શનિવાર, 11 એપ્રિલ, 2026

Batavia By Peter FItzSimon - 400 વર્ષ પહેલાંની એક અદભૂત દાસ્તાન !




હું જ્યાં પણ રહું અને એના આસપાસના પર્યાવરણ વિશે એક પછી એની આસપાસની સંસ્કૃતિ વિશે કે પછી ત્યાં રહેતા લોકોની લાક્ષણિકતાઓ વિશે કે પછી ત્યાંના ઇતિહાસ વિશે જ્યાં સુધી કશુંક અજીબ જાણી ન લઉં ત્યાં સુધી મારી જીજ્ઞાસા સંતોષાતી નથી. કંઇક અધુરપ હું સતત અનુભવતો હોઉં છું. અને અહિં મને અનેક ગુજરાતી મિત્રો આવું જ્ઞાન પિરસનારા મળ્યા ! અનેક ઓસ્ટ્રેલિયન મિત્રો મળ્યા જેણે મને મજાની વાતો જણાવી ઘણી ઘણી મેં મારી ડાયરીના પાનાઓ પર કંડારી તો ઘણી ઘણી મેં મારા દિલો-ઓ-દિમાગમાં ઉતારી લીધી. આ બધામાં એક નવું ઉમેરાયેલું નામ એટલે Paul Nolan ! ફ્યુલ સ્ટેશન પર થોડા સમયના અવકાશ પર થતી અમારી વાતચિતો ધીરે ધીરે વિસ્તરતી ગઇ અને એક દિવસ એ   Batavia પર આવીને અટકી ! અને મને કહ્યું અજીત હું એ ટાપુઓની મુલાકત લઇ આવ્યો છું અને મેં એના વિડિયોઝ પણ ટીકટોક પર શેર કર્યા છે. અને પછી વાત આગળ ચલાવતાં કહ્યું વાંચવી છે એ બુક ? અને કોઇ પુસ્તક હોય અને વાંચવું ન ગમે અને એમાં પણ એક સાચા ઇતિહાસને સંગ્રહીને બેઠેલું કોઇ પુસ્તક હોય એમાં તો વળી કહેવું જ શું ? ગણતરીની મિનિટોમાં જ પૉલ પાછો મળે અને મારા હાથમાં પુસ્તક આપતાં કહે તું આ પુસ્તક વાંચી લે એટલે આ પુસ્તકના પહેલા પાના પર જો પહેલું નામ મારું છે અને ત્યાર બાદના બીજા ત્રણ નામ જે છે એમણે પણ આ પુસ્તક વાંચેલું છે તો તું જ્યારે આ પુસ્તક વાંચી લે ત્યારે તારું નામ લખીને પાછું આપજે ! અને આખરે એ પુસ્તક મેં વાંચી લીધું અને નીચે મારું નામ પણ લખી લીધું પણ સાથે સાથે નીચે એક બ્રેકેટમાં એવું પણ લખ્યું કે હું વડોદરાનો એક એ જ ગુજરાતી કે જ્યાં લગભગ 400 વર્ષ પહેલાં મદદ માટે સુરતની ડચ (VOC headquarter) કોઠી પર સંદેશા સાથે મદદ મંગાવી હતીનો ઉલ્લેખ આ મજાના પુસ્તકમાં છે.

આખરે આ પુસ્તક વાંચવાનું શરૂ થાય છે. ઇતિહાસની તરજો પર જામેલી ધૂળ જાણે ઉડતી જાય છે અને એક આખો ખજાનો શબ્દરૂપે નજર સમક્ષ ઉભરી આવે છે. ઇન્ટ્રોડકશન હોય કે છેલ્લે એપિલોગ  શબ્દે શબ્દ કોઇ જ અતિશ્યોક્તિ વગર એક અદભૂત ફ્લોમાં લખાયો છે. લેખકના શબ્દોમાં કહું તો આ એ સમયની વાત છે કે જ્યારે આ જગતમાં જન્મતા મોટાભગના લોકો પોતના જન્મસ્થાનથી 20 માઇલના દાયરામાં જ જીવન જીવીને કે હરીફરીને મરી જતાં હતાં, તો એના બીજા છેડા પર કેટલાક સાહસિકો એવા હતાં કે જે સાત સમંદર પાર કરીને કંઇક કરી લેવા સતત મથતા હતાં, વણખેડાયેલી જમીનને જોવી હતી કે શોધવી હતી. સાહસ એ જ એમનો ઉદેશ્ય રહેતો, જાણે એ જ એમનું યુદ્ધ મેદાન. જાણે આમાં જ એમને ફના થઇ જવું હોય છે. અને આવા જ કંઇક 322 સાહસિકો Dutch East India Company કે જે Jesus Christ is good, but trade is better ના અનઓફિસિયલ મોટો સાથે ચાલતી હતી એના નેજા હેઠળ 1628માં  Batavia નામાના વહાણમાં  સવાર થઇને નિકળી પડે છે અને આજ સુધી દુનિયામાં ન બનેલી એક ઘટના (Mutiny) આકાર પામે છે.

આ લગભગ 400 વર્ષ પહેલાંના એક એવા સમયની વાત છે જ્યારે બંદરેથી નિકળેલું એક જહાજ વેપરની એક ખેપ પુરી કરીને નવો સામાન લઇને પાછું આવતું ત્યારે બે વર્ષનો સમય લાગી જતો, એમાં એક નવો વિચાર જન્મ્યો અને આખરે એવું વિચારાયું કે પવનની દિશાને જો અનુસરવામાં આવે તો કદાચ સમય બચી શકે અને એવું બન્યું પણ ખરું! માણસજાત સફળ રહી અને લગભગ વેપારની એ એક ખેપમાં છ મહિનાનો સમય બચવા લાગ્યો ! એક વિચાર કેટલું બદલી શકે છે ! અને આવો જ બીજો વિચાર ક્યાંક અંકુરણ પામવાની તૈયારીમાં હતો. છ અલગ અલગ શહેર (ટાઉન) ના લોકો પોતપોતાની રીતે વેપાર કરીને કમાતા હતાં અને એમને વિચાર આવે કે જો ભેગા મળીને ધંધો કરીશું તો નફો મોટો થશે અને સાહસ પણ મોટા થશે અને આ દુનિયામાં ડચ પ્રજાએ પહેલી વખત Stock Exchange (આજના શેર બજારનો) પાયો નાખ્યો અને આ દુનિયામાં એક નવી જ દાસ્તાન શરૂ થઇ. પણ આજે વાત Batavia ની કરવી છે. જ્યારે Dutch East India Company એ 1619માં જયકારતા (આજનું જાકાર્તા) કબ્જે કર્યુ ત્યારે ત્યાં જે કોલોનાઇઝેશન કર્યું એનું નામ Batavia આપ્યું હતું. ત્યાં વસેલા પોતાના માણસોને Batavian તરીકે પણ ઓળખાવ્યા હતાં. અને આખરે આ વેપાર મજાની રીતે ફુલીફાલી રહ્યો હતો ત્યારે 1628માં 165 ફુટ લાંબુ અને 40 ફુટ પહોળું વહાણ એક ખેપ માટે તૈયાર હતું. આ વહાણ કોલંબસના Santa Maria કરતાં 3 ગણું મોટું હતું. નિયતીનો ખેલ કંઇક અલગ જ હતો એની આ ડચ પ્રજાને થોડી ખબર હતી ? પણ અનેક રેકોર્ડને પરાસ્ત કરતું આ Batavia આખરે નિકળી પડે છે અને એક પછી એક કારવાં આવતાં જાય છે અને લેખકના શબ્દો જાણે નજર સમક્ષ એવી રીતે કાગળ પર કંડારાય છે કે 400 વર્ષ પહેલાંની કહાની નજર સમક્ષ એક ચિત્રની જેમ ઉભરી આવે છે.

Batavia એક  Non-fictional  historical એવી  book કે જે તમે હાથમાં પકડો પછી મુકવાનું મન જ ન થાય. આલેખન એવી સુંદર રીતે  થયું છે કે જાણે એક નવલકથાની જેમ એક પછી એક નવા પાત્રો ઉમેરાતા જ જાય અને “હવે પછી શું ?” એ પ્રશ્ન સતત મનમાં ઉદભવતો જ જાય. Batavia ની આ દાસ્તાનમાં ક્યાંય જરા જેટલો પણ શબ્દોનો અતિરેક નથી, પણ ઉપરથી જ્યારે સમુદ્રમાં તરતી Batavia નું વર્ણન હોય કે લુક્રેટિયાની (સ્ત્રી) વાત હોય કે કોઇક વિચારનું વર્ણન હોય એ એવી મજાની રીતે એ વાત વર્ણવાઇ છે કે જાણે એક નિબંધના કોઇ પધ્ય વિસ્તારનો અતિ સુંદર ભાગ પિરસાયો હોય એવું લાગી ઉઠે અને મનોમન લેખકને સલામ કરી જવાય. અદભૂત ... અભિભૂત કરી દેતું વર્ણન જાણે કાયમ માટે ડાયરીના પાનાઓ પર કંડારી દેવાનું મન થઇ ઉઠે !

જહાજ નું તૂટવું એ એક વાત છે અને પછી સિક્કાઓને હવામાં ઉછાળીને એનો વરસાદ કરવો કે પછી કેપ્ટનની જરનલ ફાડી નાખવી કે પછી એના મેડલને કેપમાં લગાવીને ફેંકી દેવી એ મનોસ્થિતી ક્યાંક સમજણની બહાર છે કારણ કે  એ મન પર શૈયતાન સવાર છે. સ્વાર્થ સ્વાર છે અને એક આજ સુધી દુનિયામાં ન ઉદ્ભવેલો વિચાર પરીપૂર્ણ કરી લેવા માટેના તા તા થૈયા છે. ક્યાંક ભૂખ થી તો ક્યાંક તરસથી તડપતા માણસોની વેદના છે . જ્યારે પાણી નથી મળતું ત્યારે અનેક વસ્તુ ની શોધમાં નિકળેલા આ સાહસિકો અચાનક જ માત્ર પાણીની શોધ પર કેન્દ્રિત થઇ જાય છે અને થવું જ પડે એવું છે એ મજબૂરી છે. અને એમાં પણ જ્યારે વરસાદ રૂપે પાણી મળે છે ત્યારે જાણે ભગવાને અમૃત મોક્લ્યા નો આનાંદ હશે ! ક્યાંક પાદરીને પોતાની પ્રથાના ફળી નો સંતોષ હશે તો ક્યાંક ભવિષ્ય માટે બેરલમાં પાણી સંગ્રહિત કરી લેવા મથામણ કરતો માણસ ... ! આહ, આખું જે વર્ણન છે એ જાણે એક સ્ક્રિનપ્લે ચાલતો હોય એવુ જ છે વાંચતા જઇએ અને નાજર સમક્ષ બધુ જ દેખાય !

અને આગળ જતાં જ્યારે Traitors’ island, Seals island and High island એમ ત્રણ જગ્યાએ જ્યારે લોકો હોય છે ત્યારે મનમાં બર્મુડા ટ્રાંયગલ શબ્દ યાદ આવી જાય છે. કારણ કે ફરક માત્ર એટલો જ દેખાય છે કે  અહિંયા જમીન કે દરિયો એમ જ છે પણ માણસ માણસને ભરખી રહ્યો છે અને બરાબર બીજા એન્ટિપોડ પર સમુદ્ર બધુ જ પોતનામાં સમાવી રહ્યો છે.

નિયતીની વરવી બાજુ તો ત્યારે આવે કે જ્યારે પોતાને જીવવું છે એટલે 15 નિર્દોશ માણસો મારી નાખવા કોઇ તૈયાર થઇ જાય એ તો કઇ સમજણની વાત ગણવી ? પણ કાળમુખા ઇતિહાસની તવારીખો પર આ વરવી વાસ્તવિકતા બની છે.  તો બીજી બાજુ એક સર્જન પણ મ્યુટિનર બને એ કેવી કરૂણતા ! અરે સામુરાઇ ની જેમ તલવારના એક જ ઘામાં ધડથી માથુ અલગ થાય કે નહી એ જોવા જાણે એક સીધા સાદા માણસનો ભોગ લઇ લેવાય એ કેવી વાત. તો બીજા છેડે પોતાની સાથે રહેલા 47 માણસોનું મનોબળ વધારીને લડવા માટે તૈયાર કરીને નિયતીનો આખો ચકરાવો જ બદલી નાખતા સૈનિક કમાન્ડરની શૈલી માણું છું ત્યારે માણસ હોવાનો ગર્વ થાઇ ઉઠે છે. અને સાચી સમજણ એ જ છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્ય માટે, પોતાના માટે કે પછી બીજાના ભલા માટે લડી લેવું.  અને આ બધાની વચ્ચે જીવન આખું ભગવાનમાં માનનારો અને એના સંદેશને વહેંચનારો પાદરી પ્રત્યેક ડગલે પિડાય છે. ઘણું કહેવું હશે, કંઇ કેટલાયને કેટલુંય સમજાવવું હશે એને ? પણ પોતે જ પોતના પરિવારને બલીએ ચડતો જોઇને એ ક્યાંક મૂક બની ગ્યો હશે ?  

આ બધાની વચ્ચે  યોગ્ય જગ્યાએ જરૂરી મજાના ડચ શબ્દોનો ઉપયોગ જાણે શબ્દ અલંકારના રૂપે વાક્યો ને ભરાવદાર બનાવી જાય છે. પ્રત્યેક વર્ણન એવી રીતે થયું છે કે જાણે આ સમગ્ર ઘટના લેખક પોતાની આંખ સામે જોઇ રહ્યા છે અને લખી રહ્યા છે. અરે શબ્દો અને વાકય રચના એવી સરસ રીતે આલેખાઇ છે કે જાણે આખી ઘટનાને તમે વાંચતા વાંચતા નજર સમક્ષ ઉભરતી જોઇ શકો .... અને આવું જ્યારે પણ અનુભવું ત્યારે એક જ સવાલ મનમાં ઉદ્ભવે કે આજ સુધી આ મજાની કહાની પર મુવી કેમ નથી બન્યું .. કોઇ ઓપરા કેમ નથી આવ્યું .... છતાં લાંબા વિચારના અંતે એ જ આશ્વાસન મેળવી લઉં છું કે આ થ્રીલ જે પુસ્તકના પાનાઓ પર લેખકે આપ્યું છે એ કદાચ થોડા કલાકોમાં સ્ટેજ પર કે સ્ક્રીન પર રજુ કરવું એ માત્ર એક ક્લ્પના જ હોઇ શકે ..

 જ્યારે મ્યુટીની ના બીજ રોપાય છે અને આકાર પામે છે ત્યારે સ્વાર્થી માનવ મન જાણે શેતાન રૂપે પ્રગટ થાય છે. તો બીજા છેડે જ્યારે મોત સામે દેખાય છે ત્યારે ક્યાંક માણસ કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે અને એ એટલી હદે તૈયાર હોય છે કે એ બીજાને મારી નાખવા પણ તૈયાર કે મજબૂર છે અને એમ કરે પણ છે જ્યારે આ કરૂણતા વાંચુ છું ત્યારે હું એ વ્યક્તિમાં ક્યાંક મને  જ ગોઠવીને જોવું છું અને હું હચમચી ઉઠું છું. અને એમાં પણ લગભગ 400 વર્ષ પહેલાં જે સમજણ હતી, જે માનવીય પહેચાન હતી એને પારખવામાં પણ હું ઉંડા વિચારોમાં ખોવાઇ જાઉં છું કારંણ કે લેખક જ્યારે આખી કહાની પતાવી ને vale, the Batavia કહેતા Epilougeમાં અને ઇન્ટ્રોડશનમાં કહે છે કે Jeronimus was deeply influenced by Torrentius ત્યારે મન પર વિષાદ કબજો જમાવી દે છે અને 400  વર્ષ પહેલાં બનેલ આ મ્યુટિની આજે પણ ક્યાંક આતંકના આકાઓ ના રૂપમાં એટલી જ જીવંત છે એવું ક્યાંક લાગી ઉઠે છે અને ક્યાંક હજારો કુમળા માનસો આજે પણ આવી જ રીતે  કોઇક શેતાનના influence માં આવી જતાં હશે અને આ મજાની ક્રિયેટીવ દુનિયામાં ઘસરકા રુપી કામ કરી જતાં હશે. આવું વિચારું છું ત્યારે વિનાશની સામે સર્જન ને જોવું છું અને ક્યાંક આ સર્જન જ માનવ જીવનની આશાનો તંતુ છે એવું સ્વિકારવું રહ્યું.  

Peter Fitzsimons અંતમાં મારે એટલું જ કહેવું છે કે તમે આ માત્ર ઇતિહસ ની ગાથા નથી લખી, આ મનાવમનના વળગણ અને લગાવની મનોવૈજ્ઞાનિક ગાથા છે, એક સાહસિક અને સસ્પેન્સથી ભરેલી કહાની છે. પ્રત્યેક પડાવ એક નવા ફિલોસોફિકલ દ્ર્ષ્ટિકોણને વાચા આપે છે. તમે શબ્દોની એવી તો રંગત જમાવી છે કે પ્રત્યેક વર્ણન એની સીમાની પરાકાષ્ઠાએ જ થયું છે. અને છેલ્લે તમે જ ક્યાંક એક મજાનું   વાક્ય વપર્યું હતું કે they even doff their hats as he passes. Now after reading I doff my hat to your remarkable work, Batavia- truly captivating. Hats off Peter Fitzsimons.

Peter Fitzsimons ની બુક વાંચવી જ અને વસાવવી જ રહી.

 

-     - Ajit Kalaria