધારામાં પણ હું કંઇક શોધી રહ્યો હતો. શું એ તો મને ખબર નથી. પરંતુ ખરેખર કંઇક અલગ જ વિચારોમાં હું મગ્ન હતો. ચેકપોસ્ટ પરથી અમે સરળ્તાથી પસાર થઇ ગયા. બાજુમાં ટેક્સ ભરવા માટે ઉભેલી ગાડીઓની લાંબી કતારો અમે જોઇ શકતા હતાં. રાજસ્થાન બોર્ડર ખૂબ જ સરસ બનાવવામાં આવી હતી. અંદર ક્રુઝરમાં અડધો અડધ શિક્ષકો ઉંધ લઇ રહ્યા હતા. રસ્તાની બન્ને બાજુ સરસ પર્વતો હતા.સતત વણાંકો વાળા રસ્તા પરથી અમે પસાર થતા હતા. ક્યાંક થડી ગડમથલ થઇ અને પાછળથી પાટીલે મને ઉઠાડયો. કારણ કે રસ્તો હવે સિંગલ લેન નો જ હતો અને ટ્રફિક ખૂબ જ હતો. પાટીલ અને વિપૂલનું કહેવું એમ હતું કે ડ્રાઇવરે એક જોકું ખાઇ લીધું પરંતુ એવું કંઇ હતું નહી. આગળ જઇ ને અમે ચા પીધી. પછી ફરીથી અમે સૌ આગળ વધ્યા અને દૂરથી ઉંચાઇ પરથી અમે ઉદયપૂરને રોશનીમાં ઝળહળતું જોયું. ઉંચાઇ પરથી નજારો ખરેખર ખૂબ જ સરસ લાગતો હતો. જોત જોતામાં અમે એકલિંગી મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા. ત્યાં સવારના 6 વાગ્યા હતાં. ઠંડી કોને કહેવાય તે તો રાજસ્થાનમાં પગ મૂક્યા પછી જ ખબર પડે. મંદિરમાં પગ મૂકતાની સાથે જ સૌ ઠરી ગયાનો અહેસાસ કરતા હતા. મંદિરમાં પગમાં મોજા પહેરવાની પણ મનાઇ હતી. અને નીચે બરફ પર ચાલતા હોઇએ એવી ઠંડક હતી. પરંતુ મંદિરની રચના જોઇને મારી તો ઠંડી જ ગુમ થઇ ગઇ હતી. મંદિરમાં અદભૂત મહાદેવના દર્શન કર્યા. આસપાસમાં મંદિરના પરીસરમાં બીજા પણ અસંખ્ય મંદિરો હતા. પરંતુ ત્યાં જવા પર પ્રતિબંધ હતો. મારું મન થડું ખીન્ન થઇ ગયું પરંતુ મનોમન નક્કી કરી લીધું હતું કે ભવિષ્યમાં યેન કેન પ્રકારેણ આ મંદિરનો સંપૂર્ણ પરીચય મેળવીને જ જંપીશ. અને અમે સૌ પાછા ફરતા હતા ત્યાં જ આરતી નો ઘંટારવ થયો અને આગળના મંદિર ના એક ગોખમાંથી નરેનદ્રસરે તરત જોયું અને કહ્યું અહિંથી દેખાય છે આરતી થાય છે. સૌએ દર્શન કર્યા. ચા પીધી અને ગાડીમાં ગોઠવાઇ ગયા. શ્રીનાથજી આવી ગયું એક રુમ ભાડે કરી લેવામાં આવી અને લગભગ દોઢેક કલાકમાં બધા નાહી ધોહીને ફ્રેશ થઇ ગયા. ફટાફટ અમે સૌ મંદિર પર પહોંચી ગયા. વિઆઇપી ક્વોટામાંથી અમે મંદિરમાં એન્ટ્રી લીધી અને જીગરસર અને સમીરસરે સન્મુખ્ અને અમે સૌએ પાછ્ળથી આરતી નો લાભ લીધો. પાછ્ળથી કલ્પેશસરની પાછળ પાછ્ળ અમે પણ સનમુખ દર્શનનો લાભ લીધો. આજે દર્શન કરતી વખતે સમજાતુ હતું કે વાણિયા તો ભગવાનને પણ પોતાના જ બનાવીને રાખે. માત્ર એક જ શબ્દ સનમુખ પર તો રસ્તો કલિયર થઇ જાય. જીવનમાં ફરીથી જ્યારે હું શ્રીનાથજી આવીશ ત્યારે હું હંમેશા સન્મુખ શબ્દને હું મારી સાથે જ રાખીશ. ખરેખર મનોમન હું કલ્પેશસરનો ખૂબ ખૂબ આભારમાની રહ્યો હતો. અને એમણે શીખવેલ શબ્દ સન્મુખને તો હું ક્યારેય નહી ભૂલું. જીગર સર અને કલ્પેશસરની ગાઇડલાઇન નીચે અમે સૌ સમગ્ર મંદિરનો પરીચય મેળવ્યો. પાછા ફરતી વખતે અમે ધી તેલ ના કુવા જોયા. ખરેખર અદભૂત વાત હતી. શ્રીનાથજીમાં જ ઘણું મોડું થઇ ગયું હતું હજુ અમારે અંબાજી જવાનું હતું . હવે અમારી ક્રુઝરે હલ્દીઘાટી જવાનું શરું કર્યું. હલ્દીઘાટીમાં આ ઘાટી જોયા પછી ખરેખર મગજમાં એક સવાલ થાય જ કે શું મહારાણા પ્રતાપે ચેતક ઘોડાને આટલી મોટી જ્ગ્યા પરથી કુદાવ્યો હશે. ધન્ય છે એ ધોડાને અને ધન્ય છે એ સવારને.... હલ્દીઘાટી પર થોડી ફોટોગ્રાફી કરી અને ત્યાંથી આગળ નિકળ્યા. આગળ રસ્તાની બાજુ પરથી જ ચેતક ઘોડાની સમાધી અને એક મ્યુઝ્યમ પસાર થયું. મેં કહ્યું પરંતુ ગાડી ઉભી રાખવામાં ન આવી. કારણ કે મોડું થતું હતું. હજી ગબ્બર ચઢવાનો બાકી હતો. મોડું થઇ રહ્યું હતું. એક તરફ સખત ગુસ્સો આવી ગયો. પરંતુ બીજી જ ક્ષણે વિચાર આવી ગયો કે આ બધા બક્ષી કે મારી જેમ ઇતિહાસપ્રેમી થોડા છે. બસ થોડો ગુસ્સો આવી ગયો અને હું સૂઇ ગયો. કારણ કે એમ પણ થાકી ગયો હતો અને ઉંઘ આવતી હતી. થોડો આરામ થઇ ગયો અને આમ તેમ કરતા નજર પડી તો અમે મોટા હાઇવે પર આવી ચુક્યા હતા. હજુ પણ પહાડોથી ઘેરાયેલો રાજસ્થાનનો પ્રદેશ કંઇક અલગ જ ભાત ઉપસાવતો હતો. મેં મારા સાઇબરસૉટને તૈયાર કર્યો અને થોડા સારા ફોટો કલિક કરી લીધા. ખરેખર રાજસ્થાન નો આ પ્રદેશ એક અજાયબી જ છે. પાછો હું ઉંઘમાં સરી પડયો અને થોડીવારે જીગ્નેશસરે મને ઉઠાડ્યો અને જોયું તો બે મોટા પહાડોમાંથી બનાવેલા બોગદામાંથી અમારી ક્રુઝર પસાર થઇ ગઇ. ખરેખર આ કામગીરી એક અજાયબી જેવી જ લાગે છે. હજુ પણ તેમાં કામકાજ ચાલુ જ છે. બપોરના 2:30 થયા હતા. બધાને કકડીને ભૂખ લાગી હતી. અમે સૌ હોટલ પર ઉતર્યા અને પેટ ભરીને ખાધુ. પાછા અમે સૌ આગળ ઉપડયા. બપોરે 4 વાગ્યે ગબ્બર પર પહોંચ્યા. હું, નરેન્દ્ર્સર, જીગરસર, પાટીલ, જીગ્નેશ, વિપુલ, નાનકાણીસર અને સમીરસર ચાલતા ગબ્બર ચઢયા અને બાકીના રોપવેમાં બેસીને ગબ્બર ચઢયા. આ વખતે પાટીલ અને જીગ્નેશ બાજી મારી ગયા બન્ને સૌ પ્રથમ ઉપર ચઢી ગયા. ત્યાર બાદ નરેન્દ્ર્સર અને જીગરસર પહોંચ્યા. હું પાછળ હતો. પરંતુ પહોંચી ગયો ખરો. મને રસ્તામાં પીધેલું લીંબુ સરબત નડી ગયું. મારા પછી નાનકાણીસર અને સમીરસર આવ્યા. ઉતરવામાં તો નો પ્રોબલેમ. ફટાફટ ઉતરી જ ગ્યા. નીચે બધા ભેગા થયા અને અમે સૌ ફરીથી આગળ વધ્યા અને પહોંચી ગયા. અંબે માતાના મંદિરે. મંદિર બંધ હતું. બહાર લાઇનમાં થોડી પ્રતિક્ષા કરી. અને 6:30 મંદિર ખૂલ્યું અમે સૌએ મંદિરમાં આરતીનો લાહવો લીધો. ખરેખર મંદિરમાં આરતી કરવાની ખૂબ જ મજા આવી ગઇ. મંદિરમાં આરતી પતી અને અમે લાઇનમાં ઉભા હતા ત્યાં બાજુમાં શંકર ભગવાનની આરતી શરુ થઇ. એ આરતીમાં અમે સૌ સામેલ થયા. પરંતુ પૂજારી સાથે ત્યાંનો એક લોકલ ભકત હતો તે જે રીતે આરતી ગાતો હતો તે જોઇને ખરેખર અમે સૌ દંગ જ રહી ગયા. એક નિખાલસ બાળક જે અદામાં તેના બાપને રીજવે એ રીતે એ ભોળાને રીજવતો હતો. આરતી પછી પણ એણે શંભૂ શરણે પડી ગાયું. ખરેખર આ વ્યકિત ભોળાને રીજવી જ નાખશે એવા એના તેવર હતા. નિખાલસતા, ગંભીરતા અને ભકિતનો અજબ સંયોગ તેનામાં દેખાતો હતો. જો તે વ્યકિત મને મળેત તો હું ચોક્કસ કહેત કે ભાઇ આજે મને એવું લાગ્યું કે તમારા અને ભોળા વચ્ચે કોઇ હાજર ન હતું. ધન્ય છે દોસ્ત ધન્ય છે.....
દર્શન કરીને અમે સૌ પાછા ક્રુઝરમાં ગોઠવાઇ ગયા. ઇડર પાસે અમે સૌ ચા પીવા ઉભા રહ્યા. સામે એક વિશાળ પર્વત દેખાતો હતો. સમીરસરે મને તરત જ કહ્યું અજીત આ રસ્તા પરથી દેખાતો છેલ્લો પર્વત આગળ એક બીજો પર્વત આવશે બસ પછી પૂરું. પછી આપણે આવા પહાડો નહી જોઇએ. આ કથ્થઇ કલરનો પહાડ દિસવમાં ખૂબ જ સરસ લાગતો હોય છે. થોડીઘણી વાતો કરતા હતા ત્યાં ખેડબ્રહ્મા આવી ગયું. ત્યાં અમે સૌએ અંબિકા માતાના દર્શન કર્યા. અને ગાડીમાં ગોઠવાઇ ગયા. હવે લગભગ બધા જ સૂઇ ચૂકયા હતા. ટોલટેક્ક્ષ નાકુ આવ્યું ત્યાં પૈસા કાઢતા પણ વાર લાગી. બધા જ થાકી ગયા હતા. આખો દિવસ હા વર્ષનો પહેલો દિવસ અમે 24 કલાક બહાર વિતાવ્યો. કંઇક અલગ જ રીતે એન્જોય કર્યો. ખરેખર ખૂબ જ મજા આવી. મોડી રાતે અમે સનરાઇઝમાં ઉતર્યા અને સૌ પોતાના ઘર તરફ જવા નિકળી પડયા. આ વખતની મજાને યાદ કરત કરતા જ્યારે હું ઘરે જઇ રહયો હતો ત્યારે મને એક વિચાર આવ્યો કે દરેક ટ્રીપે અમને એક વાત ચોક્કસ શીખવી છે કે ફરવું એ એક મજા છે અને ગ્રુપમાં ફરવું એ એક અલગ જ લાહવો છે. એમાં ઘણું પ્રાપત થતું હોય છે. અને કદાચ આ વિચારમાં જ તો અમે સૌ તૈયાર થઇ જતા હોઇએ છીએ.

Ajit Kalaria