શનિવાર, 14 સપ્ટેમ્બર, 2019

જીવન શું છે ?

જીવન શું છે ? આ પ્રશ્ન પુછું છું ત્યારે ખબર છે કેવા કેવા ઉત્તર મળે છે. મારી જીત એ જીવન છે તો મારી દરેક હાર પછી મળતો નવો જુસ્સો એ જીવન છે. એક સૈનિકને પુછું તો જવાબ મળે છે યુદ્ધ એ જીવન છે કે શાંતિએ જીવન છે એ કશ્મકશમાં હજુ જીવું છું. એક ડૉકટરને પુછું છું ત્યારે ઉત્તર મળે છે દવા કે દુવા શું અસર કરે છે એ કશ્મકશમાં જીવનને શોધું છું. એક શિક્ષકને પુછું છું ત્યારે ઉત્તર મળે છે હું ભણાવું તો છું પણ શું હું ખુદ ભણી ચુક્યો છું આ કશ્મકશમાં દિવસો વિતાવું છું એ જીવન છે. એક વૈજ્ઞાનિકને પુછું છું ત્યારે ઉત્તર મળે છે આ ટેકનોલોજી કે અદ્યાત્મને જોડતો સેતુ શોધવા મથું છું એ જીવન છે. એક સર્વિસ મેનને પુછું છું ત્યારે ઉત્તર મળે છે આમ જ રોજ એક જ રૂટ પર પસાર થતા દિવસો એ જ કે એને પેલે પાર પર પણ કંઇક છે એ વિચારું છું  એ જ જીંદગી છે.
છેલ્લે હું થાક્યો ક્યાં ગયો ખબર છે એક નદી પાસે એને પુછ્યું જીવન શું છે ? બસ એ તો ખળખળ વહેતી રહી. જંગલને જઇને પુછ્યું જીવન શું છે ? બસ એ તો એમ જ રહ્યું માત્ર ક્યાંક કોઇ પ્રાણીનો આવજ કે માત્ર કોઇ સુકાયેલ પાંદનો ખળખળાટ કે એકાદ પવનની લહેરખી. દરિયાને જઇને પુછ્યું જીવન શું છે ? એ જ ઘુઘવાતા મોજાનો આવજ અને જાણે રીધમ સાથેનો એનું ક્ષીણ થઇ જવા સુધીનું મૌન. પહાડને જઇને પુછ્યું જીવન શું છે ? જાણે વર્ષોથી તપસ્યા કરતા એમ જ ઉભા રહેવું એ જ જીવન છે.   

મનીષા પાનવાલા - Nimit come back soon




પહેલી નજરમાં શાંત અને સહજ દેખાઇ ઉઠતું એક અનોખું વ્યક્તિત્વ એટલે મનીષા પાનવાલા. પણ જો જીવનરૂપી સિક્કાની બીજી બાજુ જોઇએ તો જ આ જગતને મનીષાબેનના મલ્ટીટેલેન્ટેડ વ્યકિતત્વનો પરિચય થાય. આમ તો તેઓ B.E. Electrical કરીને Management વિષયમાં MBA ભણ્યા અને પાછળથી Ph.D. પણ થયા. અને એમના જ હાથ નીચે લગભગ 10-12 વિદ્યાર્થીઓ Ph.D. પણ થયા છે. મનીષાબેન પોતે IIM- Ahmedabad ના Alumnus છે. FDP (Faculty Development programme) ની તાલીમ ત્યાં પામેલા છે. અનેક સામાજિક કાર્યોમાં એમનું યોગદાન રહ્યું છે. તો પર્સનાલીટી ડેવલોપમેન્ટ જેવા વિષય હોય કે બીજું કંઈપણ સ્ટેજ પર એક સારા વક્તા તરીકેની એમની કાયમ એક આગવી ઓળખ રહી છે. ગુણવંત શાહના પુસ્તક “મરો ત્યાં સુધી જીવો” અને “કૃષ્ણમ શરણમ ગચ્છામિ”નું સંપાદન પણ એમણ જ કર્યુ છે. તો મેનેજન્મેન્ટના દરેક વિદ્યાર્થીએ વાંચવી જોઇએ એવી ગુણવંત શાહની બુક The Bossના પણ તેઓ પોતે સહલેખિકા છે.

હાલમાં Veer Narmad South Gujarat University માં Business and Industrial Management વિભાગમાં એક પ્રાધ્યાપિકા તરીકે કામ કરી રહ્યા છે. પણ પોતાની અંદરના વિચાર અને ક્યુરિયોસિટી જાણે જીવનના રહસ્યોને પામવા માટે પાછું વિજ્ઞાન તરફ ખેંચી જતું હોય એવું સતત લાગે. કારણ કે મનીષાબેનને એમ કહી દેવામાં આવે કે તમારે આજે અત્યારે જ બ્લેક હોલ કે સ્ટિફન્સ હિકિન્સ કે રીલેટીવીટીની વાતો કે પછી મિચિઓ કાકુની વાતો કે પછી થોડી સાઇન્સને લાગતી મજાની વાતો વહેંચવાની છે તો તરત જ તૈયાર થઇ જાય. અને એક અલગ વિશ્વમાં સૌને લઇ જાય. અને જીવનમાં કદીય ન માણ્યું હોય એવું મજાનું એક લેક્ચર માણવા મળે. હવે વિચારો કે Management ના એક પ્રોફેસર પોતાના વાંચન વિશ્વના સથવારે બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરે ત્યારે ચોક્ક્સ કહેવાનું મન થાય કે વાહ આ વ્યક્તિત્વ સમાજ માટે એક અલગ જ રોલમૉડેલ છે. હા, એ ચોક્કસ કે એ સાયન્સ ભણેલા છે એટલે એ એમનો પોતીકો શોખ છે. આમ મનીષાબેન ક્યાંક જુદુ પડી આવતું અને નોંધ લેવા જેવું વ્યક્તિત્વ છે જ.
અને હવે આજે મારે વાત કરવી છે વિજ્ઞાનની જ ! તો .... ચોક્ક્સ કહીશ કે વિજ્ઞાન એટલે લગભગ દરેકને ગમતો મજાનો વિષય. એમાં પણ જો માર્ક્સ શબ્દ કાઢી નાખીએ તો બધાને આ વિષય મજાનો જ લાગે ! કારણ એક જ છે કે આ વિષય ક્યુરિયોસિટીથી ભરપુર છે. અરે, જો માર્ક્સ શબ્દ નિકળી જાય તો નાના હોય કે મોટા બધાને આ વિષય ગમે જ ! ગેલિલિયો, ન્યૂટન કે આઇન્સ્ટાઇન બધા જ ગમવા લાગે....તો આ વાત સાથે એમ ચોક્ક્સ કહેવાનું મન થાય કે ગુજરાતી સાહિત્ય જગતની થોડી પીછે હઠ રહી હોય તો એ ક્ષેત્ર વિજ્ઞાન સાથે જોડાયેલ નૉવેલનું રહ્યું છે. હા, વિજ્ઞાન આધારિત નોવેલ ખુબ જ ઓછી લખાઇ છે. છતાં ગુજરાતી ભષામાં વિજ્ઞાન પર જે કંઇ લખાયું છે એ ચોક્ક્સ વંચાયુ છે અને વહેંચાયું છે. અને કદાચ આ બાબતનું ઉજળું પાસુ સફારી જેવા મેગેઝિનને ગણી શકાય. પણ આજે વાત કરવી છે નૉવેલની ! ગુજરાતી ભાષામાં આ ક્ષેત્રમાં પણ મનીષાબેનનું યોગદાન અદ્દભુત રહ્યું છે.અને એ પણ એમની નોવેલ સત- અસતથી! હા, ગુજરાતીમાં લખાયેલ ખૂબ જ ઓછી વિજ્ઞાન આધારીત નોવેલમાં શિરમોર નામ છે: સત- અસત! અને એને લઈને આનંદ અને ખુશીના સમાચાર એ છે કે આ નોવેલ પર આધારિત એક નાટક તૈયાર થયું છે અને 15th September ના રોજ “Nimit come back soon” ના ટાઇટલ સાથે સુરતમાં રજૂ થવા જઇ રહ્યું છે. મનિષાબેન આ સફળતા માટે તમને અઢળક શુભેચ્છાઓ. થોડા દિવસો પહેલા જ હું અને દિલીપ સર વાત કરતાં હતાં કે સત- અસત પર ખરેખર એક પિક્ચર બનવું જોઇએ. કારણ કે નોવેલનો શબ્દે શબ્દ એક ડાયલોગ છે અને જ્યારે વાંચીએ ત્યારે એમ થાય કે જાણે નજર સમક્ષ જ આખું દ્રશ્ય આવી રહ્યું છે. સતત એમ થાય કે મૂવીનો આખો પ્લોટ તૈયાર જ છે.તો ખૂટે છે શું એ નથી સમજાતું ? છતાં આનંદની વાત તો એ છે આજે નાટક સુધી આ વાત આવી ખરી. અને હજુ આશા છે કે નાટક સુધી પહોંચેલા આ ખુશીના સમાચાર આવતીકાલે મૂવીના રૂપમાં પણ સાંભળવા ચોક્ક્સ મળશે જ ! કારણ કે હવે આ નોવેલ અંગ્રેજીમાં પણ ટૂંક સમયમાં જ આવી રહી છે.વિશ્વના કોઇક ખૂણામાંથી કોઇકને સ્પાર્ક થાય અને આ કામ થાય એની રાહ જોઇ રહ્યો છું. આ એટલા માટે કહેવું પડે કે આ નવલકથા તૈયાર થઇ એની પાછળ ક્યાંક એક સત્ય હકિકત જોડાયેલ છે તો ક્યાંક આ નવલકથામાં The grand Design, Theory of everything, A brief history of time, The Tibetan book of Dead, A New Science of Life, Synchrodestiny જેવી અંગ્રેજી બુક્સ તો વળી ડૂબેલા સૂરજનું અજવાળું, કૃષ્ણનું જીવનસંગીત અને શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ જેવા ગુજરાતી પુસ્તકો સંદર્ભગ્રંથો તરીકે લેવાયા છે. હવે જરા વિચારો કે ખરેખર નવલકથાનો પ્લોટ કેવો બન્યો હોય. બાકી અત્યારે તો મનીષાબેન અને Theatre of generation next ના નાટય કલાકારોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. બીટવીન ધ લાઇન્સ એક મજાની અને છેલ્લી વાત પણ કહી દઉં કે મનીષાબેન પોતે પણ એક નાટ્ય કલાકાર રહી ચુક્યા છે.એમ જ તો મલ્ટીટેલેન્ટેડ શબ્દ ઓછો વપરાય. તો વિજ્ઞાન સાથે અનોખો નાતો ધરાવતા અને કાયમ આટલું બધું કેવી રીતે મેનેજ કરી લો છો એ કોયડો બનાવી દેતા મનીષાબેનને ફરીથી “Nimit come back soon” માટે અઢળક શુભેચ્છાઓ.

શિક્ષકની સિગ્નેચર

સમાજને કે દેશને એક વિચારશીલ શિક્ષક પ્રાપ્ત થાય એ ક્ષણને કે એ સમયને કે એ યુગને સમાજ માટે કે દેશ માટે સૌથી ગૌરંવતી ક્ષણ કે સમય કે યુગ ગણી શકાય. અને આવી જ ગૌરવવંતી ક્ષણ ગુજરાતી સાહિત્ય જગતને  પારસ કુમારના રૂપમાં મળી છે. પારસ કુમાર હાલમાં જામનગર જીલ્લાના રાફુદડ ગામે આચાર્ય છે અને શિક્ષકની સિગ્નેચર નામે એક મજાનું પુસ્તક ગુજરાતી સાહિત્ય જગતને આપીને ગુજરાતી  સાહિત્યને  સમૃદ્ધ બનાવવામાં એનેરૂ યોગદાન આપ્યું છે.
શિક્ષકની સિગ્નેચર એક એવું પુસ્તક જેમાં શિક્ષણ જગતના પ્રશ્નો છે અને એના જ ઉત્તરો છે તો પારસના પોતાના ભાવવિશ્વમાં ઉદભવેલી અનેક બાબત કે પ્રસંગનો ઉલ્લેખ છે. ક્યાંક વર્ષોથી ઘરબાઇને પડેલી લાગણીઓને કે પ્રશ્નોને વાચા મળી છે તો અનેક વાતોનો ભવિષ્યોનમુખ ઉલ્લેખ છે.
કવિતા અને નિબંધના સમન્વય સમુ આ અદ્ભુત પુસ્તક અનેક લાગણીઓ અને ભાવનાઓનો જવાબ છે. ગુજરાતી ભાષા સાહિત્યમાં લાવણ્યકારી શૈલીમાં લખાયેલ એક મજાનું અને વિચારોના વમળમાં ધકેલી દે એવું આ પુસ્તક છે. એક શિક્ષકે જીવનભર કરેલી શિક્ષણ મિંમાંશા છે. શાબ્દિક રજુઆતથી પર જઇને જોઇએ તો આ પુસ્તકમાં અનેક ભાવવાહી શબ્દો ગદ્યમાં પણ પદ્ય સ્વરૂપે મળી આવે જે લેખકને એક અનોખી ઉંચાઇ બક્ષે છે.
તાલિબાની ગન સામે કલમ ક્યારેય નબળી ન પડી શકે અને શિક્ષણ જગતના રંગે રંગાયેલી કલમ તો અનેક મલાલાને વિશ્વના ખૂણે ખૂણે હજુ પેદા કરશે જ એ આશાવાદનું આ પુસ્તક છે .ઇતિહાસ, ભુગોળ, વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃતિના ઉલ્લેખ સાથેનું વર્ણન અને એનું અનુસંધાન સાહિત્યમાં પણ ખૂબ જ સરસ રીતે થઇ શકે એનો પુરાવો આ પુસ્તક છે. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે ક્યાં શિક્ષણ ભુલાયું છે એની મજાની વાત સહજ શૈલીમાં છે. તો શિક્ષણ એક છોડ છે અને એ છોડ પર પાંગરેલ પુષ્પ રૂપી બાળકની કેમ માવજત કરવી એની મજાની વાત આ પુસ્તકમાં દરેક પૃષ્ઠ પર  છે.
બાળક પાસે ધોધ બનીને વરસી પડવાની વાત છે. તો ક્યાંક શાંત દેખાઇ ઉઠતા વર્ગખંડમાં ટહુકો બની ખીલી ઉઠવાની વાત છે. તો ક્યાંક કસ્તુરીમૃગની જેમ ચુપચાપ છેલ્લી પટલીએ બેઠેલા અને એકલા પડી જતા એ મજબૂર બાળકની વાતને પામી જવાની અને એને પાંખો આપવાની અનેક પ્રેરણાદાયી વાત છે.
આ પુસ્તક ક્યાંક અનેક વાલીના પ્રશ્નોને સમાવીને બેઠું છે તો અનેક બાળમાનસની મજાની વાતો જાણે ફણગો થઇને ફૂટી હોય એવી પ્રતીતિ કરાવી જાય છે. દરેક શિક્ષકને જાણે શબ્દે શબ્દે એમ અહેસાસ કરવી જાય કે અરે ! આ તો હું પણ આમ જ વિચારતો હતો કે આ પ્રશ્ન તો મને પણ હતો જ ! ટૂંકમાં તમારી અને મારી લાગણીઓનો જ શબ્દદેહ એટલે પારસની કલમ ! સતત પોતીકાપણાનો અહેસાસ કરાવી જાય એવું પારસની કલમે લાખાયેલ મજાનું પુસ્તક એટલે શિક્ષકની સિગ્નેચર !
-    અજીત કાલરિયા











રવિવાર, 8 સપ્ટેમ્બર, 2019

ચર્ચા

ચર્ચા એટલે વિચારોના આદન-પ્રદાન થકી કોઇ એક વિષય વસ્તુને પામવાનો પ્રયત્ન. અને આવો પ્રયત્ન સતત ક્યાંકને ક્યાંક કોઇક ને કોઇક જુદા સ્વરૂપે આપણા જીવનનો હિસ્સો  રહ્યો જ છે. જેમ કે ગામડાઓમાં ચોરા પર ચર્ચા થાતી તો ક્યાંક મેથ્સ કે સાઇન્સના પ્રોબેલમ વર્ષોથી સ્કુલ, કૉલેજ કે યુનિવર્સિટી કે એની પોતાની કોર્ટરૂમમાં આગવી રીતે સાબિત થયા જ છે અને  ચર્ચાને અંતે એની સ્વિકૃતિ થઇ  છે.  જ્યાં દરેક વિષય કે દરેક બાબત એના એજન્ડા સાથે રજુ થયા બાદ જ સ્વિકૃતિ પામતી હોય એ માધ્યમનું નામ ચર્ચા આપી શકાય. સમય સાથે એના સ્વરૂપ ચોક્ક્સ બદલાયા છે. પણ વાત તો એની એ જ છે. ક્યાંક એક સમયે એથેન્સની ટેકરીઓ પર આવી ચર્ચા પ્લેટો એના શિષ્યો સાથે  કરતો તો વળી ક્યાંક આજે આવી ચર્ચાનું સ્થાન ન્યુઝ ચેનલોએ લીધુ છે. ક્યાંક આવી જ્ઞાન વર્ધક ચર્ચા માટે જનકનો દરબાર હંમેશા ખુલો રહેતો તો આજે આવી ચર્ચાનું કેન્દ્ર વિદ્યાર્થી માટે આજનો હાઇટેક  ક્લાસ રૂમ બન્યો છે.
જગતના કોઇક ખૂણે બનેલી ઘટનાને એક અલગ દૃષ્ટિકોણથી ચર્ચવાની છે તો ક્યાંક કોઇ મજાના પુસ્તકની વાતો વહેંચવી છે.  તો ક્યાંક કોઇ મોટીવેશનલ વાતને કાયમ યાદ રહી જાય એ રીતે રજુ કરવી છે. ક્યાંક કોઇ વ્યક્તિ વિશેષને ચર્ચિને એના લેખા જોખા જોવાના પ્રયાસ કરવો છે. તો ક્યાંક ગણિત કે વિજ્ઞાનના એ સમીકરણ કે થિયરીને  એના આરંભ સાથે ચર્ચા કરવી છે તો ક્યાંક વણખેડાયેલ તો ન જણાયેલ જુદા જુદા ક્ષેત્રની વાતો શેર કરવાનો પ્રયાસ છે
પોલિટીકલ હોય કે આધ્યાત્મિક, પ્રકૃતિ સાથેની મજાની સફર હોય કે ક્યાંક કોઇક ઇતિહાસના પાના પર કંડારાયેલ તવારિખની કહાની હોય, પ્રસંગ અને પર્વ મજાથી અલગ જ દ્રષ્ટિથી જોવા અને એના લેખા જોખા સમયાંતરે વિચારવા અને ચર્ચવા હું આપની સમક્ષ છું.    
નવા વિષય સાથે  અને નવા વિચરોને અપડેશનને કે ઇતિહાસના એ અધ્યાયને કે જે ક્યાંક નથી જાણ્યો કે ઓછો ચચાર્યો છે એની વાતો કરવા કે વર્તમાનમાં ઘટેલી કોઇ ઘટના ના લેખાજોખા સાથે  યુ ટ્યુબના મધ્યમથી ચર્ચાના ટાઇટલ સાથે તમારી સમક્ષ આવી રહ્યો છું.  

Abhimanyu Modi



શિક્ષકદિન નિમિત્તેની વાર્ષિક વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાનમાં આજે રિલાયન્સ સ્કુલમાં જવાનું બન્યું. સાથે હતા મિત્ર અભિમાન્યુ મોદી. જો કે આજની વ્યાખ્યાનમાળાનો મુખ્ય હિરો જ અભિમાન્યુ હતો. હું તો માત્ર સાથે હતો. હા, એ જ અભિમાન્યુ મોદી જે સંદેશ ન્યુઝ પેપરમાં ટિંન્ડરબોક્સ અને મુવી રિકોલ એમ બે કૉલમ ચલાવે છે તો મુંબઇ સમાચારમાં મોન્ટાઝ અને કેનવાસ નામની કૉલમ ચલાવે છે.
સમય થયો, અભિમાન્યુ પોડિયમ પર અને સામે રિલાયન્સ સ્કુલના કામયાબ શિક્ષકોનું પ્રેક્ષકગણ. શિક્ષણ જગત સાથે સંકળાયેલ વાત અને એમાં પણ વર્તમાન પરિસ્થિતીમાં શૈક્ષણિક ક્ષેત્રે અડચણરૂપ અનેક બાબતો પર એટલા સરસ ઉદારણો સાથે રજુઆત કરી બતાવી કે બસ લેકચરના અંતે આફ્રીન... અફ્રીન... આફ્રીન એવું બોલી જ જવાયું. હા, અભિમાન્યુ મોદીએ ટુંક સમયમાં એક સારા વક્તા તરીકેની જે છાપ ઉભી કરી છે એ વાતનો પુરાવો આજનું એનું આ લેક્ચર હતું.
આ લેક્ચર હતું પોઇન્ટ ટુ પોઇન્ટ, કન્ટેન્ટ ટુ કન્ટેન્ટ અને સમયસર પુરુ કરી બતાવી સામેવાળાને કેમ ખુબ જ સરસ રીતે કન્વિન્સ કરી શકાય એનો ઉત્તમ નમુનો. આ લેક્ચર હતું અનેક મોટીવેશન વાતોથી ભરપુર તો આ લેક્ચર હતું ભવિષ્યમાં થનારા બાળક અને શિક્ષક વચ્ચેના એક અલગ જ પ્રકારના અને એક અલગ જ લેવલના કોમ્યુનિકેશનની વાતોનું ! આ લેક્ચર હતું સ્ક્રિપ્ટથી હીરો અને રિયલ લાઇફમાં સમય આવ્યે ઝિરો સાબિત થતા અને બોખલાઇ ઉઠતા માણસોની એ શરમજનક મોમેન્ટ કે જેનો એને સમનો કરવો પડ્યો જીવનમાં બાકી રહેલી શિક્ષણની આધુરપથી .... આવી અનેક વાતો સાથે કંઇક વિચારતા કરી મુકે એવી અનેક ક્ષણોથી ભરપુર આ સમય જીવનનો યાદગાર સમય બની રહ્યો..
આ લેક્ચર હતું એક સારા માણસ બનવાનું અને દરેક વિદ્યાર્થીને બીજુ કશું જ નહી એક સારા માણસ બનાવવાના સપના જોવાનું ! એના સપનાને પાંખો આપવાની વાતોનું ! અરે, આ લેક્ચરનો મુખ્ય પંચ તો ત્યારે હતો કે જ્યારે ઉપસ્થિત શિક્ષકો સમક્ષ મજાની ક્ષણ આવી અને એણે કહ્યું અને સાબિત કરી બતાવ્યું કે બાળકો મા-બાપ કરતા શિક્ષકો સાથે વધુ મન ટુ મન કનેક્ટેડ હોય છે. વાહ, એની આ વાત અને આ વાત કરવાની શૈલી પર સૌ ફિદા થયા હતાં. તો એણે લેક્ચર દરમ્યાન એક ખુબ જ સરસ ક્વોટ કર્યુ કે Teachers are not teaching instrument but teachers are advance learner. તો ખુબ જ સરસ વાત તો એ કરી કે આજ સુધી આ જગતને explore કરવાનું કામ માત્ર શિક્ષણે જ કર્યુ છે.
આવી તો અનેક વાતો અને ઉદારણો સાથે આ વ્યક્તિએ સૌના મન હરી લીધા. અને સાબિત કરી બતાવ્યું કે કેમ અભિમાન્યુ મોદીનું નામ એક સારા વક્તા તરીકે લેવાય છે. અને કહેવું જ પડશે કે અભિમાન્યુના રૂપમાં ગુજરાતી પ્રજાને સ્ટેજનો એક નવો આઇકોન મળ્યો છે જેની પાસે અલગ જ વિચારો સાથે નવા જ વિષયો સાથે અને નવા જ રૂપમાં વાતને લઇને એને રજુ કરવાની મજાની અને આગવી શૈલી છે. રિધમ છે અને એનો DNA ટેસ્ટ કહે છે અભિમન્યુ સ્ટેજના સ્પિરિટને ઝીલનારો અને એ જ વટથી વહેંચનારો છે . સ્ટેજ અને માઇક્રોફોનના આ માણસને માણીને આજે એવું લાગ્યું કે સાત કોઠા વિંધીને બેઠેલો આ અભિમાન્યુને આજ સુધી માણવાનું કેમ બન્યું નહી ? જે હોય તે મજા આવી અને ફિદા જ થવાય એવી એમની સહજ શૈલી અને નિખાલસ રજુઆત એને જીવનમાં એક નવી ઉંચાઇ બક્ષસે જ અને હજુ નવા આયામો સર કરો એવી આશા સાથે અભિનંદન.

બુધવાર, 4 સપ્ટેમ્બર, 2019

પારસની સિગ્નેચર



કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના ઝરપરા ગામથી પોતાની શિક્ષક તરીકેની કાર્કિદી શરૂ કરનાર પારસ પ્રમોશન પામીને  જામનગર જીલ્લના લાલપુર તાલુકાના રાફુદડ ગામે આવે પણ આ સમગ્ર સમય દરમ્યાન મળતી પળે પળને  એક શિક્ષકને છાજે એ રીતે પોતાના અલગ વાંચન વિશ્વમાં રૂપાંતરીત કરે અને સાથે સાથે સમયાંતરે પોતાનો વિચાર વૈભવને કાગળ પર શબ્દદેહ આપે અને એના આ નિરંતર પ્રયાસ થકી ગુજરાતી સાહિત્યને શિક્ષકની સિગ્નેચર નામે એક અદભુત પુસ્તક પ્રાપ્ત થાય. જ્યારે આવી આનોખી આનંદની ઘડી પ્રાપ્ત થઇ હોય ત્યારે આ વર્ષે શિક્ષકદિનની પ્રથમ શુભેચ્છા પારસ કુમારને નામે ! Happy Teachers day Paras Kumar.
તો મિત્રો ,  એક પ્રાથમિક શાળાના આચાર્યનું પુસ્તક શિક્ષકની સિગ્નેચર શું છે ? આ પુસ્તક ક્યાંક બાળમાનસના પ્રશ્નો કે લાગણીઓને વાચા આપી શિક્ષકની સાથે સાથે શિક્ષણને પણ જોડતી વાતોનો અનોખો સેતુ છે. તો ક્યાંક આ પુસ્તક એક શિક્ષકની આંતરખોજને ઉજાગર કરતું પુસ્તક છે. શિક્ષણને તો ક્યાંક શિક્ષકત્વને માતૃત્વની કક્ષાએ લઇ જવાનો પ્રયાસ દર્શાવતું મનને ગમી જાય એવું મજાનું પુસ્તક છે.
તાલિબાનોની  ગન શિક્ષણ  જગતને હરાવી નહી શકે પણ શિક્ષણ જગતની પેન્સિલ જ એમને બદલશે એ આશાવાદ સાથે અનેક હકિકતોને બયા કરતું તો વળી શિક્ષણ જગત સાથે જોડાયેલ પેન્સિલ, રબર કે સ્ટેપ્લર જેવી નાની પણ ક્યાંક ભાગ્યે જ ઉલ્લેખ પામેલી વસ્તુઓની  વાતો પણ પોતાની લાવણ્ય કારી શૈલીમાં સુંદર રીતે રજુ કરી કલમને નવો આયામ બક્ષાયો છે આ પુસ્તકમાં !  
દરેક નિબંધ પત્યા પછી એક અનેરુ વિચારમંથન માંગી લે છે તો વળી એમાંથી ક્યાંક પ્રેરણાનો એવો ધોધ મળે કે જાણે એને કાયમ સાચવી રાખવાનું મન થાય કે એને જીવનમાં ઉતારવાનું મન થાય. દરેક નિબંધમાં ક્યાંક અનેક નિખાલસ પ્રશ્નો છે તો ક્યાંક આપણે પોતે પણ મુક સાક્ષી બની અનુભવેલી વેદનાને શબ્દદેહ અપાયો  છે. ક્યાંક વિદ્યાર્થીના વિસ્મયને પામવાની તો ક્યાંક વિદ્યાર્થીના મોઢા પર આવી જતાં નિખાલસ સ્મિતને પામી જવાની રોમાંચક વાત છે. ક્યાંક આપણા જીવનના લેખાજોખા જોઇ એને જ પામવાની વાત છે તો ક્યાંક સામે બેઠેલ વિદ્યાર્થીના શમણાને વાંચી જઇને એને પાંખો આપવાની મજાની વાત છે. શબ્દે-શબ્દે જાણે કલમ શિક્ષણત્વનો ધોધ પ્રસરાવી જાય છે તો ક્યાંક એ ધ્રુજાવી પણ જાય છે. અને વિચારોના વમળ પેદા કરી જાય છે.
મહાભારતના વિકર્ણને પણ યાદ રાખે અને ગણિતના વિકર્ણને પણ ન ભુલે એવી અદભુત શૈલીમાં આલેખન થયું છે. તો  ગણિતના વિભાજનને  અને ઇતિહાસના વિભાજનને પણ એક સાથે આલેખી બતાવે  એ પારસની કલમ ! એકિકરણ જેવો ગણિતનો શબ્દ તો ઇતિહાસમાં પણ છે એ ક્યાંક વાંચતા વાંચતા યાદ અપાવી જાય એવી એમની આ અનોખી શૈલી ખરેખર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન ઉભો કરશે એવું ચોક્ક્સ લાગે છે.
ક્યાંક વેદના છે ક્યાંક નિખાલસતા છે તો ક્યાંક રડાવી મુકે એવી લાગણીશીલ ભાવનાઓનો કેફ છે. ક્યાંક ઉદાહરણોનો સાથ છે તો ક્યાંક સત્ય ઘટનાઓ સાથેનો રાહ છે. બસ પુસ્તક નથી જ મુકવું હજુ વાંચવું જ છે મન એવું બોલવા લાગે એવું મજાનું પુસ્તક છે.
સાચું કહું આપણા જ વિચારોને નવસર્જીત કરી નવીદિશા આપી નવા આયમો બક્ષતું આ એક અદભુત પુસ્તક છે.
આ પુસ્તકમાં અનેક કવિતાઓ તો છે જ પણ ક્યાંક ગદ્ય પણ પદ્યની જેમ વહી રહ્યું છે એવું અનેક સમયે લાગે. વિચારોને પાંખ ફુટેને ત્યારે અનેરો વિચાર વૈભવ પ્રાપ્ત થાય અને આવો અનેરો વિચાર વૈભવ એટલે ખરેખર પારસની સિગ્નેચર અરે હા, શિક્ષકની સિગ્નેચર.
છેલ્લા એટલું જ કહીશ કે ખરેખર વાંચવા જેવું, વસાવવા જેવું અને માણતા માણતા જીંદાદિલ બનાવી દે એવું મજાનું પુસ્તક એટલે શિક્ષકની સિગ્નેચર. Once again happy teacher’s Day Paras Kumar.



સોમવાર, 2 સપ્ટેમ્બર, 2019

Arif Mohmmad Khan

આરિફ મોહમ્મદ ખાન હાંસિયામાં ધકેલાઇ ગયેલ વ્યક્તિત્વને ફરીથી હાસિંયા બહાર લાવવા બદલ નરેન્દ્ર મોદી એન્ડ કં. નો આભાર અને આરિફ મોહમ્મદ ખાનને દિલથીઅભિનંદન...
 ===================================



 છેલ્લા બે દશકાથી મિડિયા માટે જરાય નવું નામ નથી અને છેલ્લા દશકાથી સમગ્ર ભારતવર્ષમાં જેમનું નામ એમના સેક્યુલર જવાબોથી યાદ રખાયું છે એ નામ એટલે આરિફ મોહમ્મદ ખાન ! જ્ઞાનપિપાસુ આ માણસ એક એવી ઓળખ ઉભી કરી ચુક્યા છે કે દરેક ક્ષેત્રમાં એમનું નામ આદર સહ લેવાય છે. એમનો એક આખો જુદો તરી આવતો ચાહક વર્ગ છે તો એમના પોતાના જ કહી શકાય એવા અનેક વિરોધીઓ પણ છે કારણ કે પોતાની પાસે જે નોલેજ છે એનો ભરપુર ઉપયોગ કરીને લોકો સમક્ષ ઇસ્લામના કટ્ટરવાદના સણસણતા જવાબ આપ્યા છે અને સાચા અર્થમાં સેક્યુલર બન્યા છે. એમની અનેક સ્પિચ અને ઇન્ટરવ્યુ સતત અલગ અલગ ચેનલ પર પ્રસારિત થતા હોય છે જેના વ્યુઅરસ અને લાઇક બીજા કરતાં ચઢિયાતા હોય છે. આરિફ ખાન પોતાના માટે આદર્શવાદી ઉમદા અને વિશ્વાસુ વ્યક્તિત્વની ઓળખ ઉભી કરનાર એક મુઠી ઉચેરા રાષ્ટ્રવાદી નેતા સાબિત થયા છે. ઇસ્લામમાં રહેલ જ્ડતા અને અપરિવર્તનશીલતાનો ખુલીનો સતત વિરોધ કરનારા એકલપંથી નેતા લાગ્યા છે. તો ક્યાંક એવું લાગે કે એકલો જાને રે એકલો જાને રે ગીતને જીવીને જીતનારા લાગ્યા છે. કારણ કે જો એમના પોલિટિકલ કરિયરની વાત કરીએ તો ચોક્ક્સ એમ દેખાઇ આવે કે સમયે સમયે એ એકલા પડ્યા છે અને છતાં હાર્યા નથી. પોતાના વિચારો, પોતાના નિર્ણયો અને પોતાની જુબાન પર કાયમ રહ્યા છે. એને માટે પોતાના રાજકિય કરિયરની લેશમાત્ર ચિંતા કર્યા વગર સતત લડ્યા અને આદરપાત્ર બન્યા. 1951 માં ઉતર પ્રદેશના બુલંદશહરના બારહ બસ્તીમાં જન્મેલા આરીફ મોહમદ ખાનની પોલિટીકલ કરિયર વિદ્યાર્થી નેતા તરીકે સૌ પ્રથમ legislative assemblyમાં ભારતિય ક્રાંતિ દલ તરફથી બુલંદશહરના સિયાનાથી થાય છે અને આરિફભાઇ હારે છે. પણ 1977માં 26 વર્ષની ઉમરે ઉતર પ્રદેશ વિધાન સભાના સભ્ય તરીકે ચુંટાઇ આવે છે. . પછીથી INCમાં જોડાયા અને 1980- 1984 લોકસભાના સભ્ય રહ્યા. હા, 1980 માં INC ના ઉમેદવાર તરીકે કાનપુરથી જીતીને લોકસભામાં પહોંચ્યા અને પછી ફરીથી 1984માં બહારિચથી જીત્યા પણ 1986માં Muslim Personal Law Bill માં મતભેદના કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. એ સમયે તેઓ ટ્રીપલ તલાક બિલ પાસ ના થયું (શાહ બાનો કેશ) એના વિરોધમાં હતાં. અને કહેતા હતા કે આમાં તો 3 વર્ષના જેલની કાયદો હોવો જોઇએ. હા, 35 વર્ષની ઉમરે સાંસદમાંથી વોકઆઉટ કરી જાય અને એક સમયે All India Muslim Personal Law Board ને નાબુદ કરવા માટે એમણે વકાલત પણ કરી હતી. એક તરફ એમનો આ જુસ્સો અને એક તરફ જ્ઞાનથી ભરેલા શાંત અને નિખાલસ માણસ માટે એક સમયે તો વિરોધીઓને પણ મનમાં સલામ મારી જવાનું મન થાય કારણ કે અંદરખાને તો એમના મુદ્દા પર સહમત થાવાનું મન થાય જ(કારણ કે એમને માત્ર વૉટ બેંકની પડી હોય છે.). કોંગેસ છોડ્યા બાદ આરીફભાઇએ જનતા દલ જોઇન કર્યુ... પણ ત્યાં પણ બહાર રહેવાનો જ વખત આવ્યો કારણ કે બીજા બળવાખોર કોંગ્રેસ નેતા જનતા દલનો ચહેરો બની ચુક્યા હતા. અને વી.પી. સિંહે પણ એ જ વ્યુહાત્મક ચાલ ચાલીને એમને કેમ્પેઇનથી દુર જ રાખ્યા કારણ કે રૂઢિવાદી મુસ્લિમ નેતાઓની પ્રતિક્રિયા સતત ખુંચતી હતી. છતાં આનંદની વાત એ હતી કે 1989ના ઇલેક્શનમાં ચુંટાઇને આવ્યા ત્યારે તેઓ Union Minister of Civil Aviation and Energy ના પદ પર રહ્યા હતાં. 1998માં ફરીથી બાહરીચથી લડ્યા અને જીત્યા પણ આ વખતે જનતા દળ સાથે ન હતાં ફરીથી નવી પાર્ટી હતી અને એ જીત BSP સાથેની હતી. ફરીથી એક વળાંક આવે અને 2004માં BJP સાથે જોડાય અને કેસરગંજથી લડે છે અને હારે છે. 2007માં એમ કહીને BJP સાથે ફરીથી છેડો ફાડે છે કે મને અન્યાય થાય છે. આમ પોલિટીકલ કરિયરમાં અનેક ચડાવ ઉતાર અને છતાં બધાની નજરમાં અનેરૂ સ્થાન લેનારા આરીફ ખાન સતત મુઠ્ઠી ઉંચેરા સાબિત થયા છે. એમનું રાજકારણ હંમેશા પક્ષ રહિત રહ્યું છે કારણ કે જ્યારે જરૂર હતી ત્યારે કોંગ્રેસના જ બીલનો(ટ્રીપલ તલાક બિલ પાસ ન કરવા પર, સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ પણ સાંસદમાં વોટબેન્ક સાચવવા ભરેલું પગલું એમને જરાય મંજુર ન હોતું.- શાહ બાનો કેશ) વિરોધ કરીને તેઓ પોતાના વિચાર પર અડગ રહ્યા અને એમનું એ એક મુદ્દા પર તીખી પ્રતિક્રિયા આપીને 1986માં કોંગ્રેસ છોડવી અને 2018-19માં ભાજપના શાસનમાં ટ્રીપલ તલાક બીલનું પાસ થવું એ બતાવે છે કે એમની દુરંદેશી, એમની વિચાર ક્ષમતા અને એમનો નિર્ણય 35ની ઉમરે પણ કેટલો કાબીલે દાદ હતો. એમનો એ વિચાર એમની એ જીદ આખરે 2018-19 માં સાચી ઠરી અને ખુલીને મજાના ઇન્ટરવ્યુ આપ્યા. આમ એક અર્થ માં ટ્રિપલ તલાક બિલના પ્રણેતાનું બિરૂદ એમને આપીએ તો એમાં કશું ખોટું નથી જ ! અરે એટલું જ નહી 1986 માં રાજીવ ગાંધી જ્યારે પુછે છે કે તમને આમાં શું ખોટું લાગે છે ત્યારે આરિફ ખાન કહે છે કે “ I found nothing wrong with judgment. In fact, the Quran says any amount spent on the destitute is a ‘beautiful loan to God’. It was blasphemy for anyone to object to money being given to a destitute.” આ હિંમત હતી એમની કે પ્રાઇમ મિનિસ્ટરને પણ પોતાના વિચાર બેજીજક કહી શકે. એ જ શાહ બાનો કેશમાં જ્યારે આરીફભાઇ પક્ષ છોડી દે છે અને એ જ કેશમાં પાછળથી નવો વણાંક આવે છે ત્યારે નરસિંહ રાવે તો એમ પણ કહ્યું હતું કે “તુમ બહોત જીદ્દી હો. શાહ બાનો ને ભી અપના સ્ટેંડ બદલ લિયા હૈ.” પણ પોતાનું સ્ટેન્ડ બદલે એ આરીફ ખાન નહી. અને આજે જ્યારે એમને કેરલના રાજ્યપાલ નિયુક્ત કરાયા છે ત્યારે મોદી અને અમીત શાહને સલામ આપવી જ પડે કારણે એમણે ભારતમાં વર્ષોથી ક્યાંક સતત ઉપેક્ષાનો ભોગ બનનાર કોહીનુરને યોગ્ય ઉંચાઇ બક્ષવાનું કે એને નવાજવાનું ઉમદા કામ કર્યું છે. સરળતા, સહજતા, નિખાલસતા અને જ્ઞાનના પર્યાય એવા આરીફ મોહમ્મદ ખાનની યોગ્ય કદર થઇ છે. નસીબ જોગે દિલ્હીમાં દારા સુકોહ સ્મરણ યાત્રા સમયે એમને ગુણવંત શાહ સાથે બે કલાક જેટલો સમય મળવાનું અને માણવાનું બન્યું હતું. એમની બોલીમાં એક નજાકત વર્તાતી હતી તો ક્યાંક સતત એમની સુફીઝમની વાતો સીધી હ્રદય સુધી પહોંચતી હતી. જીવનમાં મળેલા અને માણેલા એ 2 ક્લાક ખરેખર યાદગાર હતાં. જયારે એમને ગવર્નર બન્યા એ વાતની જાણ થઇ ત્યારે એમનો પ્રતિભાવ પણ એટલો જ મુઠ્ઠી ઉંચેરો સાબિત થાય એવો અખિલાઇ ભર્યો રહ્યો... તો એમના શબ્દોમાં એમની જુબાની “ I was born in Uttar Pradesh, which is one end of the country, and Kerala is on the other end. This role will help me understand the diversity of the country.” તો વળી વધુમાં India Today TV સાથેની વાતચીતમાં ઉમેર્યુ કે “it doesn’t matter if the state is in alignment or not with the Central government, I hold a Constitutional post and I will serve my duties towards the people of Kerala.”
અનાથી વધુ મોટા સેક્યુલર શબ્દો બીજા શું હોઇ શકે ? તો વળી કોઇકે પુછ્યું કે આ સમયે રાહુલ ગાંધી વાયનાડથી જીત્યા છે અને એક સમયે આરીફ ખાન તમે પોતે કોંગ્રેસમાં હતા તમારું સ્ટેન્ડ શું રહેશે ? તો એના જવાબમાં કહે છે કે “ If Rahul Gandhi comes to meet me, I will be more than happy to meet him and help him with anything.”
ફરીથી કહીશ કે નરેન્દ્ર મોદીએ intellectual, secular અને dedicated માણસને ગવર્નર બનવીને દેશની સાચી સેવા જ કરી છે. હાંસિયામાં ધકેલાઇ ગયેલ આરિફ મોહમ્મદ ખાનને હાંસિયાની બહાર લાવવામાં તમારું આ યોગદાનની ઇતિહાસ બખુબી નોંધ લેશે અને આવનારા ભવિષ્યમાં જગત આ લેવાયેલ નિર્ણયના સુંદર પરિણામો જોશે જ ! ફરીથીઅભિનંદન આરીફ મોહમ્મદ ખાન you defiantly deserve this and I can extend my words and wish you to be a vice president of India some day.