બુધવાર, 26 મે, 2021

કવિતાને કિનારે....કિનારે......

કવિતાને કિનારે....કિનારે......




સ્પર્શની સુંવાળપ પામતો ઓછા શબ્દો થકી રજુ થતો શબ્દ વૈભવ એ કવિતા જ હોઇ શકે. કવિતા-એ-કવિતા છે, એની સરખામણી ક્યાંય કોઇ સાથે શક્ય જ નથી. કોઇક ગદ્ય- પદ્યમય હોઇ શકે પણ કોઇ પદ્ય ક્યારેય ગદ્યમય ન જ  હોઇ શકે ! આમ, કવિતા પોતે યુનિક છે, એની સરખામણી આ જ કારણે શક્ય નથી. 
લખવા બેઠા અને કાગળ પર લખાય જાય તે કવિતા નથી. કવિતા એટલે સ્વયંસ્ફુરણા. એનો અસ્ખલિત પ્રવાહ ક્યારે ચાલુ થાય તે નક્કી જ નહી ને ! જાણે અચનાક જ કોઇ પર્વત પર વાદળો ઘેરાય અને મુશળધાર વરસાદ તૂટી પડયા પછી એ પર્વત પરથી જાણે ચારે બાજુ જેમ ઝરણા વહેવા માંડે તેમ ઉછળતા કૂદતા શબ્દો આવે ને ત્યારે કવિતા રચાય ! આ શબ્દો કંઇ બંધ ઓછા થાય! એ તો પેલા ઝરણાની જેમ ખળખળ કરતાં આગળ વધે જ ! દરેકનો સોદો થાય કવિતાનો સોદો ન થાય. કવિતાનું મૂલ્ય રુપિયામાં ન અંકાય, અરે! તેનું તો બાર્ટરિંગ પણ ન થાય. તે તો માત્ર કોઇકના હ્રદયમાં ઉગે અને પછી અનેકના હ્રદયને વલોવે !  ક્યારેક તો એવું પણ બને કે કવિતા એકથી બીજાના હાથમાં અને બીજાથી ત્રીજાના હાથમાં જાય અને ક્યાંક કવિવરનું નામ ભૂલી જવાય અને છતાં પણ એ તો આગળ વહેવાની જ ! હજારો હૈયાને પુલકિત કરવાની જ !  ક્યારેક તો એમ થાય છે કે કવિતા હ્દયના ભાર ને હળવો કરવા જ જ્ન્મી છે. ક્યારેક કવિતાનું સ્વરુપ તો પ્રિયજ્ન કરતા પણ વહાલું લાગે.
જ્યારે વેદનાને વાચા ફૂટે, જ્યારે લાગણીની ભીનાશમાં હ્રદય ભીનું બને, જ્યારે મનમંદિર ક્યાંક આનંદના હિલોળે ચડે, જ્યારે જીવનમાં પ્રેમના ગણિતના દાખલા રચાતા હોય ને ત્યારે ક્યાંક કોઇકના હ્રદયમંદિરમાં કવિતા ફૂટતી હોય છે. તો વળી ક્યાંક યુદ્ધ મોરચો મંડાયેલો હોય અને ઉત્સાહ વર્ધક શબ્દો કોઇક સૈનિકને ઝંકઝોળ કરી શકે એ શબ્દ વૈભવનો થનગનાટ એટલે જ કવિતા !  ક્યાંક નાના બાળકને સમજાવવા તો ક્યાંક કોઇકને મનાવવા જ્યારે શબ્દો હ્રદયમંદિરમાંથી નીકળે અને એ પણ પાછા કોઇક પ્રાસ સાથે ત્યારે સમજવું કે કોઇક કવિતા આવી છે. સાચું કહું - તો વળી, ક્યાંક કોઇક આશ્ચર્ય પણ કવિતા જન્માવી જાય એવું પણ બને ! ક્યાંક કોઇક રાજા પણ કવિ હોઇ શકે ! લાંબા ઇતિહાસ ને છોડો - આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇ કવિ હતા તો હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કવિ છે જ ! કોઇક ધ્યેય, કોઇક સપના કે કોઇક પરિસ્થિતી, લાગણી, સંબંધ, માંદગી, યાદો, જ્યારે એક વલોણામાંથી પસાર થતી હોય ત્યારે ક્યાંક કવિતા ઉદભવતી હોય છે ! ટુંકમાં કહું તો, જીવંતતાનો ખ્યાલ આપતી સૌથી સુંદર પરિભાષા એટલે કવિતા.
કવિતા એ ચેતનાની એક પરમ અવસ્થા છે તો ક્યાંક કવિતા જુસ્સાનો જ્વાળામુખી છે. કવિતા ક્યાંક સૌંદર્યને  ગરીમા બક્ષનારી રિધમ છે તો ક્યાંક કવિતા પથ્થર દિલને પણ પિગળાવનારી છે. કવિતા ક્યાંક મરસિયા રૂપે વહેનારી છે તો ક્યાંક છંદોના અલંકાર થકી નવૌઢા જેવી લાવણ્યકારી થઇ ઊઠનારી છે. કવિતા કયાંક અછાંદસ હોવા છતાં અનેકને સ્પર્શી જનારી હોય છે તો ક્યાંક પોતાને જ પોતાનામાં સમવી લેનારી હોય છે. કવિતા ક્યાંક મધુર પ્રાર્થનાનું સંગીત છે. તો કવિતા કયાંક ખુમારી ભરી ગઝલ છે. 
કવિતા એ કંઇ શબ્દોની જુગલબંધી જ નથી. લયની લઢણ અને શબ્દોની ગોઠવણી એ પણ કવિતા નથી. આ બધામાં ક્યાંક,  હાઇકુ તો ક્યાંક ગઝલ તો ક્યાંક વર્ટિકલ રૂપે પણ કવિતા આવે! ક્યાંક છાંદશ તો ક્યાંક અછાંદશ સ્વરૂપે વહે એ કવિતા. અને એમાં ક્યાંક પંચ હોય તો ક્યાંક પ્યાર હોય. ક્યાંક વેદના હોય તો ક્યાંક શુરાતનના પડઘમ હોય. ક્યાંક પ્રેરણાનો ધોધ હોય તો ક્યાંક નિખાલસ રજુઆત હોય. ક્યાંક શુરાતનનું વાવાઝોડું હોય તો ક્યાંક અંજલિનો અભિષેક હોય. ક્યાંક આદ્યાત્મના અણસારાનો વૈભવ હોય તો ક્યાંક પોતાનો જ પરિચય આપનારી સ્વયમશિસ્તા બની સામે આવનારી સ્વ્યમસિદ્ધા હોય. કવિતા ક્યારેક સાધનામય રૂપે હોય તો ક્યાંક ભક્તિનો ભેખ ધરનારી હોય. કિવતા ક્યાંક હાસ્ય-અટ્ટહાસ્ય રૂપે હોય તો ક્યાંક આંસુઓના અભિષેક રૂપે હોય. તલવારની ધાર પર સરકતા શબ્દોનો વૈભવ આપે એ કવિતા, તો ક્યાંક પુષ્પનો અભિષેક પામી અબોલ છતાં બોલકું મૌન રજુ કરી આપે એ કવિતા ! અને છતાં ક્યાંક સુરેશ દલાલે ખુબ સરસ વાત કરી છે કે- 

કવિતા લખવી હોય તો લખો 
-લખો તમારી ગરજે. લખશો એટલે કવિતા થશે જ 
એની કોઇ બાંયધારી નહીં  આપી શકે. 
છંદ આવડે કે ન આવડે 
કવિતા કોઇ પૂર્વશરતથી આવતી નથી. 
એવું પણ બને 
કે આવવાની સાથે 
એનું કાગળ પર જ બાળ-મરણ થાય. 
પ્રક્ટ્યા પછી એ તમારાથી છૂટશે. 
તમારું નામ ભલે હોય કે ન હોય 
પણ એ શ્વાસ 
પોતાના જોર પર જ લેશે. 
ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ, 
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર 
કે વિષાદનો વડલો- આવાં આવાં 
રૂપકોને તો એ ફંગોળીને ફેંકી દેશે 
તમારી નજર સમક્ષ જ. 
આ બધું જોવાની અને જીરવવાની 
તાકાત હોય, 
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી 
લખવાની ભીતરી ગરજ હોય તો 
- લખવી હોય તો લખજો. 
કદાચ, એ કવિતા હોય તો હોય. 

જ્યારે માર્મિક તથ્યોને બાજુ પર મુકી પોતાના સ્વાર્થ ખાતર શબ્દોની ગોઠવણી થતી હોય છે ત્યારે એ મીંઢાપણાથી કવિતા સનેપાત અનુભવતી હોય છે. સર્જનશીલતા પર જાણે આતંકવાદી હુમલો ! આખી રચનામાં શબ્દરંગનો મજાનો વૈભવ હોય પણ પૂર્વગ્રહ હોય ત્યારે કવિતા એ કવિતા નથી રહેતી. પૂર્વગ્રહોથી પિડિત વ્યક્તિ જ્યારે કવિનું બિરૂદ પામે ત્યારે ખરા અર્થમાં એ કવિતા એનું કવિતાત્વ ગુમાવી બેસતી હોય છે અને એ વેદના શબ્દાતીત હોય છે. જ્યારે કોઇ કવિમાં કે એની રચાનામાં સ્વાર્થી અપેક્ષાઓ પગ પેસારો કરતી હોય છે ત્યારે એનું કવિત્વ નાશ પામતું હોય છે. ટુંકમાં કોઇક અસર તળે ઉદભવે એ બધું જ હોઇ શકે પણ કવિતા તો ન જ હોઇ શકે. શબ્દોની ધડકન જોવી હોય અને શબ્દોનો થડકાટ અનુભવવો હોય તો કવિતા ને પામવી પડે એ મુદ્દાની વાત ત્યારે ક્યાંક ત્યારે ભુલાતી હોય છે . અરે, કવિતા તો માણવા અને પામવા સર્જાઇ હોય છે. એ તો પ્રાણ ન ધરાવનારી પ્રાણધાર વાહિની છે આ વાત જેને સમજાય એ જ ખરા કવિત્વને પામી શકે. 
કવિતા લીંપણ કે ગૂંથણ નથી એ તો જાણે સંઘેળા અવતારે ચેતનાની પરમ અવસ્થાએ પ્રગટતું નાદબ્રહ્મનું આલેખન ! કવિતા તો હૂંફ આપે ને જરૂર પડ્યે પિગાળે પણ ખરી ! કવિતામાં ક્યાંક પ્રેરણાનો પગરવ હોય છે તો ક્યાંક હિમાલયની અડગતા ! કૃષ્ણએ કહ્યું છે ને કે અગ્નિમાં હું જઠરાગ્નિ છું એમ કવિતા કહી શકે કે  શબ્દોના લયમાં છાંદશ કે અછાંદશ સ્વરૂપે સૌના દિલમાં રહેનારી શબ્દોના વહાવમાં વહેનારી શબ્દ વૈભવનો અવતાર હું કવિતા છું. ગામની ગાગરથી લઇને અનંત ગગનની અખિલાઇ એના પર્યાય રૂપે બોલે એ કવિતા !  ટુંકમાં સમગ્રતાને સમાવી શકે અને અખિલાઇ પૂર્વક વ્યક્ત થઇ શકે એ કવિતા !  ઓછા શબ્દોમાં મર્મના પડઘમ પાડે એ કવિતા ! સફળતા નિષ્ફળતના સ્પંદનો ઝીલી એને લાવણ્યતા બક્ષી સૌના દિલની માલિક બની જાય એ કવિતા !  જે પોતાના પણાનો પોતીકો અહેસાસ કરાવી જાય એ કવિતા !  કૂંપળની જેમ ફૂટે ને ચારેકોર અસ્તિત્વમાં ભળે એ જ એની ખરી ઓળખ ! ટુંકમાં તેજસ્વિતા અને ઓજસ્વિતાથી ભરેલા શબ્દોનો વૈભવ એટલે કવિતા. 
અને કવિતાની આ બધી મજાની વાત જ્યારે કવિતા ખુદ બોલતી હોય તો કેવું ? હા, છેલ્લા મારે કોઇકે રચેલી અને કવિતા જ પોતે જ બોલે- એ કવિતા કહી ને પૂર્ણવિરામ મુકવો છે. 

એકાગ્ર ચિત્તે સુખ-દુ:ખ મારા સાંભળે છે કવિતા. 
ક્યારેક લાગણીઓમાં ન્હાય છે, તો ક્યારેક આંસુઓમાં ભિંજાય છે કવિતા.
મુજ સાથે બનતા હર એક બનાવની સાક્ષી થાય છે કવિતા. 
હસી રડી મારી સાથે મુજ સુખ-દુ:ખની ભાગીદાર બની જાય છે કવિતા. 
સમાવી લઇ ખુદમાં દર્દ, પીડા, વ્યથા મારી આક્રોસમાં એની છુપાવે છે કવિતા. 
રોષ, ગુસ્સા, અક્રોસને મારા ઢાળી શબ્દોમાં ખુદમાં સમાવે છે કવિતા. 
મારી હર એક ક્ષણને મહામુલી એની યાદોના જતનથી સાચવે છે કવિતા. 
ભાર માથાનો હળવો કરે ના કરે, મનને હળવાશ આપે છે કવિતા. 
ખેંચી લઇ ભાર મુજ હ્રદયનો હળવી ફૂલ મને બનાવે છે કવિતા. 
મનોરંજક બની, શોખ ભલે કહેવાય બીજા માટે, મારે માટે તો જીંદગીનો સહારો છે કવિતા. 
વાંચી મને, પોતે જ ઉતારે છે ખુદમાં, મારાથી ક્યાં લખાય છે “કવિતા”.

શુક્રવાર, 7 મે, 2021

માણસ નામે VIP

 




છાન્દોગ્ય ઉપનિષદમાં કહેલી વાત કે “સુખં ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ |”  (સુખની જીજ્ઞાશા રાખવી જોઇએ.) જેવી મજાની સુખમિમાંસાની વાતથી જે પુસ્તકની શરૂઆત થતી હોય એ પુસ્તકમાં મજા જ આવશે એ વાંચતા જ સમાજાઇ જાય. તો, બીજી બાજુ આ જ ઉપનિષદમાં થયેલ ૐ ના મૈથુન મહિમાની પણ વાત છે. તો વળી ક્યાંક ઇશોપનિષદનો મંત્ર બોલે છે, તો ઇશોપનિષદ પર ગાંધીજીએ કરેલું ક્વોટ છે જે આપણી સંસ્કૃતિની ગરીમાને ઉજાગર કરે છે અને આ ઉપનિષદ પ્રત્યે માન ઉપજાવે છે એ પણ છે. આ બધાની વચ્ચે ક્યાંક વેદમંત્રથી કોઇક લેખની થતી શરૂઆત મજાની લાગે છે. તો વળી, ક્યાંક માર્કેટીંગના પરીપ્રેક્ષ્યમાં ઋષિ વિશ્વામિત્રના ગાયત્રી મંત્રની વાત રજુ થઇ છે. એવું મજાનું પુસ્તક એટલે માણસ નામે VIP.”

દારા શુકોહને આવનારી પેઢી યાદ રાખે એ માટે એક માર્ગનું નામ દારા શુકોહ માર્ગ અપાય, એ માટે કરેલા પ્રયત્નો અને એ મજાનું કામ થયા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે જે માર્ગનું નામ દારા શુકોહ રખાયું એ જ માર્ગ પર કરેલ “દારા શુકોહ સ્મરણયાત્રા” ની ખુબ જ સરસ રજુઆત કરતો મજાનો લેખ જાણે આ પુસ્તકમાં મોરપિચ્છ સમાન ભાષે છે. કારણ કે એમાં ચારસો વર્ષ પહેલાના એક હાંસિયામાં ધકેલાઇ ગયેલ નામને – એક સેક્યુલર ફરીસ્તાને ફરી જીવંત કરી આજની પેઢી સમક્ષ રજુ કરવાનો નિ:સ્વાર્થ પ્રયત્ન છે. 

મેક્સમુલર, ડૉ. ડુલિટલ , આઇઝેક એસિમોવ, ખલીલ જિબ્રાન, આલ્બેર કામું, આર્નોલ્ડ ટોયનબી, સ્ટીફન એટેનબરો, ડૉ. રાધાકૃષ્ણન, ભર્તુહરી, રિલ્કે, લિન યુટાંગ, આલ્બર્ટ આઇનસ્ટાઇન, કન્ફ્યુશિયસ, જર્મન લેખક કેન્નેથ વોકર, ટી.એસ. એલિયટ આ બધાના કોઇક ક્વૉટ કે એમની કોઇક વાત ખૂબ જ સરસ રીતે આ પુસ્તકમાં રજુ થઇ છે, જે આ પુસ્તકની સમૃદ્ધિનો પુરાવો આપે છે.  તો વળી ક્યાંક, જાપાનીઝ કવિ નાગૂચીની વાત છે. તો બીજી બાજુ ક્યાંક રવિન્દ્રનાથ ટાગોર કે નરસિંહ મહેતા ના કોઇક પદની પણ વાત છે. પાકિસ્તાનના હસન નિસારની હિંમતની વાત છે. અને આ બધાની વચ્ચે ક્યાંક કોઇક સૂફી ફકિરની મજાની વાત એવી રીતે મહેકી ઉઠે છે જાણે વરસાદ બાદ ધરતીની મહેક !  

વિલિયમ બ્લેકની કવિતા ક્યાંક ઉપનિષદોની વાત વચ્ચે એવી રીતે રજુ થઇ છે કે જાણે કોઇ છોડ પર મજાનું પુષ્પ ખીલી ઉઠ્યું ! ઇલ્સલામી સૂફી પરંપરા જ્યાંથી શરૂ થઇ એ રૂમી ક્યાંક બોલે છે. ઇશ્વરમાં શ્રદ્ધા ન રાખનારા લોર્ડ બટ્રાંડ રસેલની કોઇક વાત છે. તો, ક્યાંક પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરજીના વિચારો રજુ થયા છે, આટલા નામ હોય અને ગુણવંત શાહના પુસ્તકમાં એમના જીવનમાં એમને અપીલ કરી ગયેલા બે પાત્રો ગાંધીજી અને વિનોબાજી ન હોય એવું બને ! આ બન્ને મહાનુભાવોના વિચારો આ પુસ્તકમાં ખુબ જ સરસ રીતે રજુ થયા છે. તો ક્યાંક એમની સાથેની અસહમતી પણ સરળ નિખાલસતા સાથે રજુ થઇ છે. આ બધાની વચ્ચે ક્યાંક પિકચરના ડાયલોગની સુંદર પ્રસ્તુતિ મનને ઝંકૃત કરી જાય છે. આ બધી વાતોમાં ક્યાંક મહાભારતના શબ્દો  છે તો, ક્યાંક રામાયણની વાત વચ્ચે વિવેક અને સાધનાના રચયિત કેદારનાથજીની વાત ખીલી ઉઠે છે.

 

જીવનની ફિલોસોફીમાં- ને- શબ્દોની સમજુતીમાં ક્યાંક પ્રેમની વાત છે, સત્યની વાત છે અને આ વાતોની વચ્ચે ક્યાંક નિખાલસ બની રજુ થવાની વાત છે. તો, વળી કોઇક જગ્યાએ કામદેવના ભાથામાં રહેલા પાંચ તીરની વાત છે. સૂર્યોદય સાથે થતા અનંતના ઉત્સવની ખૂબ જ સરસ પ્રસ્તુતિ છે. ક્યાંક વળી, બોધીસત્વના સમયની સરભા હરણની બૌધ કહાની બોલે છે. તો, હરિયાણાના ગામમાં ચાલતી ખાપ પંચાયતોની વેદના સામે બુલ્લે શાહના શબ્દોનું માધુર્ય રજુ થાય છે ત્યારે જાણે ઉનાળામાં ક્યાંક ભીનાશ પ્રાપ્ત થયાનો અહેસાસ ! ક્યાંક સિદ્ધાર્થ ફિલ્મની વાત આવે છે અને સિદ્ધાર્થનો ડાયલોગ આવે છે કે મારી પાસે ધન નથી પરંતુ હું ત્રણ બાબતોને કારણે ધનવાન ગણાઇ શકું ! (1) I can’t wait. (2) I can fast. ( 3) I can think.  અને પછી આ વાત છેક ગાંધીજી સુધી જાય છે અને એક વિચારબીજ એમના જ જીવનના પ્રસંગો સાથે રજુ થાય ત્યારે ફરીથી વિચારવિશ્વમાં ગરકાવ થઇ જવાય છે. આ બધાની વચ્ચે જ્યારે કૈફી આઝમીની પંક્તિ આપીને પોતાનો મિઝાઝ રજુ કરે છે ત્યારે લેખક પ્રત્યેનું માન બેવડાય છે.

ભૂલ કરનાર માણસની વાત આખા એક આર્ટીકલમાં ખૂબ જ સરસ રીતે રજુ થઇ છે તો, એની પૂર્ણાહૂતી મહમદ પૈગંબરના શબ્દો સાથે સુંદર રીતે થઇ છે. જ્યારે અસ્રુપાવરની વાત આવે છે ત્યારે જાણે આપણી જ સામે અરીસો ધરાઇ જાય છે. અને થોડા સમય માટે જાણે વિચારમગ્ન થઇ જવાઇ છે. તો વળી, કોઇક લેખમાં મહારાજા રણજીતસિંહના સ્વભાવની સુંદર રીતે રજુઆત થઇ છે અને પછી એમાં જ્યારે આઇસબોર્ન કે પછી ફ્રેન્ચ વિચારક જેડીમા કે પછી નહેરૂના ડિસ્કવરી ઓફ ઇન્ડિયાના શબ્દો જે રીતે ક્વોટ થયા છે એ જાણે રણજીતસિંહની એ વાત માટેના સિગ્નેચર ! ક્યાંક અચાનક જ ઉત્ક્રાંતિના યુ ટર્ન જેવું  મજાનું ટાઇટલ આવે અને એમાં અહિંસાની વાત એટલી સરસ રીતે મુકાઇ છે કે સ્કૂલના બળકોને તો નિબંધ માટે આખી સ્ક્રિપ્ટ મળી જાય. પુસ્તકના એક પછી એક પાના ફરતાં જાય અને વળી એમાં ક્યાંક યુદ્ધની વાત આવે તો ક્યાંક ગાંધીની અહિંસા આજે પણ ધબકતી દિશે એવા ઉદાહરણો સાથેની મજાની રજુઆત અનેક સમયે દેખાઇ ઉઠે ! આ બધું જ વાંચતા ક્યાંક એવો અહેસાસ ચોક્ક્સ થાય કે આ પુસ્તકમાં અનેક વાતો એવી રીતે રજુ થઇ છે કે જીવન પ્રત્યેની નઝર સામે દેખાતી ફિલોસોફી ખૂબ જ સરળ શબ્દોમાં માર્મિક રીતે રજુ થઇ છે. તો ખાસ નોંધવા જેવી બીજી વાત એ કે ગુણવંત શાહના દરેક પુસ્તકની જેમ જ આ પુસ્તકની ફૂટનોટ્સ પણ જાણે જ્ઞાનનો સાગર !

આ પુસ્તકના છેલ્લા 36 પાનાઓમાં ગુણવંત શાહ પરના વાચકોના પત્રો સબસે ઊંચી પ્રેમ સગાઇના ટાઇટલ નીચે રજુ થયા છે જેમાં પ્રત્યેક પત્ર લેખક પ્રત્યેનો આદર વ્યક્ત કરતા ભાષે છે. સાથે સાથે દારા શુકોહ માર્ગના નામકરણ માટે કરેલ મથામણના પત્રો પણ રજુ થયા છે જે બતાવે છે કે કોઇપણ લેવલ પર તમે જો નિષ્ઠા અને સાચા પુરુષાર્થ સાથે લડો છો તો એનું ઠોસ પરિણામ મળે જ છે. જે મારા જેવા અનેક માટે પ્રેરણારૂપ છે.

કેટલાક વિચારો જે મને આ પુસ્તકમાંથી ખુબ જ ગમી ગયા અને પજવી ગયા એ જો કહુ તો ચોક્ક્સ કહીશ કે....

માનવીનો ઇતિહાસ સુખ માટેની ઝંખના અને દુ:ખ નામની વાસ્તવિકતાનો ઇતિહાસ છે.

ગરીબ મનુષ્યને કેવળ ધનનો અભાવ નથી પજવતો, એને ગરીમાનો અભાવ પજવતો હોય છે.

ગાંધીજી મહાત્મા બન્યા કારણ કે તેઓ અસત્યનો અત્યાચાર વેઠવા તૈયાર ન હતાં.

મત અને મોત વચ્ચે હસ્તધૂનન થાય ત્યારે જ કોમી હુલ્લડ થાય છે. હુલ્લડ તો ગંદા રાજકરણની અનૌરસ ઔલાદ છે.

મનુષ્ય અંધશ્રદ્ધા વિના ડૂબી શકતો નથી અને શ્રદ્ધા વિના તરી શકતો નથી.

ઑરબેનની કોમેડીમાં કહ્યું છે કે “ જીવન એવી રીતે જીવો કે તમારે તમારી ડાયરી સંતાડવી ન પડે.”

અને, છેલ્લે એક મજાની વાત કે જે આ પુસ્તકના 39માં લેખમાં રજુ થઇ છે કે – જર્મન લેખક કેન્નેથ વૉકરના એક પુસ્તકની અર્પણ નોંધ મને ખૂબ જ ગમી ગઇ છે. અર્પણ નોંધમાં અનોખો મિજાજ છે. એ મિજાજ કેવો ?  - : “ To The Disturber of my sleep.”  ઊંઘમાં ખલેલ પહોંચાડનારને પુસ્તક અર્પણ કરે એવા લેખકો કેટલા ? તો આવી જ રીતે મારે કહેવું છે કે પોતાના વાચકોને યાદ રાખીને પુસ્તક અર્પણ કરે એવા કેટલા ? હા, આ હું એટલે કહું છું કે “માણસ નામે VIP” પુસ્તક જે ત્રણ વ્યક્તિઓને (વાચકોને) અર્પણ થયું છે એમાં એક નામ મારું પણ છે. આવું મજાનું પુસ્તક અને એની અર્પણ નોંધમાં મારું નામ હોય એ ક્યાંક અનેરા આનંદની ઘટના છે. અને મારી જીવનરૂપી ડાયરીમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું  આ એક પાનું છે.