બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

ઉદયાસ્ત : દ્વારકા-સોમનાથ


ઉદયાસ્ત : દ્વારકા-સોમનાથ
નિપેશ પંડયા લિખીત નવલકથા એટલે ઉદયાસ્ત. સદીઓથી કે યુગોથી જાણીતા સૌરાષ્ટ્રના બે સ્થળો સાથે સંકળાયેલ નવલકથા એટલે ઉદયાસ્ત. હા, સોમનાથ અને દ્વારકા ! એક સામાન્ય પ્રશ્ન પુછું...? આ બંન્ને સ્થળો વચ્ચે કોઇ સંબંધ હોઇ શકે ? છે..., અરે, ભુતકાળમાં હશે કદાચ.... ઉદયાસ્ત વાંચો ત્યારે આવો અનુભવ ચોક્ક્સ થાય. કદાચ હું ત્યાં સુધી કહીશ કે આ નવલકથા વાંચ્યા પછી સોમનાથ અને દ્વારકા બીજી વખત જાવ ત્યારે તમારી આંખો બીજુ કંઇક ચોક્ક્સ શોધતી હશે. આ નવલકથા વાંચ્યા પછી ચોક્ક્સ કહેવાનું મન થાય કે સામાન્ય માણસની આંખો જે નથી શોધી શકતી, નથી પામી શકતી એ વાતો નિપેશભાઇએ સોમનાથ અને દ્વારકાના મંદિરની દિવાલો પરથી કે એ ભૂમિ પરથી પામી. વાંચતા વાંચતા ઇતિહાસ એવો તો પેરેલલ ચાલે કે આપણે પણ ત્યાં જ હોવાની અનુભૂતિ પામીએ. એક સામાન્ય ગામડા ગામના માણસની બુદ્ધિ અને એક પંડિતની દેશ પ્રત્યેની અનોખી સુઝ કેવી રીતે બધું બદલી શકે એની કહાની એટલે ઉદયાસ્ત. ક્યાંક સો ટચની શ્રદ્ધા, તો ક્યાંક ભારોભાર વિશ્વાસ. ક્યાંક ઝનૂન, તો ક્યાંક બુદ્ધિચાતુર્ય. ક્યાંક સાહસ, તો ક્યાંક મુર્ખામી. ક્યાંક વિરહ તો ક્યાંક વેદનાથી ભરેલા ઉદયાસ્તના શબ્દો પ્રતિપળ કહાનીમાં આપણને હાજર હોવાનો સતત અહેસાસ કરાવે. ઇતિહાસની હક્કિકતોને આધારે લખાયેલ આ નવલકથા વાંચ્યા પછી મન સતત એક જ પ્રશ્ન પુછ્યા કરે છે, આ નવલકથા નથી જ... આ જ સાચો ઇતિહાસ છે... જે ક્યાંક ખોવાયો છે.. જે ક્યાંક તોડમરોડ પામ્યો છે... જે ક્યાંક જાણીકરીને ભૂલાવી દેવાયો છે.... જે ક્યાંક ચૂકાયો છે.... વર્ષો સુધી જે કોઇ ન પામી શક્યું એ નિપેશભાઇ સોમનાથ જઇને પામી આવ્યા અને ગુજરાતી સાહિત્ય જગતને ઉદયાસ્તની ભેટ આપી. ઉદયાસ્ત વાંચ્યા પછી શબ્દો ઓછા પડે છે. રોમાંચ ઓસરવાનું નામ જ નથી લેતો. નિપેષભાઇ સાથે વાત થઇ ત્યારે મને કહ્યું કે ઉદયાસ્તનો બીજો ભાગ આવી રહ્યો છે. Willingly waiting…..
પારસભાઇ તમારો ખાસ આભાર કે જામનગરની મુલાકાત દરમ્યાન તમે મને આવી સુંદર નવલકથા વાંચવા માટે આપી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો