બુધવાર, 22 મે, 2019

બાપુને અને ભાઇને એક સાથે મળવાનો જીવનનો અમુલ્ય અવસર.......



A cherished moment with Bapu and Dr. Gunvant Shah
પૂજ્ય મોરારી બાપુએ ગુણવંત શાહને “વિચાર યજ્ઞના આચાર્ય” કહ્યા છે તો બીજી બાજુએ ગુણવંત શાહે મોરારી બાપુને “લોકશિક્ષક” શબ્દથી નવાજ્યા છે. વિચારયજ્ઞના આચાર્ય અને લોકશિક્ષક બંન્નેને સાથે સ્ટેજ પરથી સાંભળવાનું જીવનમાં બે ત્રણ વખત બન્યું છે. પણ આજે આ બંન્ને સૂર્યોજ્વલ વ્યક્તિત્વોને એક સાથે રૂબરૂમાં મળવાનું બન્યું એ સદભાગ્ય ગણું છું. ખરેખર અત્યારે તો મનોજ ખંડેરિયાનો શૅર યાદ આવી જાય છે.
ક્ષણને તોડવા બેસું તો વરસોના વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે.
સાચું કહું તો જીવનની પ્રત્યેક ક્ષણ કે પળ કંઇક કહેતી જાય છે. પણ જીવનમાં ક્યાંક કેટલીય ક્ષણો એવી પણ હોય છે કે કંઇક પામવા માટે સતત તરસતી હોય છે. જો આવી જ ક્ષણોની હું મારી જીંદગીમાંથી થોડી છણાવટ કરું તો ચોક્ક્સ કહીશ કે પૂજ્ય મોરારી બાપુને ખૂબ જ નજીકથી મળવું અને માણવા એ એક મારી પહેલા નંબરની અભિલાષા હતી. . મારી અંદર પડેલી આ જીજીવિષાશા આજે ગુણવંતભાઇના ઘરે (ટહુકા) પર પુરી થઇ. ભાઇ તમે આવા અમુલ્ય અવસર પર મને યાદ કરીને બોલાવ્યો એનો દિલથી ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આજે તમે જેને વડોદરું કહીને સતત વ્હાલ કર્યું છે એ જ વડોદરાની મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં તમારા નામના સુવર્ણ ચંદ્રક અપાશે એ વાતે દિલથી અભિનંદન. અને સાથે સાથે તમારી ખૂબ જ સરસ રીતે વડોદરાવાસીઓએ કદર કરી તેનો ગર્વ પણ થાય છે. સાચુ કહું તો ભાઇ આજે તમને અને બાપુને સાથે બેઠેલા જોવું છું ત્યારે મનમાં થાય છે કે ગુજરાતના અવલ્લ નંબરના એક ફિલોસૉફર અને એક અવલ્લ નંબરના મર્મજ્ઞ-જ્ઞાતા સાથે બેઠા છે. બંન્ને વ્યક્તિત્વોએ ગુજરાતને એટલું પિરસ્યું છે કે જેના થકી ગુજરાતીઓ ઘડાયા છે.
ગુણવંતભાઇએ જાહેરમાં એક વખત ખૂબ જ સરસ વાત કરી હતી કે બાપુ તમે મંડપના માણસ અને હું સ્ટેજનો માણસ. પણ આજે જયારે તમે બંન્ને એક સાથે છો ત્યારે અમારા માટે તો એક અખિલ બ્રહ્માંડ સર્જાયાની મનોસ્થિતી.....
હજુ તો દારા સુકોહ યાત્રાનો રોમાંચ ઓસર્યો નથી ત્યાં તો જીવનભર ન ભૂલાય એવા રોમાંચની અદભૂત અનુભૂતી....
અંતમાં ફરીથી મનોજ ખંડેરીયાના જ શબ્દોમાં બાપુ અને ભાઇને કહુ તો....
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો