શનિવાર, 5 નવેમ્બર, 2022

KPSWA

ઉપસ્થિત સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ ......

મન હોય મેળાવડો હોય અને જ્યારે પોતિકાપણાની  હૂંફ હોય ત્યારે જે મિલન થાય એનું નામ સ્નેહમિલન બાકીના મેળાવાળા એ તો મેળા કહેવાય જેમાં માત્ર ને માત્ર મનોરંજન હોય મનને હલકું કરી આનંદનો ઓછવ કરવાનો હોય એ મેળો કહેવાય પણ જ્યાં લાગણી હોય ભાવના હોય અને ભાઇચારા સાથે સંસ્કૃતિની ધરોહર સાથે જે મિલન હોય એને ખરું સ્નેહમિલન કહેવાય !  અને આજે જ્યારે પર્થના આંગણે KPSWA ના બેનર નીચે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે એ સ્નેહમિલન ખરા અર્થમાં એક નવો જ માઇલસ્ટોનને સર કરી રહ્યું છે. અહિં ઉપસ્થિત સૌ પાટીદારોની કોમન વાત કઇ તો જવાબ છે કે પ્રત્યેક પાટીદાર એના ડીએનએમાં સાહસીકતાનો ગુણ લઇને આવ્યો છે તો પ્રત્યેક પાટીદાર આસ્તિક છે પોતાના કામ પ્રત્યે વફાદાર છે પોતાના કુટુંબ માટે સર્વસ્વ અર્પી દેવા તૈયાર છે. આવા આપણે સૌ જ્યારે અત્યારે એક મિલનના ભાગ રૂપે ભેગા થયા છીએ ત્યારે સૌ પ્રથમ શરૂઆત પ્રાર્થનાથી કરીએ ! કારણ કે .....

મનોજ ખંડેરિયાના શબ્દોમાં ....

રસમ અમારી જુદી ને રિવાજ સાવ નોખા,
અમારે મન તો બસ શબ્દો જ કંકુ ને ચોખા.

બસ તો એ પ્રાર્થના રૂપી શબ્દોથી ભગવાનના ચરણોમાં આપણે અભિષેક કરીએ. 

 ============== 

ચાલો ફરીથી ઉજવણીમાં જોડાઇએ તો ..... સૌથી પહેલા એક સાદો પ્રશ્ન કે ....

આ દિવાળી અને નવું વર્ષ વળી શું ? તો જવાબ છે કે ...

વર્ષના અંતની 24મી અગિયારસ આશો મહિનામાં આવે ને પ્રત્યેક ઘરમાં શરૂ થાય એક નવો જ અસિતત્વનો ઉત્સવ ! આંગણાંમાં રંગોળી અને ટોડલે દિવડાની ઝાકમઝાળ એટલે દિવાળીનો પર્વ ! નાનેરાથી લઇને મોટા સૌના મનોવિશ્વમાં જ્યાં આનંદને જ સ્થાન હોય એ દિવાળી ! અંધારિયાના એ દિવસોમાં દિવડો જાણે સૌ માટે પ્રકાશનો પર્યાય બની ઉઠતો હોય છે. અમાસની એ અંધારી રાત ક્યાંક સૌ માટે દિવડા થકી તો ક્યાંક ફટાકડાના થકી પ્રકાશ, આનંદ અને હરખના અતિરેક સાથે ભરેલી હોય છે.  એ અંધારી રાત પછી જે સબરસ લઇ લો સબરસના અવાજ સાથે નવલી પ્રભાત આવે છે એ સૌ માટે ભરપુર ખુશી અને પોઝિટીવિટીથી ભરેલી હોય છે. એક બીજાને મળવાનો અનેરો આનંદ હોય છે અને જ્યારે આવો મજાનો દિવસ પ્રત્યેકનો પતતો હોય અને આકાશમાં અંધારૂ આકાર લેતું હોય ત્યારે એ આકાશમાં પાતળી કોર સાથે ઉગેલો એ ચંદ્ર જાણે આપણને કહી રહ્યો હોય છે કે એ ભાઇ જો ને ગઇકાલે તો હું હતો જ નહી અને આજે તારી સામે મારા અસ્તિત્વને થોડું ઉજાગર કરીને આવ્યો છું  અને આવનારા 15 દિવસ સુધી હું સતત મારા અસ્તિત્વને આમ જ વિસ્તારો જઇશ બસ તું પણ તારા આ નવા વર્ષે આમ જ રોજ પ્રતિ ક્ષણ આમ જ વિસ્તરતો જા .. વિસ્તરતો જા અને તારા અસિતત્વને વધારતો જા ! સાલમુબારક ....

પ્રત્યેક માટે નવું વર્ષ આ સંદેશા સમાન હોય છે અને ત્યારે

અત્યારે આપણે સૌ જ્યારે નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે ભેગા થયા છીએ ત્યારે એક પતિ – એક બાપ નવા વર્ષને કેવા અંદાજમાં મુલવતો હોય છે તો એનો જવાબ અંકિત ત્રિવેદીની એક રચનામાં છે કે ....

 

મારા સપના તારી આંખે સાચ્ચા પડતા જાય
એને નવું વર્ષ કહેવાય
હું કંઇ પણ ના બોલું તો પણ તરત તમને સમજાય
એને નવું વર્ષ કહેવાય...

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું,
પકડાઇ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું ,
લાભ, શુભ ને ચોઘડિયા પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય....

જીવન એવું જીવશું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ,
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશુ ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઇ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય.....

આ નવો મિજાજ જાણે પ્રત્યેક પાટીદારના ઘરમાં હોય છે કારણ કે એમ કહેવાય છે કે તહેવાર અને વહેવાર પાટીદારના જ ! પાટિદાર માટે પ્રત્યેક ઉત્સવ જાણે અસિતત્વનો ઉત્સવ ! આયોજન અને અખિલાઇનો પર્યાય એટલે પાટીદાર !

પ્રભાવ અને વૈભવ ની વચ્ચે જીવતો પાટીદાર !

ખુદ્દારી, ખમીરી અને ખાનદાની સાથે જીવનભર જીવી જાણે એ પાટીદાર !

કોઇપણ ક્ષેત્રમાં સત્તા, શાણપણ કે શતરંજ ના પ્યાદા ગોઠવી શકે અને જીતની બાજી મારી શકે એ પાટીદાર !

અરસ્પરસ સ્નેહ અને ભાતૃભાવ થકી સતત પરિવારની કે મિત્રોની કે સમાજની ચિંતા કરી એમને મદદરૂપ થવું એ જ જાણે પાટીદાર નો આગવૉ અંદાજ!

આટલું જ નહી -  દાન - ધર્મ અને કર્મનો મહિમા જેણે ખરા અર્થમાં આત્મસાત કર્યો હોય એવી જો કોઈ કોમ્યુનિટી હોય તો ગર્વ થી કહી શકાય કે એ પાટીદાર!

ભારતમાં જ ગુજરાતની બહાર પગ મુકો એટલે તમને પાટીદાર ક્યાં મળે તો છેલ્લા 200-400  વર્ષનો ઇતિહાસ બોલે છે કે પ્રત્યેક નગરમાં જે પણ બેન્સોનો ધંધો કરનાર મળે એ મોટે ભાગે પાટીદાર જ નિકળે ! સમય બદલાયો થોડા સમીકરણો બદલાય અને પ્રત્યેક ધંધામાં કે જોબમાં પાટીદારોનું વરચસ્વ સતત  વધતું જ રહ્યું ! અને પછી તો સિલિકોન વેલી હોય કે સાઇબિરીયાનો પહાડી પ્રદેશ, સહારાનું રણ હોય કે સેસલ્સ આઇલેન્ડ હોય, નાસા હોય કે નાઈજીરીયા નું જંગલ , ફિલ્મ ઇન્ડસ્ટીઝ હોય કે ક્રિકેટનું મેદાન હોય, મોટેલ હોય કે મરજીવારૂપિ છલાંગ, બધે જ કોઇકને કોઈક ને કોઈ પાટીદાર સતત વિશ્વના ખૂણે ખૂણે શ્વાસી રહ્યો છે. જે રણમાં પણ સરોવર બનાવવાનું સપનું જોઈ શકે અને મંગળ પર કે ચંદ્ર પર જમીન લઈ પોતાની પત્ની કે બાળક ને રીજવી શકે જેના સપના હિમાલય ને સર કરવાની પણ હોય અને પેસેફિકના ઊંડાણને માપવાની હોય એ પાટીદાર !

અને એટલે જ કહેવું હોય તો ચોક્ક્સ કહી શકાય કે શુદ્ધમ બુદ્ધમ મહાપ્રજ્ઞામડિંતમ સણવંડિત એટલે કે શુદ્ધ, જાગૃત, મહાન બુદ્ધિથી સુશોભિત અને યુદ્ધના મેદાનમાં કુશળ છે પાટીદાર છે.

=================

જૂનું બધું યે નવું થાય, એ નવું વરસ કહેવાય
થવા જેઉં યે ઘણું થાય, એ નવું વરસ કહેવાય

 

દોડી દોડી હાંફી હાંફી
ભાગો જેની પાછળ
એ જ અચાનક આવી ઊભું
રહે આપણી આગળ

 

ઇચ્છો એવું બધું થાય એ નવું વરસ કહેવાય !
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

 

તારા વિના બધું જ જૂનું
એવું ગમતી વ્યક્તિને કહેજો
નવા વરસે થોડું તો થોડું
એની સાથે રહેજો

 

આખા જગમાં જેટલું સુખ હોય
બધું તમારું થાય...
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

 

નવા વરસે એ બધું જીવો
જે કદીયે જીવ્યા  ન્હોતા
નવા વરસે એ બધું કહો
જે ક્દીયે બોલ્યા નહોતા

 

નવા વરસમાં સમય આપનો
નવો શરૂ થાય...
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

 

અજવાળાનો ડર લાગે તો
અંધારાને મળજો
એક નાનકડો દીપ પ્રગટાવી
સૂરજ સામે ધરજો

 

નવાવરસે જે પણ થાય એ બધું
મજાનું થાય....
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

પર્થના આંગણે જ્યારે આ KPSWA ના બેનર નીચે 5 મા વર્ષની મજાની ઉજવણી આકાર પામી છે ત્યારે થોડા ઇતિહાસ તરફ નજર નાખીએ તો ચોક્ક્સ કહેવાનું મન થાય કે જ્યારે 4 વર્ષ પહેલા આવા સ્નેહ મિલનની શરૂઆત કરી હતી ત્યારે માત્ર 87 વ્યક્તિઓ હતાં વર્ષો વર્ષ સંખ્યામાં ઉમેરો થતો ગયો અને આજે 250 ના નાવા માઇલ્સ્ટોનને ટચ કરી ચુક્યા છીએ

જે બતાવે છે કે વિદેશમાં રહેતા – પર્થમાં રહેતા પ્રત્યેક પટેલના મનમાં હ્રદયમાં કે એના આખા કુટુંબનાં પ્રત્યેક શ્વાસમાં હજી ભારતીય સંસ્કૃતિની ધરોહર એમ ને એમ સચવાઇને પડી છે. પર્થમાં પાટીદારો કેટલા તો આ હોલમાં ભેગા થયેલા 250 જણા ! ના .... ! મને અત્યારે ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી એક વાત યાદ આવે છે. ચાલો બક્ષીના જ શબ્દોમાં એ વાત તમને કહું .... !  એકવાર એક ઉત્સાહી પાટીદારને તુક્કો સૂઝ્યો કે દુનિયાભરના પાટીદારોની વસ્તીગણતરી કરવી. એણે ધર્મજથી શરૂ કર્યું, ઉતરસંડા, પેટલાદ, નડિયાદ, આણંદ, ઉમરેઠ... ઉપર મહેસાણા પછી કાઠિયાવાડ થઇને અરબી સમુદ્ર ઓળંગી કમ્પાલા, મોમ્બાસા, ઝાંઝિબાર, એડિસ અબાબ પછી મોઝામ્બિક, ઝિમ્બાબ્વે, રહોડેશિયા, દક્ષિણ આફિકા... આગળ ફરી એટલાંટિક મહાસાગર પાર કરી ન્યુયોર્ક, ફિલાડેલ્ફિયા, શિકાગો , બોસ્ટન થઇને આખું અમેરિકા અને બીજે છેડે લોસ એનિજ્લિસ, સાન ફ્રાંન્સિસ્કો ... ઉપર કેનેડેમાં મોંટ્રિયલ, ક્વિબેક અને ત્યાંથી ઉત્તર ધ્રુવ ! ઉત્તર ધ્રુવ જઇને એ થાકી ગયો. એને થયું કે જીવનભરનું કામ પુરૂ થયું – ઘણા પાટીદારો ગણાઇ ગયા ! ઉત્તર ધ્રુવથી એ પાછો ફરી રહ્યો હતો ત્યારે એને એક બીજો પાટીદાર મળ્યો એ પણ પાટીદારની ગણતરી કરવા દક્ષિણ ધ્રુવની પાસે આવેલા ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી નિકળ્યો હતો. દક્ષિણ ધ્રુવવાળાએ ઉત્તર ધ્રુવવાળાનું લિસ્ટ જોતા કહ્યું કે, આમા બાકીની અડધી દુનિયાના પાટીદારો તો આવ્યા જ નથી ! અમારા ન્યુઝિલેન્ડ – ઓસ્ટ્રેલિયામાં જે પાટીદાર વસાહતો છે એનું શું ? છેવટે બન્ને એકબીજાનું લિસ્ટ જોઇને બેહોશ થઇ ગ્યા હતા. પાટીદારોની વસ્તી ગણતરી શકય જ નથી.

 ચંદ્રકાન્ત બક્ષીની આ વાત જો આપણા પર્થ માટે કરીએ તો આપણે સૌ ક્યાંક એક તાંતણે બંધાઇને આ ચાલ્સ રીલી કોમ્યુનિટી સેન્ટરમાં ભેગા થયા છીએ એના વિચારનું બીજ આજથી 4 વર્ષ પહેલાં રમેશભાઇ પનારાના મગજમાં આવ્યું હતું અને એ વિચાર ફણગો થઇને ફૂટ્યો અને એ ફણગો પ્રતિ વર્ષ સતત વધતો જ રહે છે અને વિસ્તરતો જ રહે છે. અને હજુ એ અનેક નવા માઇલસ્ટોન સર કરશે જ એમાં કોઇ બે મત નથી જ ! પણ અત્યારે એ રમેશભાઇ પનારા જે આપણી વચ્ચે છે એમને બે શબ્દો કહેવા માટે સ્ટેજ પર આમંત્રીત કરું છું.

 

ગુરુવાર, 3 નવેમ્બર, 2022

મોરબીનો એ જુલતો પુલ યાદ બનીને રહી ગયો !






એ પણ એક સમય હતો- જમાનો હતો  કે રાજા વિદેશ પ્રવાસે જતાં અને ત્યાં એમને જે ગમી જતું એ પોતાના રાજ્યમાં એવું જ ઉભુ કરાવતાં અને પ્રજાને સુવિધાઓ પુરી પાડતાં ! આવા અનેક પ્રજા લક્ષી કામો એ સમયે થયા જ છે. આવી જ રીતે યુરોપ ફરી આવેલા રાજા વાઘજી ઠાકોરને એ સમયે ફ્રાંસનું પેરિસ મનમાં વસી ગયેલું અને મોરબીને એવો જ ઓપ આપવાની એમણે જાણે નેમ લીધી અને આજે પણ મોરબીની એ જુની ગલીઓમાં આંટો મારીએ તો ક્યાંક એવી ગલી કે કોઇક વસ્તુનો ઓપ એ બાંધણી ચોક્ક્સ નજરે ચડી આવે જે પેરિસમાં એ સમયે જોવા મળતી ! અને એના કારણે જ મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું ! મહારાજાની એ યુરોપ સફરમાં એમને ગમી ગયેલી – આકર્ષી ગયેલી એક વાત એટલે સસ્પેન્શન બ્રીજ ! ચોક્ક્સ પ્રકારના લાકડા – મજ્બૂત તાર અને થોડા જરૂરી સામાન મંગાવવામાં આવે છે અને  આખરે 1887 માં મહારાજા વાઘજી ઠાકોરે મોરબીની ધરોહરમાં એક યશકલ્ગી રૂપી પીછું ઉમેરતાં સશ્પેનશન બ્રીજનું નિર્માણ કર્યું અને એ સસ્પેનશન બ્રીજ પ્રજાને અર્પણ કર્યો ! સરળ શૈલીમાં ગામઠી ભાષામાં એનું નામ પડી ગ્યું જુલતો પુલ  જે 1.25 મિટર પહોળો અને 233 મીટર લાંબો હતો. નાના હતાં ત્યારે વિશ્વની સાત અજાયબીઓના લિસ્ટમાં ક્યાંક બેબીલોનના હેંગિગ ગાર્ડનનો ઉલ્લેખ આવતો પણ અમારે મન તો મોરબીનો આ પુલ જ જાણે બધું !  સમગ્ર ભારતમાં આવા જુલતા પુલ માત્ર બે જ જગ્યાએ છે ઋષિકેશમાં રામ જુલા અને લક્ષમણ જુલાના રૂપે અને મોરબીમાં મચ્છુ નદીની ઉપર ! મચ્છુ નદી પર 50- 60 ફૂટ ઉંચાઇ ઉપરનો આ પુલ દરબારગઢ અને સામે કાંઠે આવેલ લખધિરજી કોલોજને જોડનારો હતો. પહેલા તો આ પુલ રાજવી પરિવાર જ ઉપયોગમાં લેતા હતાં પરંતુ પ્રજાલક્ષી નિર્ણય લઇને લોકો માટે પણ એ ખુલ્લો મુકાયો અને સમય જતાં એની જવાબદારી મોરબી નગરપાલિકાને સોંપાઇ. સમય વિત્યો ટેકનોલોજીનો નવો યુગ આવ્યો – નવા પર્યટન સ્થળો પણ અસ્તિત્વમાં આવ્યા અને 21મી સદીના પડઘમ પણ સમ્યા પણ 134 વર્ષ જુનો એ જુલતો પુલ હજી ગઇકાલ સુધી લોક આકર્ષણના પર્યાય સમો રહ્યો. 2001માં ભુકંપ આવ્યો ત્યારે તે થોડું નુકાશાન પામ્યો હતો અને સાવચેતીના પગલા રૂપે એને બંધ કરી દેવાયો હતો. બાદમાં ઓરેવા ટ્રસ્ટને એના મેન્ટેન્નસની જવાબદારી અપાઇ હતી અને જીંદાલ કંપની સાથે મળીને રીનોવેટ કરી  ફરીથી એ પુલને જનતા માટે ખુલ્લો મુકાયો ! અને 21મી સદીમાં પણ એ જુલતા પુલના ટીકીટના દર જનતા માટે માત્ર 10 રૂપિયા તો  બાળકો માટે 5 રૂપિયા અને સ્કુલના બાળકો માટે તો માત્ર 2 રૂપિયા જ હતાં. પણ સમયની બલીહારી એવી કે થોડા જ વર્ષોમાં ફરીથી એને બંધ કરી દેવાની નોબત આવી ! છેલ્લા કેટલાક વર્ષોથી બંધ પડેલો પુલ છેલ્લા 7 મહિનામાં 2 કરોડના ખર્ચે રિપેરિંગ થયો અને બસ કારતકના પહેલા જ દિવસે - નવા વર્ષે જનતા માટે ખુલ્લો મુકાયો માત્ર પાંચ દિવસ થયા અને છઠ્ઠા દિવસની સાંજે સૂરજ આથમવાની તૈયારીમાં હતો ત્યારે એ મોરબીની શાન સમા જુલતા પુલ સામે કાળદેવાતાએ ક્યાંક માથું ઉચ્ક્યું અને પુલ પર ઉભેલા અનેક મોરબીવાસીઓને મચ્છુના ખોળામાં એ પુલ સાહીત સમાવતા ગ્યા ! હ્રદય વ્યથિત કરી મુકે એવા દ્રશ્યો સર્જાયા અનેકે ક્યાંક કોઇક સ્વજન ખોયું તો કોઇકે મિત્ર તો કોઇકે ભાઇ તો કોઇકે બહેન તો કોઇકે પોતાનો લાડકવાયો ખોયો ! પાડા પુલ પર ઉભા રહીને એ પુલ તરફ જોતા ત્યારે જાણે એમ લાગી ઉઠતું કે મા મચ્છુ પોતાના માથા પર એક મુકુટ ધારણ કરીને ઉભી છે. પણ એ કાળમુખા દિવસે જાણે માં નો એ મુકુટ છિનવી ગ્યો – મોરબીની આન – બાન અને શાન સમો એ પુલ તુટ્યો અને અનેક કુટુંબના મનોરથ પણ ! સમગ્ર નગરમાં એક સન્નાટો હતો જો હતી તો માત્ર પ્રાર્થાનાઓ હતી. છેલ્લા દશકમાં વિશ્વ સમક્ષ અલ્ગ જ અંદાજમાં ઉભરી આવેલું મોરબી તરત જ રાહત કાર્યમાં જોડાયું અને શક્ય એટલાના જીવ બચાવાયા પળ ભરમાં બલ્ડ ડૉનેશન માટે પણ લાઇનો લગી  શક્ય એવી મદદ સૌ કોઇ કરી રહ્યા હતાં. ક્યાંક કન્તિભાઇ અમૃતિયા પોતે નદીમાં ઉભા રહીને બચાવ કાર્યમાં લાગી ચુક્યા હતાં તો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા ! ક્ષણનો ય વિલંબ કર્યા વગર અનેક સંસ્થાઓ – સહયોગીઓએ સૌએ શક્ય એટલી મદદ કરવાની શરૂ કરી દીધી. માનવતા ફરીથી જાણે બમણા જોશથી આળસ મરડીને બેઠી થઇ. રડાવી મુકતા – ધ્રુજાવી દેતા એ દૃશ્ય મોરબીવાસીઓ ક્યારેય નહી જ ભુલી શકે પણ આ હકિકત ના બીજા છેડે મારી એ વાત પણ લાખી રાખજો કે મોરબી કાળની આ થપાટને પચાવી જાશે  -  કેવી રીતે ? તો જવાબ છે  -  માં મચ્છુના ખોળામાં સુતેલા એ સૌને યાદ રાખી અંજલી આપી એમના કુટુંબીજનોને શક્ય એટલી મદદ કરી એ સૌના હાથમાં હાથ આપી સાથે દોડી માનવતાના નવા શિખરો સર કરીશું ને ત્યારે ક્યાંક કાળદેવતા પણ તાજુબ પામી અમને મોરબીવાસીઓની હિંમતને દાદ આપતા હશે ! આ હિંમત અને જુસ્સો તો છે પણ અત્યારે તો અમારી પાસે પ્રાર્થના એ જ વિકલ્પ છે, અનેક પરિજનો સ્વજનો અને મિત્રોની સદગતિ માટે પ્રાર્થના જ છે આશ્વાસનના શબ્દો ખુટી પડે છે અને મન પોકારી ઉઠે છે  

असतोमा सद्गमय ।

तमसोमा ज्योतिर् गमय ।

मृत्योर्मामृतं गमय ॥

ॐ शान्ति शान्ति शान्तिः ।।

              ========================


જુલતો પુલ મારા માટે પણ એક આકર્ષણ જ રહ્યો ! હું નાનો હતો ત્યારે મને મનહરભાઇ સૌ પ્રથમ જુલતા પુલ પર લઇ ગયા હતાં, એકાદવાર ભદ્રેશભાઇ પણ નગરદરવાજાની એ દુકાનેથી લઇ ગયા હતા એવું કંઇક યાદ છે, આ ઉપરાંત  લગભગ 2008 – 10 ની વચ્ચે હું હિરલ અને પપ્પા-મમ્મી મોરબી જતાં હતાં ત્યારે ગ્યા હતાં અને ત્યારનો ફોટો મેં વર્ષો સુધી FBના પ્રોફાઇલ પર રાખ્યો હતો. અને છેલ્લા 19 – 03- 2016 ના રોજ કવિ અનિલ જોશી, ખાચર સર અને દિલીપ સર સાથે જુલતા પુલની મુલાકાત લીધી હતી.