શનિવાર, 30 મે, 2020

કોરોના એ યાદ અપાવ્યો માનવ અસ્થિઓનો ઇતિહાસ


કોરોના એ યાદ અપાવ્યો માનવ અસ્થિઓનો ઇતિહાસ



ત્રીજી સદીની પરોઢે પહોંચેલા આ જગતમાં માણસાઇ જાગી છે. અમુક સફળતાઓ તો અમુક નિષ્ફળતાઓ છે. અને છતાં ક્યાંક સતત ઉપરાછાપરી મળતી નિષ્ફળતાઓમાં પણ ક્યાંક માણસાઇ બોલી ઉઠે છે. અપૂર્ણતાથી ભરેલી આ દુનિયામાં આમ જ બનવાનું ! ભગવાન ચોક્ક્સ કોઇ રસ્તો બતાવશે ! અનેક પડકારોની સામે રાત-દિવસ દુનિયાના કોઇને કોઇ ખૂણે કોઇક માણસજાતને ટકાવી રાખવા માટે સતત મથી રહ્યું છે. અને એના પરિણામ સ્વરૂપ આ દુનિયામાંથી અનેક આપત્તિઓ જડમૂળથી દૂર થઇ છે તો અનેકની સામે માણસજાતની લડાઇ ચાલુ છે.
આજે આ દુનિયામાં પહેલી વખત એવું બની રહ્યું છે કે ભુખમરાથી મરનાર લોકોની સંખ્યા વધુ ખાવાનું ખાઇને મરનારની સંખ્યા કરતા ઓછી છે. હા, લોકો મેદસ્વિતાથી વધુ મરે છે. ઘડપણનો મૃત્યુદર, ચેપી રોગના મૃત્યુદર કરતાં વધારે છે. આમ, અનેક રોગ સામેની જીત એ મનવજાતના ઇતિહાસમાં સૌથી મોટું વિરાટ કદમ ગણી શકાય. શબ્દોનો થોડો ફેરફાર છે, બાકી આખી આ વાત, આ સદીમાં જે મહાન પુસ્તકની ગણના થઇ રહી છે એમાંના એક પુસ્તક Homo Deus માં જ લખાયેલા શબ્દો છે. લેખક Yuval Noah Harari પોતાના પુસ્તક Homo Deus માં આગળ લખે છે કે મનુષ્યજાતીનો ભુખમરા પછીનો જો કોઇ સૌથી મોટો શત્રુ હોય તો એ પ્લેગ અને ચેપી રોગ જ છે. લેખક સ્ટેટિસ્ટીકના વધુ આંકડા સાથે માહિતી આપતા કહે છે કે 1979 માં WHO એ વિશ્વને શીતળા મુક્ત જાહેર કર્યું પણ છેલ્લા મોટા ડેટા પ્રમાણે ઇ.સ. 1967માં 1.5 કરોડ લોકો શીતળાનો ભોગ બન્યા હતાં અને લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. અને હવે આજે શીતળા મુક્ત દુનિયા છે. તો બીજી બાજુ બ્લેક ડેથમાં 7.5 થી 20 કરોડ લોકો એ જીવ ગુમાવ્યા હતા. જે યુરેશિયાની વસ્તીનો ચોથો ભાગ થાય. ઇંગ્લેન્ડમાં દર 10 લોકોએ 4 લોકો મરતા હતાં. જેમાં ફ્લોરેન્સ શહેરે 10 લાખમાંથી 50,000 લોકો ગુમાવ્યા હતાં. અને ભુતકાળમાં જ્યારે પણ આવું બનતું ત્યારે આવા આપદાના સમયમાં સત્તાધારીઓ પાસે માત્ર સામુહીક પ્રાથના જ સૌથી મોટું શસ્ત્ર રહેતું.  તેઓ પાસે આ મહામારીને રોકવાના જરા પણ ઉપાય ન હોતા અને ભગવાનનો પ્રકોપ ઓછો થશે એટલે એની જાતે જ જશે એમ વિચારીને છોડી દેતાં. અરે એટલું જ નહી, આધુનિક યુગ સુધી આવા રોગ ને લોકો ખરાબ હવા, આસુરી શક્તિ અને ભગવાનનો પ્રકોપ ગણવતાં, પણ વાઇરસ કે બેક્ટેરીયાના અસ્તિત્વને સ્વિકારવા જરા પણ તૈયાર ન જ થતાં. લોકોને પરી કથાઓમાં પુરો વિશ્વાસ હતો પણ એક નાની માખી અને પાણીનું એક ખરાબ ટીપુ સર્વનાસ નોતરવા માટે પુરતા છે એ કોઇ માનવા તૈયાર ન હતાં. Yuval Noah Harari એ લખેલી  આ વાત જાણ્યા બાદ એટલું તો ચોક્ક્સ કહી શકાય કે આજે વિશ્વમાં પ્રત્યેક ખૂણે વિચારો બદલયા છે. માનવતા મહેકી છે અને માનવજાત પર વિજ્ઞાન અને સંશોધનનો પ્રભાવ વધ્યો છે. જીનવ સરળ બન્યું છે અને જીવનમુલ્યો બદલાયા છે. કોઇપણ વાત માટે જરૂર પડ્યે બધા જ સાથે મળી કોઇ સોલ્યુસન શોધવા પ્રતિક્ષણ તૈયાર છે. અને આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના કે Covid-19 ના સંક્રમણમાંથી જે રીતે પસાર થઇ રહ્યુ છે ત્યારે આજે ગર્વ લેવા જેવી બાબત એ જ છે કે જાણે આખી દુનિયા એક સાથે કદમ મિલાવીને ચાલી રહી છે. અને એક જ વિચાર પર કેન્દ્રિત થઇ નાનામાં નાના માણસને બચાવી લેવા જે રીતે ધમપછાડા કરાય છે એ જ આજની સૌથી મોટી જીત છે. છતાં સમગ્ર દુનિયામાં મૃત્યુનો આંક વિચારતા કરી મુકી છે. પણ નાના બાળકથી માંડીને ઘરડાને બચાવી લેવા કે ક્યોર કરવા માટે જે જાનની બાજી લગાવી દેવાય છે એ નોંધનીય છે. અને આપણે સૌ આ ઘટનાના સાક્ષી છીએ એ જ સૌથી મોટા ગૌરવની વાત છે. આ બધાની વચ્ચે એક વાત તો સ્વિકારવી જ રહી કે આજે પૃથ્વી પર કોઇપણ દેશમાં એક જ શબ્દની ચર્ચા છે અને તે છે Corona કે Covid19- Pandemic. તો શું આ પૃથ્વી પહેલી વખત જ આવા Pandemic નો ભોગ બની કે પહેલા પણ આવું કશું બન્યું હતું.  તો જવાબ છે હા, ઘણી વખત આવું બન્યું છે. અને શરૂઆત કરીએ આ Pandemic શબ્દને સમજવાથી. તો...
જ્યારે કોઇ એક રોગ કોઇ શહેર, પ્રદેશ કે દેશ પુરતો સિમિત હોય અને એના સંક્રમણનો દર ધારણા કરતા વધારે હોય ત્યારે WHO ની ગાઇડ લાઇન પ્રમાણે એને Epidemic કહેવામાં આવે છે. અને જ્યારે એ રોગ સરહદ ઓળંગીને વધુ દેશમાં ફેલાય ત્યારે એને Pandemic તરીક ઓળખવામાં આવે છે. આ અર્થમાં કોરોના Pandemic છે. આ જ્યારે લખી રહ્યો છું ત્યારે John Hopkins University ના ડેટા પ્રમાણે દુનિયામાં માત્ર North Korea અને Turkmenistan જેવા બે જ મોટા દેશ અને Kiribati, Marshll island, Micronesia, Nauru, Palau, Samoa, Solomon, Tonga, Tuvalu અને  Vanuatu જેવા નાના ટાપુ જ કોરોનાના સંક્રમણથી બાકાત છે. આખી પૃથ્વીની સપાટી પર માંડ આટલા જ જમીની પ્રદેશ બચ્યા છે કે જ્યાં હજુ કોરોના વાઇરસ પહોંચ્યો નથી.  
પૃથ્વીએ જોયેલો સૌ પ્રથમ Pandemic કયો? તો જવાબ ખૂબ જ પાછળ લઇ જાય છે. હા, વાત તો Epidemicની છે પણ ત્યાર માટે તો આને Pandemic જ ગણવો પડે કારણ કે આખું નગર અને આખી સંસ્કૃતિ પુરી થઇ હતી. તો માંડીને વાત કરું તો, પ્રાગઐતિહાસિક સમયના Epidemicની સૌથી પહેલી વાત કરીએ તો ઇ.સ. પૂર્વે 3000માં Circa નો કહેર હતો એમ માનવામાં આવે છે. ઉતરપૂર્વીય ચીનમાં પુરાતત્વવિભાગને એક આખું એવું ગામ મળી (Hamin Mangha Site)આવ્યું કે જેમાં આખું નગર Epidemicની એવી ઝપટમાં આવ્યું કે કોઇ કરતાં કોઇ જ બચ્યું નહી. આ Epidemicનો એવો કહેર હતો કે જે લોકો પહેલા મર્યા એને યોગ્ય રીતે દફનાવવા પણ કોઇ પાછળ  જીવીત ન બચ્યું. હા, આવા  રૂવાં ઉભા કરી દે એવા પુરાવા મળ્યા છે. અને છેલ્લે આખો પ્રદેશ બિનવાસાહતીય-બિનમાનવીય બન્યો. આવું જ ત્યાં નજીકમાં આવેલ Miaozigou site માં પણ બન્યું હતું. આમ Epidemic ની અસર આજથી 5000 વર્ષ પહેલા પણ હતી અને આજે પણ છે. પણ ફર્ક માત્ર એ જ છે કે હવે કોઇ Epidemic આખા પ્રદેશને ભરખી જાય એ લગભગ અશક્ય છે.  
તો, આવું જ કંઇક ઇ.સ. પૂર્વે 430માં એથેન્સમાં બન્યું હતું. અને ત્યારે ત્યાં પ્લેગની અસર સતત પાંચ વર્ષ રહી હતી. આ સમય ઇતિહાસમાં Peloponnesian યુદ્ધના સમય તરીકે ઓળખાય છે. લિબિયા, ઇથોપિયા અને ઇજિપ્તને ભરડામાં લઇને આખરે આ Pandemic એથેન્સની દિવાલ તોડીને   એથેન્સમાં પ્રવેશ્યો અને જેમાં લગભગ એક લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જે ત્યારની બે તૃતિયાંશ વસ્તી બરાબરનો આંકડો કહેવાય. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ઇ.સ. પૂર્વે 404માં જ્યારે એથેન્સને સ્પાર્ટા સામે હથિયાર મુકી દેવા પડ્યા ત્યાં સુધી આ પ્લેગની અસર રહી હતી.
હવે, ઐતિહાસિક યુગમાં પ્રવેશીએ તો, ઇ.સ. 165 માં Antonine પ્લેગ ફેલાયો એના શરૂઆતના લક્ષણો શીતળા(smallpox) જેવા હતાં. જેનો સૌપ્રથમ ભોગ હુણો બન્યા હતાં એમ માનવામાં આવે છે. જેનો ચેપ જર્મનો સુધી પહોંચ્યો અને ત્યાંથી એ રોમનો સુધી આવ્યો. Parthia (હાલનું Khorasan in Iran) સામેની લડાઇમાંથી પાછા ફરેલા રોમન સૈનિકો આ પ્લેગ લેતા આવ્યા એમ પણ ઘણા ઇતિહાસકારો માને છે. લગભગ આ પ્લેગની અસર 15 વર્ષ સુધી રહી હતી. જેમાં લગભગ 50 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. આ પ્લેગનો ભોગ બનવામાં ત્યારના રોમન સમ્રાટ Marcus Aurelius નું નામ પણ સામેલ હતું.
પ્લેગનો બીજો મોટો Pandemic એટલે ઇ.સ. 250નું વર્ષ. ટ્યુનિશિયાના કાર્થેજમાં બિશપ St. Cyprian ને સૌ પ્રથમ પ્લેગ થયો એટલે એના નામ પરથી જ પ્લેગ ને નામ આપી દેવાયું Cyprian પ્લેગ. અને ત્યારે આ બિશપે આ રોગને દુનિયાના અંત તરીકે ગણાવ્યો હતો એવા પુરાવા છે. તો પ્લેગના આ ભરડામાં રોમમાં રોજના 5000 લોકો મરતાં હતાં. આ પ્લેગ ઇથિયોપિયાથી શરૂ થયો અને ઉતર અફ્રિકામાં થઇને રોમમાં પ્રવેશ્યો હતો એવું મનાય છે. પરંતુ મજાની વાત એ છે કે આ પ્લેગ ફેલાયો હતો એના જે પુરાવા મળ્યા છે એ સાઇટ Luxor માં મળી  આવી છે જેમાં એક સાથે દફનાવાયેલ અનેક મૃતકોના શરીરને lime ના પાતળા આવરણથી ઢાંકેલા છે. જે બતાવે છે કે એ સમયે પણ લોકો disinfectant પદ્ધતિને સારી રીતે જાણતાં હતાં. એની નજીકમાં જ લાઇમ બનાવવાની ત્રણ ફેકટરી પણ મળી આવી છે. આમ, ઇ.સ. 250 થી શરૂ થયેલ અને ઇ.સ. 271 સુધી ચાલેલ આ પ્લેગે આપણને disinfectant પદ્ધતિનો એક પુરાવો પુરો પાડ્યો. આવી રીત આજે કોરોનાના કહેર વચ્ચે આપણા માટે પણ એક અનિવાર્યતા બનીને સામે ઉભરી આવી છે. મૃત્યુ બાદ અનેક પ્રિકોશન વચ્ચે દફનવીધી કે અંતિમક્રિયા થાય છે. અરે એમ કહો કે જાણે આ સમયે થતી બધી જ રીતો બદલાઇ છે.
ત્યાર બાદ, ઇ.સ. 541માં ઇજિપ્તમાં Justinian પ્લેગે દેખા દીધી. જ્યાંથી એ પેલેસ્ટાઇન અને પછી Byzantine સામ્રાજ્યને ઘેરી વળ્યો. અને પછી Mediterranean પ્રદેશના દેશ એક પછી એક ઝપટમાં આવવા લાગ્યાં. અને બસ આ સમયથી જ Byzantine સામ્રાજ્યના પતનનો સમય શરૂ થયો હતો. અને એક વર્ષમાં દુનિયાની 10% વસ્તી નામશેષ થઇ.  આ પ્લેગ સતત બે સદી સુધી સમયાંતરે દેખા દેવા લાગ્યો અને જેમાં 5 કરોડ લોકો મૃત્યુ પામ્યા જે લગભગ દુનિયાની 26 % વસ્તી બરાબર કહેવાય. આ પ્લેગથી જ દુનિયામાં Bubonic પ્લેગની શરૂઆત થઇ એમ માનવામાં આવે છે. આ  Bubonic પ્લેગ એટલે શું? તો જવાબ છે કે કોઇ પ્રકારનો ચોક્ક્સ રોગ કે જેના બેકટેરિયાનો ફેલાવો માખી જેવા માધ્યમ થકી થતો હોય અને ચોક્ક્સ લક્ષણો સાથે દેખાઇ આવે.
આ બધાની વચ્ચે આ દુનિયાએ એક એવો સમયગાળો પણ જોયો કે જેમાં યુરોપ પશ્ચિમ પર વિજયકૂચ આદરે છે. હા, યુરોપિયન પ્રજા અમેરિકા તરફ આવી રહી હતી અને સાથે સાથે વહાણમાં અનેક બીમારીઓ પણ લાવી રહી હતી. હા, અત્યાર સુધી દુનિયાના સંપર્કમાં ન આવેલ અમેરિકા એકદમ જ અલગ રીતે કચડાવવા તૈયાર જ હતું. યુરોપિય પ્રજાની સૌથી મોટી ભેટ શીતળા અને પ્લેગ એ અહીંની પ્રજાને હતી. અને ઇ.સ. 1520માં તો આખું Aztec Empire શીતળાના પ્રકોપ નીચે આવી ગયું અને સામે હતી એક આખી સ્પેનીશ આર્મી, પરિણામ સ્વરૂપ એક આખી સંસ્કૃતિ નામશેષ થઇ. આવી જ રીતે સ્પેનિસ પ્રજાએ Incan પ્રજાને અને એના આખા સામ્રાજ્યને પુરું કર્યું. આમ આ Aztec અને Inca બન્ને સમ્રાજ્યોની પ્રજા એકબાજુ રોગથી સંક્રમીત અને બીજી બાજુ યુરોપિયન પ્રજા સામેની લડાઇ બન્ને મોરચે ન ફાવી શકી અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવામાં સદંતર નિષ્ફળ ગઇ. તો જે કંઇ થોડું બચ્યું હતું એના માટે કુદરત નવા હથિયાર સાથે તૈયાર જ હતી અને ટાઇફોડની સાથે તાવ આવે એ Enteric fever તરીકે ઓળખાય એ રોગે માજા મુકી. ઇ.સ. 15451548 સુધી સતત મેક્સિકો અને મધ્ય અમેરિકાના પ્રદેશને Cocoliztli મહામારીએ ભરડામાં લીધું અને પાછો આ સમય, આ પ્રદેશ માટે દુષ્કાળનો કપરો સમય હતો. આ બધાની વચ્ચે દોઢ કરોડ લોકો મૃત્યુના મુખમાં ધકેલાયા. આમ 16મી સદીમાં ઉતર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડના મૂળ વતનીઓનું  નિકંદન કાઢવામાં જેટલો ફાળો યુરોપિયન પ્રજાનો હતો એના કરતાં વધારે તો ત્યારના Pandemic નો હતો. જાણે કુદરત જ મૂળ અમેરિકન પ્રજાને પુરી કરવા પર ઉતરી આવી હોય એવું લાગ્યું.
પરિસ્થિતિ બદલાઇ અને કુદરતનું ચક્ર થોડું અવળું ફર્યું અને ખરાબ સમય આ વખતે યુરોપનો હતો. એક epidemic કે જેણે લંડનને પુરેપુરું હલાવી નાખ્યું. અમેરિકા ખંડમાં થયેલા અત્યાચારનો બદલો હવે લંડન ચુકવવાનું  હોય એમ કુદરત ઇ.સ. 1665માં લંડન પર પોતાનો પ્રકોપ વરસાવી રહી હતી. અને The great plague of London એપ્રિલ 1665માં ભર ઉનાળે પોતાની માયા પાથરવાની શરૂ કરી અને ધડાધડ પ્લેગ ફેલાવવા લાગ્યો. આ પ્લેગની એક વર્ષની માયાજાળમાં લંડનમાં મૃત્યુદર 1 લાખને પાર હતો જે લંડનની વસ્તીના 15% થી 20% નો આંક હતો. લોકો કુતરા અને બિલાડીઓને કતલખાનામાં કાપે એમ મારીને ફેંકવા લાગ્યા જાણે પ્લેગના સાચા વાહકો એ જ હોય એમ તેઓ માનતા હતાં અને થેમ્સના કિનારા પર જાણે એમના મૃતદેહોઓ ઢગલો રોજે રોજ મોટોને મોટો થતો જતો હતો.  પણ આ જાણે અંત ન હોય એમ 2 Sep 1666 ના રોજ લંડન આગની ઝપટમાં આવ્યું અને ચાર દિવસ ચાલેલી આ આગે શહેરના મોટાભાગને રાખ બનાવી દીધું. પણ અજાયબી જેવી વાત એ બની કે The great London fire માં ચાર શહેરોના 7 મોટા દરવાજા, 89 ચર્ચ અને 13,200 ઘર બળીને ખાક થયા હતાં પણ માત્ર 6 માણસોએ જ જીવ ગુમાવ્યો હતો. જાણે કુદરત પણ નક્કી કરીને બદલો લેતી હતી કે લોકોને તો પ્લેગથી જ મારવા, આગથી નહી. આગ તો સર્વસ્વ છીનવી લેવા આવી હતી. બોલો છે ને નવાઇ, આજનું લંડન જોઇને કોઇ કલ્પના કરી શકે કે આજથી 354 વર્ષ પહેલા લંડનની આવી હાલત હતી.
આજકાલ quarantine શબ્દ ખાસ કાને પડે છે અને બધા જ એનો મતલબ પણ સમજતાં થયા છે. તો આજથી 300 વર્ષ પહેલા કોઇ જહાજને Pandemic ના ભય હેઠળ quarantine કર્યું હોય એવું તમે વિચારી શકો ? જવાબ હા, છે અને ઇ.સ. 1720માં ફ્રાંસના Marseille બંદરે Grand-Saint-Antonie નામનું વહાણ પૂર્વીય Mediterranean પ્રદેશમાંથી વસ્તુઓ લઇને આવે અને પ્લેગના લક્ષણો ખલાસીઓમાં દેખાય અને એ જહાજને quarantine કરવામાં આવે અને છતાં પ્લેગ માખી જેવા માધ્યમ થકી શહેરોમાં પ્રવેશે અને ત્રણ વર્ષના સમયગાળામાં લગભગ 1 લાખ લોકો એનો ભોગ બને ! અને એમ કહેવાય છે કે ત્યારે  Marseille ની 30% વસ્તીને પ્લેગ ભરખી ગયો હતો. આમ 300 વર્ષ પહેલા માત્ર થોડું કાચું પડાયું અને પ્લેગને અટકાવવામાં સફળ ન થવાયું. પણ એક પ્રકારની જાગૃકતા હતી એ વાત તો સ્વિકારવી જ રહી. આ વાત પરથી જ મને બીજી એક વાત યાદ આવે છે કે Dawn of the Planet of the Apes મુવીમાં શરૂઆતના સીનમાં જ્યારે કાર જંગલમાંથી શહેર તરફ પાછી આવે છે ત્યારે જે ચેકપોસ્ટ પરથી અંદર જાય છે ત્યાં પણ મોટા અક્ષરે લખેલું હોય છે zone 9 quarantine check point. અને ખરેખર એ જ સાચી રીત છે,  આવા સંક્રમણને ટાળવા માટે ચેકપોઇન્ટની જ જરૂર હોય છે. આવા કપરા સંક્રમણના સમયમાં સજાગ ચેકપોઇન્ટ જ કોઇ શહેરને બચાવી શકે એમ હોય છે. Pandemic ના સમયમાં ચેક પોસ્ટ પર શરતચૂક બિલકુલ પોસાય નહી.  તો ક્યાંક દરેકે પોતના ઘરની કંપાઉન્ડ વોલને જ બોર્ડર બનાવી લેવાની જરૂર હોય છે. આટલું સમજનાર Pandemic માં જીતી જતાં હોય છે. આપણે વાત કરતાં હતાં quarantine કરેલા shipની તો કરોનાના આ સમયમાં આવું કંઇ બન્યું ?  તો જવાબ છે હા, The Cruise Ship Diamond Princess ને ફેબ્રુઆરી 2020માં  Yokohama પર રોકીને તમામને quarantine કરાયા હતાં, તો કેલિફોર્નિયામાં પણ The Grand Prince Cruise અને જર્મનીમાં પણ Ship Mein Schiff 3 Cruise ના સભ્યોને આ કોરોના સમયમાં quarantine કરાયા હતાં આ બધા Cruiseમાંથી 800 કરતાં વધારે કોરોના કેસ નિકળ્યા હતાં. અને 10ના મૃત્યુ થયા હતાં. એક અંદાજ મુજબ અત્યારના સમયમાં દર વર્ષે ઓછામાં ઓછા 3 કરોડ લોકો 272 Cruise Ship થકી વિશ્વમાં ભ્રમણ કરતાં હોય છે.
આજે લગભગ બધે જ મંદિરો અને ચર્ચ બંધ ભાસે છે. ભુતકાળમાં આવું બનેલું ? તો જવાબ છે હા, ઇ.સ. 1770 થી શરૂ થયેલા રશિયન પ્લેગે મોસ્કોને તહસનહસ કરી નાખ્યું હતું. આવા સમયમાં પહેલી વખત એવું બન્યું કે Quarantine કરેલા નાગરીકો હિંસા પર ઉતરી આવ્યા અને આખા શહેરમાં દંગા ભડકી ઉઠ્યા. Ambrosius નમનો આર્કબિશપ લોકોને પ્રાથના કરવા ભેગા ન થવા સમજાવતો અને આદેશ આપતો, પણ લોકો સમજવા તૈયાર ન હતાં અને એનું ખૂન કરી દેવાયું હતું. આજે જ્યારે કોરોનાના સમયમાં મંદિરો અને ચર્ચને બંધ જોવું છું, લોકોને સ્વયંમભૂ શિષ્ત પાળતા જોવું છું ત્યારે એમ થાય છે કે 250 વર્ષ પહેલા Ambrosius આપેલું બલીદાન ઓળે નથી ગયું. છેલ્લા 250 વર્ષમાં માનવજાત કેટલા સમજણના પગથિયા ચડી છે એનો આનાથી મોટો પુરાવો બીજો તો શું હોય શકે?  આ રશિયન પ્લેગમાં પણ 1 લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતાં.
છેલ્લા 200 વર્ષનો પ્રથમ કોલેરા Pandemic એટલે ઇ.સ. 1817નો સમય. આ મહામારી રશિયાથી શરૂ થઇ અને ત્યાં લગભગ 10 લાખ લોકો મૃત્યુ પામ્યા. ખોરાક અને પાણીથી ફેલાતો આ રોગ બ્રિટીશ સૈનિકો સુધી પહોંચ્યો અને એમના દ્વારા સ્પેન, આફ્રિકા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, ઇટલી, જર્મની અને અમેરિકા પણ પહોંચ્યો અને આ બધે લગભગ 1.5 લાખ લોકો મૃત્યુ પામ્યા, જ્યારે બીજી બાજુ ભારતમાં લગભગ 10 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. યાદ કરાવી દઉં કે, ઇ.સ. 1885માં કોલેરાની રસી શોધાઇ, છતાં એ સંપૂર્ણ નાબૂદ નથી જ થયો. દર વર્ષે આજના સમયમાં પણ દુનિયામાં કોલેરાના સવા લાખ થી ચાર લાખ જેટલા કેસ આવે છે અને 20,000 થી 1,50,000 લોકો દરે વર્ષે વિશ્વમાં કોલેરાથી જ મૃત્યુ પામે છે.
ઇ.સ. 1889માં આ દુનિયામાં રશિયન ફ્લૂ આવ્યો જે સાઇબિરીયા અને કઝખસ્તાનથી શરૂ થયો અને મોસ્કોથી ફિનલેન્ડ અને પોલેન્ડ સુધી પહોંચ્યો. અને પછી સમગ્ર યુરોપમાં ફેલાયો અને થોડા જ સમયમાં અમેરિકા પણ પહોંચ્યો. એશિયાથી યુરોપ અને સમગ્ર યુરોપથી અમેરિકા સુધી ફેલાવો થવા માટે આ ફ્લૂને માત્ર 5 અઠવાડિયા જ લાગ્યા હતાં. અને ઇ.સ. 1890 ના અંત સુધીમાં વિશ્વમાં 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામી ચુક્યા હતાં. આજથી માત્ર 120 વર્ષ પહેલા કોઇ મહામારી ફેલાવવા માટે માત્ર 5 અઠવાડિયા જ લાગતા હોય તો આજે તો આપણે વિશ્વને મુઠી જેવડું નાનું બનાવી ચુક્યા છીએ તો કોરોનાને ફેલાતા કેટલો ઓછો સમય લાગ્યો હોય એ જરા વિચારી જુઓ.
અત્યાર સુધી આ વિશ્વએ ન હતું જોયું એવું કંઇક સામે આવવાનું હતું. મૃત્યુનું તાંડવ સર્જાવવાનું હતું એવું એ વર્ષ હતું. હજુ પ્રથમ વિશ્વયુદ્ધની અંતિમ ઘડીને 10 મહિનાની વાર હતી અને સ્પેનના મેડરીડથી એક ફ્લૂ શરૂ થાય છે અને નામ અપાય છે સ્પેનિશ ફ્લૂ. ક્યાંક એવી પણ વાત છે કે આ ફ્લૂ સ્પેનથી શરૂ ન હોતો થયો પણ સ્પેન પ્રથમ વિશ્વયુદ્ધમાં કોઇ તરફથી લડ્યુ નહી એટલે એને બદનામ કરવા બીજા યુરોપિય રાષ્ટ્રોએ એક ચાલ ચાલી. માત્ર બે વર્ષમાં વિશ્વમાં 1 અબજ લોકો એના સંક્રમણનો ભોગ બને (કુલ વસ્તીનો ત્રીજો ભાગ) અને 10 કરોડ લોકો મૃત્યુના મુખમાં ધકેલાય. ભારતમાંથી 1.5 કરોડ લોકો એટલે કે  કુલ વસ્તીના 5% લોકો મૃત્યુ પામ્યા હતાં. ત્યારે કોંગોની તાંબાની ખાણમાં કામ કરતાં દર પાંચ મજૂરમાંથી એક મજૂર મર્યો હતો. હા, આ કંપારી છુટાવી દે એવો આંકડો માત્ર 100 વર્ષ પહેલાનો જ છે. .આજે 100 વર્ષ પછી આવેલ કોરોનાનો કહેર આવો પ્રકોપ નહી જ પાથરી શકે. કારણ કે આજે મેડિકલ ક્ષેત્રે ઘણી મોટી હરણફાળ ભરાઇ છે. દરેક ક્ષેત્રમાં અનેક નવી ટેકનોલોજી છે અને બધી જ બાજુ મોટો આશાવાદ છે. એ પણ નોંધી રાખવા જેવું જ છે કે ઇ.સ. 1918 માં જ પુરા થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધમાં કુલ 4 વર્ષમાં 4 કરોડ લોકો મરે અને એ જ વર્ષમાં શરૂ થયેલ ફ્લૂથી માત્ર બે વર્ષમાં 10 કરોડ લોકો મરે !!!  એ બતાવે છે કે વાઇરસ માણસજાત માટે શસ્ત્ર કરતાં પણ વધારે ઘાતક સાબિત થયો. પણ હવે આ 100 વર્ષમાં વિશ્વ બદલાયું છે. શસ્ત્રો ઘાતક છે અને ટુંક સમયમાં વાઇરસનું નામોનિશાન નહી રહે.
ત્યાર બાદ, હોંગકોંગમાં 1957માં એશિયન ફ્લૂ આવે અને પછી એ ચાઇનામાં પ્રસરે અને ત્યાંથી અમેરિકા અને ઇંગલેન્ડ પણ પહોંચે, અને માત્ર 6 મહિનામાં 14 હજાર લોકો મૃત્યુના મુખમાં ધકેલાય અને ઇ.સ. 1958ના અંત સુધીમાં મૃત્યુ આંક 11 લાખને પર કરી જાય અને અમેરિકા એકલામાં 1,16,000 લોકો મૃત્યુ પામે.
1981 થી વિશ્વ AIDSના ભરડામાં આવે પણ આજ સુધી AIDSથી મરનારાની સંખ્યા 5 લાખે માંડ પહોંચી છે. SARS, H1N1 Swine Flu (જેમાં મૃત્યુઆંક 1,50,000 હતો), Ebola, Zika Virus જેવા Pandemic આપણે છેલ્લા 20 વર્ષમાં જોયાં અને એ બધાના સંક્રમણ પર આપણે રોક લગાવવામાં સફળ રહ્યા. પણ આ કોરોના અત્યારે થોડો બેકાબુ છે. ટેકનોલોજી અને સુવિધાઓના પ્રભાવ વચ્ચે દેખાતા મૃત્યુના આંકડા થોડા હેરાન ચોક્ક્સ કરે છે. પણ દુનિયાના ખૂણે ખૂણે અનેક રિસર્ચ સેન્ટરોમાં અનેક માનવ મસીહા એની રસી માટે દિવસ રાત એક કરી રહ્યા છે. એટલે આજે નહી તો કાલે કોઇ ચોક્ક્સ એક સૉલ્યુસન તો મળશે જ ! 1918માં ટકાવારીની દ્રષ્ટિએ જે ખુવારી વિશ્વએ જોઇ હતી એ તો આ સદીમાં વિશ્વ નહી જ જોવે એ પક્કું જ છે. આમ, આ પૃથ્વી પર ટકી રહેલા સેપિયન્સે અનેક Pandemic અને Epidemic માંથી પોતાની જાતને બહાર કાઢી છે અને હજુ પણ સતત ઉત્ક્રાંતિના જુદા જુદા તબબકામાંથી પસાર થઈને ટકી જ રહેશે. બાકી અત્યારે તો એક વાર્તાના શબ્દો જ યાદ આવે છે કે દોસ્ત, યે ભી બીત જાયેગા..... અને નવો મજાનો સૂર્યોદય આખા વિશ્વ પર પથરાશે. કોરોના શબ્દ ઇતિહાસ બની જાય એની જ રાહ જોવાની.  
-    અજીત કાલરિયા









મંગળવાર, 26 મે, 2020

કોરોનાના સંક્રમણને સંક્રમી જવાનો નવો સમય પ્રતિક્ષા કરી રહ્યો છે. તૈયાર છો ને ?




હવામાં માત્ર 4 કલાક જેટલું જ જીવી શકતો અને કોઇપણ પદાર્થની સપાટી પર કે બીજી કોઇ સરફેઇસ પર એક થી ચાર દિવસ સુધી જીવી શકતો માનવજાતનો અદ્રષ્ય શત્રુ પોતાના સંક્રમણને ફેલાવવામાં વર્ષ 2020ની શરૂઆતથી જ હાવી રહ્યો છે. હા, હું કોરોના વાઇરસની જ વાત કરું છું. વાઇરસનો કહેર ચારે બાજુ ફેલાયેલો છે. એક પગલું ભરતાં પહેલા પણ વિચાર માંગી લે એવી પરિસ્થિતી છે. આજે દુનિયાના કોઇપણ દેશની પ્રથમ પ્રાયોરિટી કેમ કરીને કોરોનાના સંક્રમણને રોકવું એ જ છે. કોઇ કરતાં કોઇ જ એમાં બાકાત નથી. કોરોનાએ કરેલ કાયાપલટ અને નવા વિશ્વની થોડી માહિતી સાથે એક ચકરાવો લગાવીએ.
ચીનના હુબેઇ પ્રોવિન્સમાં 17 નવેમ્બર 2019ના રોજ દુનિયાનો પ્રથમ કોરોના કેશ નોંધાય અને એક મહિના પછી વુહાન દુનિયાની નજરમાં આવે અને એક પછી એક એમ દુનિયાના અનેક દેશમાં કોરોનાના દર્દીઓએ દેખા દીધી. હા, આ તો એક વાઇરસ જન્ય રોગ અને એ પણ માત્ર કોઇ માણસના સંપર્કથી કે કોઇ નિર્જીવ વસ્તુના સંપર્કથી ફેલાઇ જતો રોગ. ગણતરીના કલાકમાં જ કોઇ વ્યક્તિના સંપર્કથી કે વસ્તુના સંપર્કમાં વ્યક્તિ આવવાથી ફેલાતા આ રોગના ભરડામાં એક પછી એક બધા જ દેશના નામ આવવા લાગ્યા. માર્ચના અંત સુધીમાં તો  દરેક દેશ પોતાની સિક્યુરીટીને ધ્યાનમાં લઇને આતંરરાષ્ટ્રીય ફલાઇટ બંધ કરવા લાગ્યા. બધાએ પોતાને જરૂરી લાગતા પગલા ભર્યા, અને લગભગ આખું યુરોપ પણ કોરોનાના ભરડામાં આવી ગયું. યુરોપીય દેશની પરિસ્થિતીનો અંદાજ આંકડા અને સંક્રમણની સંખ્યાને આધારે લગાવીએ તો ક્યાંક કોઇ દેશ માટે આશ્વાસન એ જ વાતનું હતું કે અમારો મૃત્યુદર ઓછો છે. તો કોઇ દેશ માટે આશ્વાસન એ હતું કે અમારો સંક્રમણ દર ઓછો છે. તો કોઇ દેશ પાસે આશ્વાસન એ વાતનું હતું કે અમારો રિકવરી રેઇટ ખૂબ જ ઊંચો છે. બાકી બધી જ રીતે સાધન-સંપન્ન અને હાઇલી એજ્યુકેટેડ લોકોથી સજ્જ એવા યુરોપની હાલત દયનીય થઇ ગઇ.  આ બધાની વચ્ચે સૌથી ખરાબ હાલત તો વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાની છે. સંક્રમણ કેમ કાબુમાં લેવું એ બાબત પર આખું અમેરિકા ચકડોળે ચડ્યું છે એમ કહેવામાં કશું જ ખોટું નથી. સાઉથ અમેરિકા ખંડ અને આફ્રીકા ખંડનો એક  પણ એકપણ દેશ આ સંક્રમણમાંથી બાકાત નથી. બ્રાઝિલની હાલત તો દયનીય  છે જ પણ સાથે સાથે પેરૂના પણ કંઇક એવા જ હાલ છે. રશિયા હોય કે ટર્કી કોઇ કરતાં કોઇ જ દેશ બાકાત નથી. ઠંડો પ્રદેશ હોય કે ગરમ પ્રદેશ, સ્કાયસ્ક્રેપર્સ ધરાવતો દેશ હોય કે જંગલથી સજ્જ દેશ, કોઇ મહાસત્તા હોય કે ગરીબી સામે જજુમતો દેશ બધા જ કોરોના વાઇરસના કહેર હેઠળ આવી ચુક્યા છે. આ જ્યારે હું લખી રહ્યો છું ત્યારે John Hopkins University ના ડેટા પ્રમાણે દુનિયામાં માત્ર North Korea અને Turkmenistan જેવા બે જ મોટા દેશ કે જેની વસ્તી અનુક્ર્મે અઢી કરોડ અને 60 લાખની આસપાસ છે એ જ બાકી છે તો બીજી બાજુ Kiribati, Marshall Islands, Micronesia, Nauru, Palau, Samoa, Solomon, Tonga, Tuvalu અને Vanuatu જેવા ટાપુઓ છે જે બધાની કુલ વસ્તીનું ટોટલ પણ 16 લાખ માંડ થાય છે. એ જ કોરાના વાઇરસના સંક્રમણથી બાકાત છે. બસ આખી પૃથ્વીની સપાટી પર માંડ આટલા જ જમીની પ્રદેશ બચ્યા છે કે જ્યાં હજુ કોરોના પહોંચ્યો નથી.
આ સમગ્ર સમય દરમ્યાન આપણે ક્યાં હતાં તો યાદ કરાવી દઉં કે, 30 જાન્યુઆરી 2019માં જ્યારે પહેલો કૅસ ભારતમાં આવ્યો ત્યારે કોઇ ચિંતા જેવું લાગતું જ ન હતું. પરંતુ માર્ચમાં પરિસ્થિતિએ એક નવો જ વણાંક લીધો અને દેશમાં અનેક પ્રકારની સાવચેતી વચ્ચે પણ કોરોના નામના વાઇરસે પગપેસારો કર્યો જ ! પરિસ્થિતિ એ હદ સુધી આવી કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રજોગ સંદેશ આપવા આવવું પડ્યું અને 22 મી માર્ચને જનતા કર્ફયુ દિન તરીકે અપનાવી પોતાની ફરજ સમજી ઘરમાં જ રહેવાનું આહવાન કરાયું. અને આખરે માત્ર બે જ દિવસ પછી આખા દેશને લોકડાઉન કરવાનો આકરો પણ ખુબ જ જરૂરી અને સાચો નિર્ણય લેવાયો. અનુક્રમે લોકડાઉન 2 અને લોકડાઉન 3 પણ આવ્યા અને આખરે લોકડાઉન 4માં નિયમો સાથેની છુટછાટ શરૂ થઇ. આ સમગ્ર સમયગાળા દરમ્યાન પોલીસ, નર્સ, ડોકટર, બેંક કર્મચારીઓ, મિડિયા કર્મીઓ,  સફાઇ કામદારોની અને અનેક સેવાધારી સજ્જનોની આખી એક ફોજ ગલીએ ગલીએ કે નાકે નાકે કે દેશના ખૂણે ખૂણે એવી રીતે ફરજ બજાવતી જોવા મળી કે દેશના નાનામાં નાના માણસને પણ એમના પ્રત્યે માન ઉપજ્યા વિના ન રહ્યું. અનેક વિસ્તારોમાંથી ગરીબો માટે કે રોજે રોજ કમાઇને જીવનારા મજદૂર વર્ગ માટે મસીહાઓની એક આખી ફોજ ઉતરી આવી હતી. લાગણી અને ભાવનાથી છલોછલ અનેક દ્રષ્યો ચારેબાજુ જોવા મળ્યા. વિચારો બદલાયા અને ઘરની કંપાઉન્ડ વૉલ જ જાણે બોર્ડર બની !
આરોપ-પ્રત્યારોપ વચ્ચે પણ દરેક પ્રદેશમાં પોતાની રીતે લોકો લડતાં અને કામ કરતાં જોવા મળ્યાં. બધે જ Social Distancing શબ્દ જીતતો જણાયો પછી ભલેને એ અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય.  Social Distancingની ફજેતી કરનારા સમગ્ર દુનિયાના metro cities હાર્યા અને ગામડા જીત્યા.
આ બધાની વચ્ચે 19 મેના રોજ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઇ ગઇ. સંક્રમણ વધે છે રોજેરોજ નવા આંકડા આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં સૌથી વધુ કૅસ બનવાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો જ રહ્યો છે. છતાં આ માહોલમાં પણ માણસ દોડતો થયો છે એ સૌથી મોટું આશ્વાસન છે. હા, એની રીત બદલાઇ છે, એ પહેલા કરતાં વધારે સજાગ અને વધારે વફાદાર બન્યો છે. એ સૌથી મોટા આનંદની વાત છે. ક્યાંક એવું લાગે છે કે શિસ્ત જાણે આપોઆપ ઉતરી આવી છે.
આંતરરાષ્ટ્રીય ફલાઈટ લગભગ બંધ જ છે. ટુરિઝમ ઉદ્યોગ તો માઇનસમાં ચાલે છે એમ ચોક્ક્સ કહી શકાય. દુનિયા આખીમાં રમત-ગમતના સ્ટેડિયમ ખાલી છે. મંદિર-મસ્જિદ કે ચર્ચ સુના ભાસે છે. સરકારને લોકોને (પ્રજાને)બચાવી લેવા છે અને પ્રત્યેકને પોતાને અને પરિવારને બચાવી લેવો છે. આ ડર મૃત્યુનો નથી માત્ર સંક્રમિત થવાનો છે. બોલો સંક્રમણનો પણ આટલો ડર હશે એવું કદી વિચાર્યુંતું?  આ દરેક દિવસ આવનારી નવી પેઢી માટે એક ઇતિહાસ છે. એક શીખ છે અને આપણે એ ઇતિહાસના સાક્ષી છીએ એનો ગર્વ લેવાનો છે. આ તો આપણા પ્રિય વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ ડૉ. કલામના સ્વપનને સાચું પાડી નવો વણાંક આપી દેશને આગળ લઇ જવાનું વર્ષ 2020 છે. ભારત વિશ્વસત્તા અને વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધે એવા પુરા એંધાણ છે.
આજે નહી તો કાલે કોરોનાના સંક્રમણને સંક્રમી જઇશું જ એ પાક્કુ જ છે. બસ એના માટે જરૂર છે કે જીવનની પ્રત્યેક ક્ષણ પોઝિટીવીટીથી જ ભરપુર હોય એટલી જ !  પણ આપણે ક્યાંક આ મુખ્ય વાત જ ભુલી જઇએ છીએ. અને કોઇ વહેતા સૂરમાં સૂર પુરાવી ઉઠીએ છીએ. યાદ રાખજો દરેક માટે  લોકડાઉન પણ ફાયદાકારક જ હતું એના જવાબ પણ મારી પાસે છે જ !  લોકડાઉનની લાંબી રજાઓએ કશું આપ્યું કે એમ જ જતી રહી જો કોઇ એમ પુછે તો તમારો જવાબ શું હોઇ શકે? હું રૂપિયાની વાત જ નથી કરતો...  જો જવાબ હા, માં છે તો તમે જીતી ગયા ? અને જો જવાબ ના માં છે તો થોડા વધુ મેચ્યોર થવાની જરૂર છે. પોતાનો જ એક નવો દ્રષ્ટિકોણ ખોલવાની ક્ષણ ક્યાંક ગુમાવી છે એવું હું ચોક્ક્સ માનું છું. જેને તમે ક્યાંક ઓળખવામાં ફેઇલ ગયાં છો કે અપનાવવામાં ફેઇલ ગયા છો. પણ સાચું કહું તમારો પણ જવાબ હા જ છે. ચાલો આજે એને જ હું તમને તમારામાંથી જ શોધીને તમારી સામે રજુ કરી બતાવું.
“મારી પાસે સમય જ નથી ઘણું કામ છે” એવું કહેવાવાળા કમ્પલસરી ઘરમાં રહ્યા અને પોતાના બાળકને અને પરિવારને ભરપુર સમય આપ્યો. અરે આપવો જ પડ્યો... આની પાછળનું મુખ્ય કારણ શું હતું ખબર છે ? માત્ર ને માત્ર એક જ શબ્દ Competition. હા, Competition શબ્દ જ ભુલાયેલો હતો એટલે આખો પરિવાર ખુશ હતો. પ્રત્યેક ધંધા અને રોજગારો Competition શબ્દને ખોઇ ચુક્યા હતાં. આખો દિવસ નાના અને મોટા એકબીજાને રમાડતા અને વાતો કરતાં હતાં એવા કદી ન જોયેલા મજાના દિવસો ગાળ્યા અને તમે કહો કે કશું જ પામ્યા નથી કે કશું મળ્યું નથી એવું હું કેમ માની લઉં.
ઓછા ખર્ચે અને ઓછી ચીજ વસ્તુઓ સાથે કેમ જીવવું એ જીવતા આવડ્યું અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
સમાચાર કે મોબાઇલમાં કરેલી અઢળક વાતો કે પછી મોબાઇલ કે ફેઇસબુકમાં ફોરવર્ડ કરેલી એ બધી પોસ્ટે તમને અને ગામડા ગામના સામાન્ય માણસને પણ  Pandemic, Epidemic, outbreak, transmission,  Lockdown, Social distancing, Sanitizer, PPE kit, fogging, isolation, Quarantine  જેવા અઢળક અંગ્રેજી શબ્દો બોલતા અને સમજતાં કર્યા અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
આ દેશના બે મહાન ધર્મગ્રંથ આધારિત સિરિયલ રામાયણ અને મહાભારત જોવામાં તમે અનુક્રમે એક વર્ષ અને દોઢ વર્ષ જેટલો સમય લીધો હતો એ બન્ને સિરિયલ નવી પેઢીએ તમે જે માધ્યમ થકી જોયેલ એ દુરદર્શન ચેનલ પર જ  દોઢ મહિનામાં જોઇ નાખી અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
આ આખા સમય દરમ્યાન રૂપિયો સતત જીવનમાં ગૌણ બની રહ્યો. અને અકળાયેલા-અકળાયેલા પણ થોડા એકલા રહેતા શીખી જવાયું એ કંઇ ઓછું છે. અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
બોલો છે ને, આના સિવાય પણ ઘણા કારણ આપી શકાય માત્ર એટલું જ વિચારવાનું કે પ્રત્યેક ક્ષણ મને કંઇક શીખવી રહી છે. અને હું આવનારા અવરોધને અતિક્રમી જવા પ્રતિક્ષણ તૈયાર જ છું.  બાકી, યાદ રાખજો આજે સમગ્ર દુનિયામાં નવા રેકોર્ડ બનવાના બંધ થઇ ગયા છે. 2020નું આ વર્ષ જ્યારે અડધી મઝલ કાપવાની નજીક છે ત્યારે  લિમ્કા બુક ઓફ રેકોર્ડસ કે ગિનિસ બુક ઓફ રેકોર્ડસના પાના સાવા કોરા ગયા છે. એને 2020ના બાકી રહેલા સમયમાં બમણા વેગથી ભરવાનો જુસ્સો જાળવીને સતત આગળ વધાવાનું છે. એ કામ આપણે જ કરવાનું છે. હા, બિલકુલ નવા રેકોર્ડ બનાવવાના જ છે.
એ પણ ભુલવા જેવું નથી કે, આવી બીજા પ્રકારની મહામારી ભુતકાળમાં પણ આવી હતી અને આપણે એમાંથી પણ સાંગોપાંગ બહાર આવ્યા હતાં. પણ એમાં અને અત્યારે આપણે જોયેલા આ સમયમાં મુખ્ય ફર્ક શું ? તો એક જ જવાબ છે. ક્યાંક અવૅરનેશ વધી છે, ક્યાંક ટ્રીટમેન્ટના માધ્યમો બદલાયા છે, ક્યાંક વૈચારીક પરિસ્થિતી બદલાઇ છે. અને બધા જ સાથે છે(આખી દુનિયા) એવો ક્યાંક માહોલ છે. બસ આ જ તો મોટી જીત છે. પરિસ્થિતીને અનુકુળ થઇને કેમ વર્તવું અને કેમ જીવવું એનો આ અનોખો સમય હતો. અને એમાં ઘણું શીખ્યા અને બીજાને પણ શીખવ્યું. હજુ પણ શીખતા રહેવાનું છે. પરિસ્થિતીને અનુરૂપ થવાનું છે. નવા નિયમોને અનુસરવાનું છે.  યોગદાન આપવાનું છે અને ફરજ નિભાવવાની છે.
સાચું કહું, આખા ઘરને દિવાળીએ sanitize કરવાવાળી આ પ્રજા પોતાને, પોતાના ટેબલને, ઓફિસને કે વ્હિકલને સતત એક જાતની અવેરનેશ સાથે પ્રતિક્ષણ  sanitize કરતી જોવું છું ત્યારે અનેરૂ માન ઉપજે છે અને એ જ સાચી રીત છે. એ જ આપણી ફરજ છે અને એ જ નવા નિયમમાં નો એક નિયમ છે. ડૉ. કલામની એક વાત યાદ આવે છે કે “you cannot change your future, but you can change your habits, and surely your habits will change your future.” બસ આદત બદલવાની ઘડી છે. જીત આપણી જ છે.
બાકી આપણે તો ઉત્સવપ્રિય પ્રજા. કોરોના જતો રહેશે પણ કોરોનાનું બનેલું ગીત, કોરોનાનો ગરબો કંઇ ઓછા જતાં રહેવાના ! ગણેશોત્સવ આવશે, કંઇ કેટલાય મંડપ કોરાના થીમ સાથે ગણેશને લાવશે.  અરે હજુ તો દિવાળી પર એની રંગોળી બનાવીશું, કોઇક કંપની કોરોના જેવો ફટાકડો બનાવશે અને આપણે એનો ધડાકો પણ કરીશું. તો કોઇક કોરોનાના આકારની પતંગ પણ બનાવશે અને ચગાવશે.... બસ એ નવા દિવસોમાં થોડું બીજુ પણ નવું હશે, હા, થોડા નવા નિયમો અને થોડી સેલ્ફ અવેરનેસ એને અનુસરીને કોરોનાના સંક્રમણને સંક્રમી જવાનું છે. બોલો છો ને તૈયાર નવા જોશ અને નવા ઉમંગ સાથે. બાકી સબ તો દેખા જાયેગા... આપણે ગુજરાતી કોઇથી ન ડરનારા અને સતત લડનારા.
-         અજીત કાલરિયા